• Home
  • News
  • 15 અને 17 મે પછી ગુજરાતમાં ફરીવાર ઝોન મુજબ લોક ડાઉન હળવું કરાશે, દુકાનો ખુલશે પણ ચોક્કસ કલાક માટે જ હશે
post

લોકડાઉન સંપૂર્ણપણે નહીં હટે પણ છૂટછાટ આપવા માટે રાજ્ય સરકારે બ્લુ પ્રિન્ટ તૈયાર કરી

Written By newsonline | Ahmedabad | Published: 2020-05-12 08:42:18

અમદાવાદ: આગામી તા.15 મેથી રેડ, ઓરેન્જ અને ગ્રીન ઝોનમાં અલગ-અલગ પ્રકારનાં ચોક્કસ નિયંત્રણો અને હળવાશ સાથે લોકડાઉન ખુલશે. જેમાં રેડ અને ઓરેન્જ ઝોનમાં કેટલાક કલાક માટે જ દુકાનો ખોલવામાં આવી શકે છે. જેમાં શાકભાજી અને કરિયાણા સહિત કેટલાક અન્ય ધંધાઓને પણ છૂટ મળી શકે છે. આમ ગુજરાતના રેડ ઝોનમાં ચોક્કસ કલાક માટે જ લોક ડાઉન ખોલવાની વિચારણા ચાલી રહી છે.

શહેરોના ઓરેન્જ અને ગ્રીન ઝોન વાળા વિસ્તારમાં આખો દિવસ છૂટછાટ મળી શકે
ખાસ કરીને અમદાવાદ સહિતના શહેરોમાં જ્યાં કોરોના હોટસ્પોટ વિસ્તાર છે ત્યાં પણ આગામી બે દિવસના કેસોની સંખ્યાને આધારે 2થી 4 કલાક લોક ડાઉન હળવું કરવામાં આવી શકે છે. આ પ્રકારના શહેરોના ઓરેન્જ અને ગ્રીન ઝોન વાળા વિસ્તારમાં આખો દિવસ છૂટછાટ આપવામાં આવે, પરંતુ એ વિસ્તારની બહાર જવા અને ખાસ કરી હોટ સ્પોટ વિસ્તારમાં જવા પર પ્રતિબંધ મૂકી શકે છે. રાજ્યના શહેરી વિસ્તારની મુખ્ય બજારો સવારનાં 9 થી સાંજના 5.00 વાગ્યા સુધી જ ખુલવા દેવાશે. પરંતુ વેપારી અને ગ્રાહકોએ કોરોના ગાઇડલાઇન્સનું પાલન કરવું પડશે. નવી ગાઇડલાઇન્સ મુજબ 17મી પછી શહેરી વિસ્તારોમાં અવર-જવર માટે અધિકૃત પાસની આવશ્યકતા નહીં રહે તેમજ 33 ટકા સ્ટાફ સાથે ઓફિસો ખોલી શકાશે. ખાસ કરીને સ્કૂલ, મોલ્સ, સિનેમાગૃહ તેમજ ભીડવાળા ધાર્મિક સ્થળો હજુ પણ બંધ જ રાખવામાં આવી શકે છે. જો કે હોટેલ-રેસ્ટોરન્ટસ વગેરેને ઓનલાઇન પાર્સલ સુવિધા આપવાની છૂટ અપાશે. 

ગુજરાત સરકારે બ્લુ પ્રિન્ટ તૈયાર કરી, અનેક ધંધાઓ ખોલવા માટે નિયમો બનાવ્યા
લોકડાઉન-3માં 17મી મે પછી રાજ્યોની આર્થિક સ્થિતિને પહોંચી વળવા માટે સરકારે ખાસ રણનીતિ તૈયાર કરી છે. તેમાં બજારોને છૂટછાટની મંજૂરી આપવામાં આવી છે. ગુજરાત સરકારે પણ તેની બ્લુ પ્રિન્ટ તૈયાર કરી લીધી છે. જેમાં અનેક ધંધાઓ ખોલવા માટેના નિયમો પણ બનાવ્યા છે. જેમાં શહેરની તમામ કાપડની દુકાનો ખુલ્લી રાખી શકાશે. 

હાર્ડવેર, સેનેટાઈઝ, બુટ-ચંપલ, બુટ-પોલિશ, પ્લમ્બર, સિમેન્ટની દુકાનો ખુલી શકે
બજારોમાં 17મી પછી હાર્ડવેર, સેનેટાઈઝ, બુટ-ચંપલ, બુટ-પોલિશ, પ્લમ્બર, સિમેન્ટના વિક્રેતાઓની દુકાનો ખોલવાની વિચારણા છે. તમામ બજારો બપોરે 7 થી સાંજના 5 વાગ્યા સુધી ખુલ્લી રાખવાની મંજૂરી અપાશે તેમ જાણવા મળી રહ્યું છે. 

જે શહેરમાં બજારો ખુલ્યા બાદ કોરોનાના ફરી 10-15 પોઝિટિવ કેસ આવશે તો છૂટછાટ પાછી ખેંચાશે
લોકડાઉન બાદ પણ શહેરોની અંદર પ્રવેશવાની ચેકપોસ્ટમાં વધુ કડક ચેકીંગ કરાશે. સરકાર રૂપરેખા તો તૈયાર કરી રહી છે પણ જે શહેરમાં બજારો ખુલ્યા બાદ જો ફરી 10 થી 15 કોરોનાનાં પોઝિટિવ કેસ આવશે તો તે વિસ્તારોમાં આપેલી છૂટછાટ પાછી ખેંચવામાં આવશે અને તે વિસ્તારોમાં ફરીવાર લોકડાઉનનો કડક અમલ કરાવાશે.