પિરોટન ટાપુ અને તેના આજુબાજુ જીવસૃષ્ટિનો વિશાળ ખજાનો છે
જામનગર જિલ્લાના ઘરેણા સમાન અને જીવસૃષ્ટિ માટે સ્વર્ગ
મનાતું પિરોટન ટાપુ પર રિસોર્ટ જેવી સુવિધાઓ ઉભી કરવા માટે સરકાર દ્વારા ટેન્ડર
બહાર પડતા પર્યાવરણવાદીઓમાં ભારે ખળભળાટ મચી જવા પામ્યો છે. કારણ કે, પર્યાવરણવાદીઓનું માનવું છેકે, જે ટાપુ પર છેલ્લા 15 વર્ષથી જવાની મનાઈ છે ત્યાં આવડા
મોટા વિકાસ કાર્યને મંજૂરી મળવાથી દરિયાઈ જીવસૃષ્ટિ અને ચેરના જંગલોનો સોથ વળી
જવાની પુરેપુરી સંભાવના છે. જામનગર નજીકના દરિયાઈ જીવસૃષ્ટિ અને ચેર માટે અત્યંત
પ્રખ્યાત પિરોટન ટાપુને સરકારે વિકસાવવાનું નક્કી કર્યું હતું, પરંતુ વિકાસના નામે ત્યાં અત્યંત
આધુનિક સુવિધા સાથેનું રિસોર્ટ ઉભુ કરવાનું ટેન્ડર બહાર પડતા ભારે ખળભળાટ મચી જવા
પામ્યો છે.
આ રિસોર્ટમાં પિકનિક મનાવવા માટે લોકો આવે તેવી તમામ
પ્રકારની ઉચ્ચકક્ષાની સુવિધાઓ રાખવામાં આવશે જેમાં સ્વિમિંગ પુલ, રેસ્ટોરન્ટ સહિત અનેક પ્રકારની
સુવિધાઓ ઉભી કરવામાં આવશે. ટાપુ પર બાંધકામના પગલે વર્ષોથી ત્યાં રહેલી દરિયાઈ
જીવસૃષ્ટિ અને ચેરના જંગલોનો સોથ વળી જશે તે નક્કી છે.આ ટેન્ડર બહાર પડતાની સાથે જ
પર્યાવરણવાદીઓમાં ભારે રોષ ફેલાઈ ગયો છે અને પિરોટન ટાપુ કે જેના પર જવા 15 વર્ષથી પ્રતિબંધ હતો તે મુદ્દે લડી
લેવા વિચારણા શરૂ થઈ ગઈ છે.
એક ચોરસ કિલોમીટરમાં ફેલાયેલાે છે
આ પિરોટન ટાપુ
પિરોટન
ટાપુ દરિયાના ચોતરફે ઘેરાયેલું અત્યંત રમણ્ય ટાપુ છે જે હાઈટાઈડ વખતે એક કિલોમીટર
ચોરસ સ્કવેર મીટરનું હોય છે જ્યારે લોટાઈડ વખતે 7થી 8 કિ.મી.નું ટાપુ બની જાય છે.
જામનગરના બેડી પોર્ટથી પિરોટન ટાપુ પર જવા પોણોથી એક કલાક જેટલો સમય વહાણમાં લાગે
છે. અહીં જવા માટે સ્પેશિયલ મંજૂરી લેવી પડે છે જે ખૂબજ કડાકૂટ બાદ જ મળે છે.
પિરોટન ટાપુ પર છે શું ?
પિરોટન
ટાપુ અને તેના આજુબાજુ જીવસૃષ્ટિનો વિશાળ ખજાનો છે. કોઈપણ ટાપુ પર ન જોઈ શકાય તેવા
કોરલ અહીં મોજૂદ છે. ઉપરાંત ઓક્ટોપસ, બફર ફીશ, ચેરના જંગલો, જાત-જાતના કરચલા સહિત અનેક
જીવસૃષ્ટિઓનો ખજાનો છે. બોનેલિયા નામનો જીવજંતુ તો આખા વિશ્વમાં ફક્ત પિરોટન ટાપુ
પર જ જોવા મળે છે. રેતી, સિમેન્ટ, ઈંટ વગેરેના હેરફેર અને કચરો
દરિયામાં જવાથી આ તમામ જીવસૃષ્ટિઓ અને ચેરના જંગલો નાશ પામશે તે નિશ્ચિત છે.