ખટાશ ગામમાં બે મૃતદેહ ઝાડ પર લટકેલી હાલતમાં મળી આવતા સમગ્ર પંથકમાં ભયનો માહોલ ફેલાયો હતો
છોટા ઉદેપુર: છોટાઉદેપુર જિલ્લાના પાવી
જેતપુરના એક ગામે યુવક અને યુવતીનો મૃતદેહ ફાંસો ખાધેલી હાલતમાં મળી આવ્યો છે. ઝાડ
પર બે મૃતદેહ ફાંસો ખાધેલી હાલતમાં મળી આવતા સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામ્યો
છે. બંને મૃતદેહની ઓળખ થઈ ગઈ છે. સ્થાનિકોએ પોલીસને જાણ કરતા પોલીસ ઘટનાસ્થળે
પહોંચી મૃતદેહને નીચે ઉતારી સમગ્ર મામલાની તપાસ હાથ ધરી છે. જાણવા મળતી માહિતી
મુજબ બંને યુવક-યુવતી એક બીજાના ગાઢ પ્રેમમાં હતા. એક બીજા સાથે જીવવા મરવાના વચનો
પણ આપ્યા હતા. જોકે યુવતીની પરિવારજનોએ સગાઈ નક્કી કરી નાખતા આ પગલુ ભરવુ પડ્યું.
એક ભવમાં બીજો ભવ કરવાને બદલે મોતને વ્હાલું કર્યું
છોટા ઉદેપુર જીલ્લાના પાવી જેતપુર તાલુકાના અંતરિયાળ
એવા જામ્બા ગામના અંકિત બારીયા નામના યુવકને એક યુવતી સાથે પ્રેમ સંબંધ હતો. આ
પ્રેમી પંખીડા એકબીજાના ગળાડૂબ પ્રેમમાં હતાં. ત્યારે યુવતીના પરિવારજનોએ યુવતીની
સગાઈ નક્કી કરી હતી, પરંતુ યુવતી પોતાના પ્રેમીને જીવવા મરવાના વચન આપી દીધા હતા. એટલે તેને એક
ભવમાં બીજો ભવ કરવાને બદલે મોતને વ્હાલું કરવાનું પસંદ કર્યું હતું. જેને લઇને
ગઈકાલે બન્ને પ્રેમી પંખીડા મોતને વ્હાલું કરવાનું નક્કી કરીને સાંજના સમયે મળ્યા
અને ખટાશ ગામના સ્મશાન પાસેની ઝાડીઓમાં જઈને યુવતીની ઓઢણીથી ગળે ફાંસો ખાઈ લીધો
હતો.
પરિવારજનો શોધવા નિકળ્યા તો મૃતદેહ મળ્યા
બીજી બાજુ બંનેના પરિવારજનો યુવક યુવતીને શોધવા
નીકળ્યા હતા, પરંતુ સાંજ સુધી મળી આવ્યા ન
હતા. આખી રાત દરમિયાન ન મળતાં સવારથી ફરીથી બંને પરિવારો શોધમાં નીકળ્યા હતા.
ત્યારે બંનેનો મૃતદેહ એક ખટાશ ગામના સ્મશાન પાસે ઝાડીઓમાં એક ઝાડ પર ફાંસો ખાધેલી
હાલતમાં મળી આવ્યો હતો.
સમગ્ર પંથકમાં ભયનો માહોલ ફેલાયો
ખટાશ ગામમાં બે મૃતદેહ ઝાડ પર લટકેલી હાલતમાં મળી
આવતા સમગ્ર પંથકમાં ભયનો માહોલ ફેલાયો હતો. સવાર-સવારમાં ગ્રામજનોએ મૃતદેહને
સંદિગ્ધ હાલતમાં જોતા ચકચાર મચી જવા પામ્યો હતો. ગ્રામજનોએ સમગ્ર ઘટનાની જાણ
સ્થાનિક પોલીસને કરી હતી. ઘટનાના પગલે કદવાલ પોલીસ પણ ઘટનાસ્થળે તાત્કાલિક દોડી
આવી હતી. મૃતદેહને નીચે ઉતારી પોસ્ટમોર્ટમ માટે મોકલ્યા હતા અને કાર્યવાહી હાથ ધરી
હતી.
યુવતીની સગાઇ રાખવામાં આવી હતી
જોકે પોલીસ દ્વારા મળતી માહિતી મુજબ આજ રોજ યુવતીના
પરિવારજનોએ સગાઈ કાર્યક્રમ રાખ્યો હતો, પરંતુ યુવતીને પ્રેમી સાથે જીવન વિતાવવાના વચન આપ્યા હોય બંને જણાંએ જીવવા
કરતા મોતને વ્હાલું કરીને ફાંસો ખાઈ જીવન ટુંકાવી દીધું હતું.