• Home
  • News
  • વડોદરામાં લવ-જેહાદનો મામલો:મુસ્લિમ સાથે નિકાહ કરનાર બ્રાહ્મણ યુવતીએ કહ્યું- હું પતિ અયાઝને હિન્દુ બનવાનું કહીશ
post

હું હવે થોડી કોન્ફિડન્ટ થઈ છું, હિંમત રાખીને વિચારી રહી છું, બે-ત્રણ દિવસમાં નિર્ણય લઈ લઈશ: યુવતી

Written By newsonline | Ahmedabad | Published: 2020-12-18 09:37:25

શહેરના નાગરવાડાની 23 વર્ષીય બ્રાહ્મણ યુવતીનું મુંબઇમાં ધર્મ પરિવર્તન કરાવી નિકાહ કરવાના ચકચારી પ્રકરણમાં શહેરના અગ્રણીઓએ પણ ભારે વિરોધ નોંધાવ્યો છે, પોલીસ સ્ટેશનમાં હોબાળાના બીજા દિવસે યુવતીએ દિવ્ય ભાસ્કર સાથે વાતચીત કરી હતી, જે અત્રે પ્રસ્તુત છે...

શહેરના નાગરવાડા વિસ્તારમાં યુવતીને ધર્મ પરિવર્તન કરાવી મુસ્લિમ યુવકે નિકાહ કરી લીધા બાદ બંનેને પોતપોતાના ઘરે મોકલી દેવામાં આવ્યાં હતાં. ગુરુવારે યુવતીની આખા દિવસ દરમિયાન સ્થાનિક નેતાઓએ મુલાકાત કરી સમજાવવાના પ્રયાસો આદર્યા હતા. બીજી તરફ, મુસ્લિમ યુવકે બીજા દિવસે જાહેરમાં આવવાનું ટાળ્યું હતું. જ્યારે યુવકના પિતા અને વકીલે પણ વાત કરવાનું ટાળ્યું હતું. હજી બંનેનું 3-4 દિવસ સુધી કાઉન્સેલિંગ કરાશે. આ ઘટના પ્રકાશમાં આવતાં હિન્દુ સંગઠનો પણ વિરોધ કરવા સાથે મેદાનમાં આવી ગયાં છે.
મને બાંદ્રાની મસ્જિદમાં લઈ જઈ લગ્ન કરાવ્યાં હતાં: યુવતી
ધર્મ પરિવર્તન કરનારી બ્રાહ્મણ યુવતીએ કહ્યું હતું, હું અને અયાઝ બંને છ વર્ષથી એકબીજાને ઓળખીએ છીએ. મિત્રો થકી અમારો એકબીજા સાથે સંપર્ક થયો હતો અને ત્યાર બાદ અમે સતત એકબીજાના સંપર્કમાં હતાં. અમારો આ પરિચય પ્રેમમાં ફેરવાયો હતો. એ બાદ અમે લગ્ન કરવાનો નિર્ણય કર્યો હતો. પાંચ દિવસ પહેલાં તે મને લગ્ન કરવા માટે મુંબઈ લઈ ગયો હતો અને ત્યાં મારી સાથે તેણે લગ્ન કર્યાં હતાં. જોકે ત્યાર પછી હું બુધવારે વડોદરા આવી હતી. આ બનાવ બાદ મને જે સપોર્ટ મળ્યો છે તેને જોતાં હું મારા નિર્ણય પર વિચારી રહી છું, મને હવે સ્વતંત્રત રીતે વિચારવાની હિંમત મળી છે અને મારો આત્મવિશ્વાસ પણ વધ્યો છે.

જેથી હું હવે મારા આ નિર્ણય પર ફરીથી વિચારી રહી છું. બાંદ્રાની મસ્જિદમાં મને લઇ જવાઇ હતી અને મારા લગ્ન થયાં હતાં. હવે હું અયાઝને હિન્દુ બનવા માટેનું કહીશ. મને ગઈકાલ રાતથી ઘણા લોકોનો સપોર્ટ મળ્યો છે અને તેમની સાથે મારી વાતચીત થઈ રહી છે, જેથી હવે મને હિંમત આવી છે અને હું ફરીથી યોગ્ય નિર્ણય લઈ મેં પહેલાં જે નિર્ણય કર્યો હતો એ વિશે વિચારી રહી છું . મને આજે ઘણા લોકો સમજાવવા આવ્યા હતા અને મને સમજાવી છે. તેથી હું હવે થોડી કોન્ફિડન્ટ થઇ છું અને મે જે પહેલાં નિર્ણય કર્યો હતો એ અંગે હવે હું હિંમત રાખીને વિચારી રહી છું. હું વિચારીશ અને બે ત્રણ દિવસમાં હું નિર્ણય લઇ લઇશ.

