• Home
  • News
  • અસારવા સિવિલ હોસ્પિટલમાં 85 વર્ષની વૃદ્ધાનું કોરોનાને કારણે મોત નીપજ્યું
post

AMCએ શરૂ કર્યુ 'I Care For Ahmedabad'નામનું કેમ્પેઇન, ફૂડ પેકેટ અને વોલેન્ટીયર માટે રજિસ્ટ્રેશન કરાવી મદદ કરી શકશો

Written By newsonline | Ahmedabad | Published: 2020-03-26 08:45:24

અમદાવાદ: અમદાવાદમાં કોરોના વાઇરસને કારણે એક વૃદ્ધાનું મોત નીપજ્યું છે. 85 વર્ષના વૃદ્ધાનું અમદાવાદમાં અસારવા સિવિલ હોસ્પિટલમાં મોત નીપજ્યું છે. મૃતક અમદાવાદની જ મહિલા છે અને સાઉદી અરેબિયામાં મક્કા-મદિનાથી 14 માર્ચે ભારત પરત ફર્યા હતા. 8 દિવસ ઘરે રહ્યા બાદ 22 માર્ચે સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરવામાં આવ્યા હતાં. મૃતક અન્ય શારીરિક તકલીફોથી પણ પીડિત હતાં. સુરત બાદ ગુજરાતમાં કોરોનાને કારણે આ બીજું મોત થયું છે.

તંત્ર પગપાળા જતા શ્રમજીવીઓને રાજસ્થાન બોર્ડર સુધી પહોંચાડશે
રાજસ્થાના વતનીઓ જે શ્રમજીવી તરીકે ગુજરાતમાં રહે છે. તે હાલ લોકડાઉનને કારણે ગુજરાતમાં ફસાયા છે. ત્યારે તેમણે પગપાળા રાજસ્થાન જવા હિજરત શરૂ કરી હતી. જેને ધ્યાને રાખી ગાંધીનગરથી રાજ્ય સરકારે 10 જેટલી બસો મારફતે તેમને રાજસ્થાન મોકલવાની તૈયારી કરવામાં આવી છે. આ તમામ શ્રમજીવી લોકોને રાજસ્થાન બોર્ડર સુધી મોકલવા માટે તંત્રએ વ્યવસ્થા કરી છે. જ્યારે ગૃહમંત્રી અને નાયબ મુખ્યમંત્રી લોકોને મદદ કરવા રોડ પર ઊભા રહી ગયા હતા.

AMCએ કર્મચારીઓને ઘરેથી કામ કરવા કહ્યું

કોરોના વાઇરસના પગલે 14 એપ્રિલ સુધી લોકડાઉનની જાહેરાત કરવામાં આવી છે. લોકડાઉનનું સંપૂર્ણ પાલન થાય અને લોકો મ્યુનિસિપલ કોર્પોરેશનની સેવાઓ માટે બહાર ન નીકળે તે માટે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની તમામ કચેરીઓ 14 એપ્રિલ સુધી બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. જેને લઇને મ્યુનિસિપલ કમિશનર વિજય નહેરાએ પરિપત્ર જાહેર કર્યો છે. અધિકારીઓ અને કર્મચારીઓએ ઘરેથી કામ (work from home) કરવાનું રહેશે. તમામ કર્મચારીઓને ફોન અને ઈમેલ પર એક્ટિવ રહેવા સૂચના આપવામાં આવી છે. માત્ર ઇમરજન્સી સેવાઓનો વિભાગ અને આરોગ્ય વિભાગના કર્મચારીઓ ઓન ડ્યૂટી રહેશે. ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર, આસિસ્ટન્ટ મ્યુનિસિપલ કમિશનર, નાણાં, ટ્રેઝરી અને અન્ય ખાતાના અધિકારીઓ જરૂર પડે તો ઓછામાં ઓછા સ્ટાફ સાથે ચાલુ રાખી શકશે તેવી જાહેરાત કરવામાં આવી છે.

