ચોટીલા ડુંગર ટ્રસ્ટ દ્વારા આજથી નવો નિર્ણય કરવામાં આવ્યો
વિશ્વભરમાં કોરોના મહામારીએ
હાહાકાર મચાવ્યો હતો. જ્યારે દેશ અને ગુજરાતમાં કોરોનાના કારણે અનેક પરિવારજનોએ
પોતાના સ્વજનો ગુમાવ્યાં છે. ત્યારે ભારત સરકાર અને ગુજરાત સરકાર દ્વારા કોરોના
વેક્સિન આપવામાં યુદ્ધના ધોરણે કામગીરી હાથ ધરાઇ હતી, જે હજુ ચાલુ છે.
ગઇકાલે જ શુક્રવારે પ્રધાનમંત્રી નરેન્દ્ર
મોદીના જન્મ દિવસને લઇ દેશમાં રસીકરણના તમામ રેકોર્ડ તૂટી ગયા હતા. શુક્રવારે એક જ
દિવસમાં 2.50
કરોડથી વધુ લોકોને રસી અપાઈ હતી. જ્યારે હવે દરેક જગ્યાએ વેક્સિનેશનનું
પ્રમાણપત્ર જરૂરી બન્યું છે. જેને લઇને સુરેન્દ્રનગર જિલ્લાના ઐતિહાસિક ચોટીલા ડુંગર
ટ્રસ્ટ દ્વારા આજથી નવો નિર્ણય કરવામાં આવ્યો છે. નવા નિર્ણયમાં કોરોના વેક્સિન
લીધેલી વ્યક્તિને જ મંદિરમાં પ્રવેશ મળશે. વેક્સિનેશનનું પ્રમાણપત્ર હાથમાં હશે
તેને જ મંદિરમાં પ્રવેશ આપવામાં આવશે.
હાલમાં સમગ્ર ગુજરાતમાં કોરોના વેક્સિનેશનની
કામગીરી પુરજોશમાં ચાલી રહી છે. જ્યારે સુરેન્દ્રનગર જિલ્લા કલેક્ટર દ્વારા પણ
ગ્રામ્ય પથંકમાં રાત્રી વેક્સિનેશન સાથે તમામ લોકોને કોરોના રસીકરણ થઇ જાય એના પર
ભારની સાથે ભરપૂર પ્રયાસો હાથ ધરવામાં આવી રહ્યાં છે. ત્યારે સુરેન્દ્રનગર
જિલ્લાના ઐતિહાસિક ચોટીલા ડુંગર ટ્રસ્ટ દ્વારા આજથી નવો નિર્ણય કરવામાં આવ્યો છે
કે,
વેક્સિન લીધેલી વ્યક્તિને જ મંદિરમાં પ્રવેશ મળશે. ચોટીલામાં વેક્સિન લીધેલી
અને પ્રમાણપત્ર સાથે હશે તેને જ મંદિરમાં પ્રવેશ આપવામાં આવશે.
સુરેન્દ્રનગર જિલ્લાના ઐતિહાસિક ચોટીલા મંદિરના
મહંત અમૃતગીરીબાપુ દ્વારા દર્શનાર્થે આવતા તમામ ભાવિકોને વેક્સિન લેવા અપીલ પણ
કરવામાં આવી છે. ચોટીલા ચામુંડા માતાજીના મંદિરમાં દર્શને જતા પહેલા તમામ ભાવિકોએ
વેક્સિનનું પ્રમાણપત્ર બતાવવાનું રહેશે. ગુજરાત રાજ્ય સરકારની ગાઇડલાઇન મુજબ માસ્ક, સોશિયલ
ડિસ્ટન્ટ સહીતના નિયમોનું પણ ચૂસ્તપણે પાલન કરવાનું રહેશે એવી સૂચનાઓ પણ
દર્શનાર્થીઓ અને શ્રદ્ધાળુઓને ચોટીલા ચામુંડા મંદિરના સત્તાવાળાઓ દ્વારા આપવામાં
આવી રહી છે.