યુવકના પિતાએ કહ્યું, હું પોતે જ અંધારામાં છું
વિધર્મી યુવકના પિતાને મળીને તેમની વાત જાણવાનો પ્રયાસ કરાતાં તેમણે કહ્યું હતું કે આ ઘટના અંગે તેઓ ખુદ અંધારામાં હતા અને તેમને કંઈ જ જાણ ન હતી. જોકે આ સિવાય તેમણે કઈપણ વાત કરવાનું ટાળ્યું હતું અને પોતે કાંઇ જાણતા ન હોવાનું રટણ કર્યું હતું. ધર્મ પરિવર્તન કરી નિકાહ કરવાના બનાવમાં યુવકના પિતાની સાથે વાત કરવાનો પ્રયાસ કરાયો હતો ત્યારે યુવકના પિતાએ કહ્યું હતું કે મને કંઇ ખબર નથી. તમે વકીલને પૂછો. યુવકના વકીલને પૂછવામાં આવતાં તેમણે જણાવ્યું હતું કે હું વકીલ નથી. વકીલ તો બીજો છે. હું તો કાલે રાત્રે ખાલી કાઉન્સેલિંગ કરવા ગયો હતો.

મારે દીકરી નથી, તું મારી દીકરી જેવી જ છે, એટલે સમજાવવા આવી છું : સાંસદ

લવ-જેહાદ કોઇ સંજોગોમાં સાંખી નહીં લેવાય, એમ કહેનાર સાંસદ રંજનબહેન ભટ્ટ ગુરુવારે યુવતીને મળવા સીધાં દિલ્હીથી આવ્યાં હતાં. તેમની સાથે ધારાસભ્ય સીમાબેન મોહિલે તથા શહેર ભાજપ પ્રમુખ ડો. વિજય શાહ અને મહામંત્રી સુનીલ સોલંકી અને હિન્દુ સંગઠનોના આગેવાનો પણ યુવતીને મળ્યા હતા અને તેને સમજાવવાનો પ્રયાસ કર્યો હતો. એક તબક્કે સાંસદે યુવતીને દીકરીની જેમ સમજાવી હતી અને કહ્યું હતું કે મારે કોઈ દીકરી નથી, પરંતુ તું મારી દીકરી જેવી છે અને તેથી જ હું તને સમજાવવા આવી છું. સાંસદ અને ધારાસભ્યએ તથા અન્ય આગેવાનોએ પોતાની દીકરીની જેમ યુવતી સાથે વાતચીત કરી સમજાવી હતી. દિવસભર આ યુવતીને જ્યાં રખાઇ હતી ત્યાં ઘણા નેતા અને હિન્દુ સંગઠનોના અગ્રણી પહોંચ્યા હતા અને યુવતીને મળી આંતરધર્મમાં લગ્ન કર્યા બાદ તથા ધર્મ પરિવર્તન બાદ ઊભી થતી મુશ્કેલી સહિતની માહિતી આપી હતી.

બંને પક્ષે સરખો પ્રેમ હોય તો યુવક હિન્દુ ધર્મ સ્વીકારશે?
વડોદરા ભાજપપ્રમુખ ડૉ. વિજય શાહે કહ્યું- અમે યુવતીને મળી પૂછ્યું હતું કે એકબીજાને સરખો પ્રેમ કરો છો તો તમે જે રીતે મુસ્લિમ ધર્મ અંગીકાર કર્યો એ રીતે યુવક તમારા માટે હિન્દુ ધર્મ સ્વીકારશે?

કાયદો બદલાશે તો જ લવ-જેહાદની પ્રવૃત્તિ બંધ થશે
હિંદુ જાગરણ મંચના નીરજ જૈને કહ્યું- યુપીમાં લવ-જેહાદ અંગે કડક કાયદો છે એવો ગુજરાત સરકારે બનાવવો પડશે. જો આ કાયદામાં સુધારો થશે તો જ લવ-જેહાદની ઘટનાઓ બંધ થશે.

ગુજરાતમાં પણ લવ-જેહાદ કાયદો લાવવા આંદોલન થશે
વડોદરા શહેર બ્રહ્મસમાજના પ્રમુખ કિરીટ જોષીએ જણાવ્યું હતું કે ઉત્તરપ્રદેશની જેમ ગુજરાતમાં લવ-જેહાદનો કાયદો બનાવાય એ માટે બ્રહ્મસમાજ અન્ય હિંદુ સમાજ સાથે આંદોલન કરશે. મુખ્યમંત્રીને રજૂઆત કરશે.

કાઉન્સેલિંગ બાદ યુવતી પણ વાતને સમજી રહી છે
વડોદરા શહેર ભાજપમંત્રી કોમલ કુકરેજાએ કહ્યું- આજે ઘણા લોકોએ મુલાકાત લીધી હતી. યુવતીનું કાઉન્સિલિંગ કરાઇ રહ્યું છે. યુવતી પણ વાતને સમજી રહી છે, તેને પણ અહેસાસ થઇ રહ્યો છે.

પોલીસ ફરી બંનેને બોલાવશે
પોલીસે જણાવ્યું હતું કે બંનેને તેમના પરિવાર પાસે અલગ અલગ સ્થળે રાખવામાં આવ્યાં છે અને તેમન કાઉન્સિલિંગ કરીને સમજાવાઇ રહ્યાં છે. બંને પુખ્ત વયના હોવાથી છેલ્લો નિર્ણય તેમની પર છોડી દેવાયો છે. યુવતીને તેના પરિવાર પાસે હાલ મોકલાઇ છે. મામલો થોડો શાંત પડે ત્યાર બાદ ફરીથી બંનેને પોલીસ સ્ટેશન બોલાવાશે અને બંનેની ફરીથી પૂછપરછ કરાશે અને નિર્ણય લે એ મુજબ આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવશે.

 

adv

Related News

post
post
post
post
post
post
post