સાણંદની કંપનીના જાપાનીઝ એમડીને હોમક્વોરેન્ટાઇન કર્યાં
અમદાવાદ મહાનગરપાલિકાએ વોટ્સદ્વારા એક સુવિઘા ચાલુ કરી છે. જે અંતર્ગત તમારી આસપાસ જો કોઇ વિદેશથી આવ્યું હોય તો તમે ફોન કરી તે મામલે તંત્રને જાણ કરી શકો છે. ત્યારે આ સુવિધા અંતર્ગત પાલિકાને મોબાઇલમાં એક મેસેજ મળ્યો હતો. જેના આધારે બોડકદેવ હોમ ક્વોરેન્ટાઇન ટીમ દ્વારા એક જાપાનના વ્યક્તિને ક્વોરેન્ટાઇન કરવામાં આવ્યો છે. મેસેજ મળ્યાના 2 કલાકમાં જ ટીમે આ વ્યક્તિનો સંપર્ક કરી તેને હોમ ક્વોરેન્ટાઇન કર્યો છે. મળતી માહિતી મુજબ, સાણંદમાં Moresco HM & Lub India Private Limited નામની કંપની ચાલે છે, તેના એમડી જાપાનીઝ છે. તેઓ 19મી માર્ચે વિદેશથી અમદાવાદ આવ્યા હતા. ત્યારે તેમને જાપાનીઝ સિવાય એક પણ ભાષા આવડતી ન હોવાથી ક્વોરેન્ટાઇન કરવા આવેલી ટીમે તેમની કંપનીના એચઆરનો સંપર્ક કરી સમગ્ર માહિતી આપી હતી. ત્યારે આ મામલે તેમને 14 દિવસ માટે હોમ ક્વોરેન્ટાઇન કરવામાં આવ્યા છે. તેમની તમામ જરૂરિયાતની ચીજવસ્તુઓ કંપની પૂરી પાડશે. આ ઉપરાંત તેમની મેડિકલ તપાસ પણ કરવામાં આવશે.

લોકો લિન્ક પર ફોર્મ ભરી કરી શકશે મદદ

કોરોના વાઇરસ નામની વૈશ્વિક મહામારી સામે સમગ્ર વિશ્વ લડી રહ્યું છે. ભારતમાં બુધવારથી લોકડાઉનની જાહેરાત કરવામાં આવી છે. કોરોના વાઇરસ સામે લડવા અને લોકોને મદદરૂપ થવા અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનએ સાથે મળી કામ કરવા અપીલ કરી છે. મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા I Care For Ahmedabad નામનું કેમ્પેઇન શરૂ કર્યું છે જે પણ સ્વૈચ્છિક સંસ્થાઓ અથવા અમદાવાદીઓ લોકોને મદદરૂપ થવા માંગતા હોય તેઓ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની વેબસાઈટની આ લિંક https://t.co/7oFJ1Mxdl8 પર QR કોડ સ્કેન કરી અથવા https://t.co/SRoPtHIBAq પર ફોર્મ ભરી પોતાનું રજિસ્ટ્રેશન કરાવી શકશે. જ્યારે અમદાવાદ તેમજ ગાંધીનગર શહેર અને જિલ્લામાં લોકડાઉનમાંથી મુક્તિ મેળવવા માટે પાસ સિસ્ટમ લાગુ કરવામાં આવી છે.
હોમ ક્વોરોન્ટાઇનમાં રખાયેલા 3500 લોકોને કોર્પોરેશને ભોજનની વ્યવસ્થા કરી

 

વિદેશથી આવેલા લોકો અને તેમના પરિવારને 14 દિવસ હોમ ક્વોરોન્ટાઇન અથવા સરકારી ક્વોરોન્ટાઇનમાં રાખવામાં આવે છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા તમામ હોમ- સરકારી ક્વોરોન્ટાઇન થયેલા લોકોને બપોરનું અને સાંજનું જમવાનું પોહચડવામાં આવી રહ્યું છે. અમદાવાદમાં સ્પોર્ટ સ્કૂલમાં 200 લોકો સહિત 3735 પરિવારને બપોરનું ભોજન પહોચાડવામાં આવ્યું છે. જ્યારે 3668 પરિવારને રાતનું જમવાનું પહોંચાડવામાં આવશે. 446 પરિવારને દૂધનો પાવડર પહોંચાડવામાં આવ્યો છે. સૌથી વધુ પશ્ચિમ વિસ્તારમાં 1000 પરિવારને બપોરનું ભોજન પહોંચાડવામાં આવ્યુ છે. 

