• Home
  • News
  • સોમનાથમાં ચા પી રહેલાં દંપતીને ઢોરે ઢીંકે ચડાવી પાંચ ફૂટ દૂર ઉલાળી ફેંક્યાં, દર્દનાક ઘટના CCTVમાં કેદ
post

આ ઘટનાના પગલે આસપાસના લોકોએ દોડી આવી પ્રવાસી દંપતીને ઉભું કરીને બેસાડ્યા હતા

Written By newsonline | Ahmedabad | Published: 2023-01-16 17:55:47

ગીર સોમનાથ: જગવિખ્યાત સોમનાથ મંદિર ખાતે મહાદેવના ભક્તો દર્શનાર્થે આવતાં હોય છે. ત્યારે સોમનાથ મંદિરની નજીક આવેલી ચા ની લારી પાસે ઉભેલા પ્રવાસી દંપતીને ઢોરે ઢીકે ચડાવી અડફેટે લઈ પાંચેક ફુટ સુધી ઢસડી ઉલાળ્યાં હતા. જેમાં પ્રવાસી મહિલા ઈજાગ્રસ્ત બનતા તેને એમ્બ્યુલન્સ મારફતે સિવીલ હોસ્પીટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવી હતી. આ સમગ્ર ઘટના CCTVમાં કેદ થઈ સામે આવી છે. તો યાત્રાધામ સોમનાથ મંદિર પરીસર આસપાસ ખુટીયાઓનો કાયમી ત્રાસ હોવા અને અનેક વખત પ્રવાસીઓને ઢીકે ચડાવ્યાંની ઘટના બની હોવા છતાં જવાબદાર તંત્ર ઠોસ કાર્યવાહી ન કરતું હોવાથી પ્રવાસીઓ સાથે સ્થાનીક લોકોમાં રોષ પ્રવર્તેલો છે.

રસ્તા ઉપર લડાઈ કરી રહેલા બે ઢોરોએ દંપતીને ઢીંકે ચડાવ્યાં
દરરોજ દેશ-વિદેશમાંથી પ્રવાસીઓ પ્રથમ જ્યોતિલિંગ સોમનાથ મંદિરએ આવી રહ્યાં છે. ત્યારે અહીં મંદિર પરીસરની આસપાસના રસ્તા ઉપર પડ્યા પાથર્યા રહેતા રખડતા ઢોરો અને ખુટીયાઓનો ત્રાસ દિન પ્રતિદિન વધી રહ્યો છે. જેમાં ગઈકાલે બપોરના સમયે સોમનાથ મંદિર નજીક આવેલી એક ચા ની લારી પાસે ઉભેલા બહારગામના પ્રવાસી દંપતીને રસ્તા ઉપર લડાઈ કરી રહેલા બે ઢોરોએ અચાનક ધસીએ આવીને ઢીકે ચડાવ્યાં બાદ મહિલાને પાંચેક ફુટ સુધી ઢસડીને ઉલાળીયો કર્યો હતો. જ્યારે તેમની સાથે રહેલા પુરૂષ બાજુની તરફ પડી ગયા હતા.

ઘટનાના દર્દનાકભર્યા સીસીટીવી સામે આવ્યા
આ ઘટનાના પગલે આસપાસના લોકોએ દોડી આવી પ્રવાસી દંપતીને ઉભું કરીને બેસાડ્યા હતા. બાદમાં મહિલાને ઈજાઓ પહોંચી હોવાથી 108 એમ્બ્યુલન્સ મારફતે સિવીલ હોસ્પીટલમાં ખસેડવામાં આવ્યા હતા. આ સમગ્ર ઘટના ચા ની લારીએ લાગેલા CCTV કેમેરામાં કેદ થઈ સામે આવી હતી. જેમાં જોવા મળતા મુજબ 2 સેકન્ડમાં આરામથી ઉભેલા દંપતીને અચાનક બાખડતા આવેલા બે ખુટીયાઓ ઉલાળે છે. આ દ્રશ્યો દર્દનાક ભર્યા છે.

સોમનાથમાં ખુટીયાઓનો ત્રાસ યથાવત
અત્રે નોંધનીય છે કે, ઘણા સમયથી સોમનાથ મંદિર આસપાસના વિસ્તારોમાં પડ્યા પાથર્યા રહેતા રખડતા ઢોરો અને ખુટીયાઓ અનેકવાર પ્રવાસીઓને અડફેટે લીધાની ઘટનાઓ છાશવારે બની રહી છે. તેમાં છતાં જવાબદાર તંત્ર ઢોરોનો ત્રાસ દુર કરવા બાબતે કોઈ જાતની ઠોસ કાર્યવાહી ન કરતું હોવાથી પ્રવાસીઓ અને સ્થાનીક લોકોમાં રોષ પ્રવર્તયો છે. ત્યારે સોમનાથ મંદિર આસપાસ ઢોરોનો ત્રાસ કાયમી માટે દુર થાય તે માટે ખાસ મુહિમ ચલાવવી જોઈએ તેવી લાગણી અને માંગણી લોકો વ્યક્ત કરી રહ્યાં છે.

 

adv

Related News

post
post
post
post
post
post
post