એક સપ્તાહ પહેલાં જ આ રોડ પર અકસ્માત સર્જાયો હતો, જેમાં 35 લોકો ઈજાગ્રસ્ત થયા હતા
અમદાવાદ
જિલ્લાના ધંધૂકા-બગોદરા રોડ પર આવેલા હરિપુરા પાટિયા પાસે આજે વહેલી સવારે ઇકો કાર
અને ટ્રક વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. અકસ્માતમાં કારમાં બેઠેલી ચાર
મહિલાનાં ઘટનાસ્થળે જ કરુણ મોત નીપજ્યાં હતાં, જ્યારે બે
વ્યક્તિને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવી છે. ઇકો કાર પૂરઝડપે જતી હતી અને
એ આગળ ઊભેલી ટ્રક પાછળ ઘૂસી જતાં અકસ્માત સર્જાયો હોવાનું પ્રાથમિક રીતે જાણવા
મળ્યું છે.
બે વ્યક્તિને 108ના સ્ટાફે
મહામહેનતે બહાર કાઢવામાં આવી
ઘટનાની જાણ થતાં ધંધૂકા અને ફેદરા લોકેશનની 108 ઘટનાસ્થળે
પહોંચી હતી. કારમાં ફસાયેલી બે વ્યક્તિને 108ના સ્ટાફે
મહામહેનતે બહાર કાઢી હતી. ઘટનાને પગલે ધંધૂકા પોલીસ ટીમ પણ ઘટનાસ્થળે પહોંચી છે.
મૃતકો અમદાવાદના રહેવાસીઓ હોવાનું જાણવા મળ્યું છે. ધંધૂકા પોલીસે પરિવારને જાણ
કરીને મૃતદેહને પીએમ માટે હોસ્પિટલમાં ખસેડ્યા છે.
અકસ્માતમાં મૃતકોના નામ
·
પાયલબેન જીગ્નેશભાઈ પટેલ (સૌદર્ય ટાવર, ઘાટલોડિયા)
·
શિલ્પાબેન દિનેશભાઇ પટેલ (શિલ્પગ્રામ એપાર્ટમેન્ટ, ઘાટલોડિયા)
·
ચેતનાબેન રાજેશભાઈ મોદી (યજ્ઞપુરુષનગર સોસાયટી, ઘાટલોડિયા)
·
ભાવનાબેન બીપીનભાઈ ગજ્જર(નારાયણકુટીર, રાયસણ, ગાંધીનગર)
એક સપ્તાહ પહેલાં જ આ
રોડ પર અકસ્માત સર્જાયો હતો
એક સપ્તાહ પહેલાં જ ધંધૂકા-બગોદરા હાઈવે પર વહેલી સવારે 5.00 કલાકે સૌરાષ્ટ્ર તરફ 56 લોકોને ટૂરમાં લઈને જતી
પ્રાઈવેટ બસ ધંધૂકા તાલુકાના ખડોળ ગામના પાટિયા પાસે પલટી મારી જતાં બસમાં સવાર 56 લોકોમાંથી 35 લોકોને ઇજા પહોંચી હતી, જેમાં 3 બાળક સહિત 11 લોકોને ગંભીર ઇજાઓ
પહોંચી હતી. ઇજાગ્રસ્તોને ધંધૂકા અને અમદાવાદ હોસ્પિટલ ખાતે સારવાર માટે ખસેડવામાં
આવ્યા હતા. આ અકસ્માતની જાણ ધંધૂકા પોલીસને અને 108 એમ્બ્યુલન્સને થતાં
તેમણે તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી બચાવ કામગીરી હાથ ધરી હતી.