JET અને કોર્પોરેશન દ્વારા ગરીબોને ફૂડ પેકેટ પહોંચાડાયા

 

દેશમાં લોકડાઉનના કારણે વેપાર ધંધા બંધ થઈ ગયા છે. રોજ કમાઈ અને રોજ ખાવાવાળો વર્ગ મુશ્કેલીમાં મુકાયો છે. જેને લઈ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ફૂડ પેકેટની વ્યવસ્થા કરવામા આવી છે. તમામ 48 વોર્ડમાં JETની ટીમ અને કોર્પોરેશનના આરોગ્ય વિભાગ સહિતની અલગ અલગ ટીમો વિસ્તારમાં ફરી અને ગરીબો અને રોજનું ખાનારા લોકોને ફૂડ પેકેટ પોહચાડી રહ્યા છે. મંગળવારે 2000થી વધુ ફૂડ પેકેટ અને નાસ્તો અલગ અલગ વિસ્તારમાં પોહચાડવામાં આવ્યા હતા. ત્યારે આજે પણ દિવસભરમાં 4700 પેકેટ પહોંચાડવામાં આવ્યા છે.
શાકભાજી લેવા મોટી સંખ્યામાં સવારથી જ લોકો ભેગા થયા

સમગ્ર દેશમાં લોકડાઉનની જાહેરાત વચ્ચે સાબરમતી રામનગર શાકમાર્કેટ ભરાયેલું જોવા મળ્યું છે. શાકભાજી લેવા મોટી સંખ્યામાં સવારથી જ લોકો ભેગા થઈ રહ્યા છે. બપોર પડવા આવી છતાં લોકો  બહાર નીકળી જ રહ્યા છે. પોલીસની ગાડી આવે છે પરંતુ લોકોને સમજાવી ઘરે નથી મોકલી રહી. આખા રામનગર વિસ્તારમાં લોકો ફરી રહ્યા છે.

દુકાનદારોએ દુકાનની બહાર ગોળ કુંડાળા બનાવ્યા

 

સમગ્ર દેશમાં આજથી 21 દિવસ લોકડાઉનની જાહેરાતમાં વડાપ્રધાન મોદીએ સોશિયલ ડિસ્ટનસ એટલે એકબીજાથી દૂર રહેવા કહ્યું હતું. ચીજ વસ્તુઓ લેવા જતી વખતે સોશિયલ ડિસ્ટન્સ રાખવા અપીલ કરવામાં આવી છે જેનો અમલ અમદાવાદમાં શરૂ થઈ ગયો છે. શહેરના વિવિધ વિસ્તારમાં દુકાનદારોએ દુકાનની બહાર ગોળ કુંડાળા બનાવ્યા છે. પાંચ ફૂટ દૂર કુંડાળા બનાવી વસ્તુ લેવા ઉભા રહેવા જણાવે છે. દવા, કરીયાણું અને દૂધની દુકાનો બહાર આવા કુંડાળા જોવા મળી રહ્યા છે. કેટલીક જગ્યાએ આનો અમલ શરૂ કરી દેવામાં આવ્યો છે.

રિવરફ્રન્ટ પર શાકભાજીના વેચાણની વ્યવસ્થા

 

શાકભાજી લેવા માટે જમાલપુર સહિતની માર્કેટમાં ભીડ ન થાય તે માટે એલિસબ્રિજ, ગુજરીબજાર, રિવરફ્રન્ટ પર શાકભાજીના વેચાણની વ્યવસ્થા કરવામાં આવી છે. ભીડભાડ ન થાય તે માટે ખુલ્લી જગ્યામા ડિસ્ટન્સ રહે તેવી વ્યવસ્થા કરાઈ છે. જમાલપુર બ્રિજ નીચેથી શાક માર્કેટ ભીડભાડના કારણે સંપૂર્ણ બંધ કરાવી રિવરફ્રન્ટ ગુર્જરી બજારમા શરૂ કરવામાં આવ્યું છે. વેપારીઓને પણ 5થી 10 ફૂટ જેટલા દૂર રાખવામાં આવ્યા છે.

શાકભાજીના ભાવમાં બેથી ત્રણ ગણો વધારો
હાલમાં અમદાવાદની સોસાયટીઓ તેમજ અન્ય એરિયાઓમાં શાકભાજીની લારીઓ આવવાની મનાઈ છે. ત્યારે માર્કેટમાંથી સોસાયટી સુધી શાકભાજી પહોંચાડવા માટે ટ્રાન્સપોર્ટના ભાડા પણ ત્રણ ગણા વધી ગયા છે. બટાકા,ટામેટા સહિતની શાકભાજીના ભાવમાં વધારો થયો છે. ભાવ વધારા પાછળ મુખ્ય કારણ ગુડઝ વાહનો છે. કારણ કે શાકભાજી લાવતી રિક્ષા સહિતના ભાડામાં બેથી ત્રણ ગણો વધારો કરવામાં આવ્યો છે. 

 

 

 

adv

Related News

post
post
post
post
post
post
post