• Home
  • News
  • ઉત્તર ગુજરાતના પોશીના તાલુકાનાં તમામ 59 ગામ કોરોનામુક્ત, 1.25 લાખ વસતિવાળા તાલુકામાં એકપણ એક્ટિવ કેસ નથી, 8 માસમાં માત્ર 14 કેસ, એકપણ મોત થયું નથી
post

રોજ કપરી ભૌગોલિક સ્થિતિમાં તનતોડ મહેનત, સ્વસ્થ ખોરાકવાળી તંદુરસ્ત જીવનશૈલી, એ વિસ્તારની પ્રજાને આઠ માસ થવા છતાં કોરોના સ્પર્શી શક્યો નથી

Written By newsonline | Ahmedabad | Published: 2020-12-14 09:30:42

વનવાસી અને પછાત પંથક ગણાતા પોશીના તાલુકો કોરોના મહામારીથી બચવાનો અનેરો નિર્દેશ કરે છે. પુરાતનકાળથી જ દૂર દૂર રહેવું, પ્રસંગ મેળા વગર એકઠા ન થવું જેવું સોશિયલ ડિસ્ટન્સિંગ જેના જીવનમાં વણાઈ ગયું છે અને પ્રતિદિન કપરી ભૌગોલિક સ્થિતિમાં તનતોડ મહેનત અને સ્વસ્થ ખોરાકવાળી તંદુરસ્ત જીવનશૈલી જેમના જીવનમાં વણાઈ ગઈ છે એ વિસ્તારની પ્રજાને આઠ માસ થવા છતાં કોરોના સ્પર્શી શક્યો નથી. અત્યારસુધીમાં માત્ર 14 કેસ નોંધાયા છે અને એ પણ સંક્રમિત વિસ્તારોમાં નોકરી-મજૂરી કરતા હતા. 1.25 લાખની વસતિ ધરાવતા તાલુકાનાં 59 ગામમાં હાલમાં એક પણ એક્ટિવ કેસ ન હોવાનું આરોગ્ય સૂત્રો જણાવી રહ્યાં છે. પોશીના તાલુકામાં વસતા આદિવાસી લોકોની રહેણીકરણી અને આજે કોરોનાની વૈશ્વિક મહામારીમાં પણ આ વિસ્તારની પ્રજા વિનાડરે પોતાનું રોજિંદું જીવન શાંતિથી જીવી રહી છે. તેમને કોરોના નામનો કોઈ ડર જ મનમાં નથી. તેઓ શરૂઆતથી જ છૂટાછવાયાં ઘર બનાવી રહે છે અને સતત કામથી શારીરિક રીતે પણ ખૂબ ખડતલ શરીર ધરાવે છે, જેથી રોગપ્રતિકારક શક્તિ પણ વધુ હોય છે, ખાસ તો માનસિક રીતે આ પ્રજા પોતાનાં કામ અને વિવિધ ધાર્મિક અને સામાજિક ઉત્સવોમાં મશગૂલ રહે છે. તેઓ વધુ આશાવાદી વિચારો રાખતા નથી.

જેથી તેઓ રોજનું જે મળે એમાં જ સંતોષ માને છે. તેમની આ જીવનશૈલીને કારણે આજે વૈશ્વિક મહામારી છતાં શાંતિથી જીવન વિતાવી રહ્યા છે. પોશીના તાલુકાના સરકારી આંકડા મુજબ, ફક્ત 14 કોરોના કેસ નોંધાયેલા છે અને તાલુકામાં એકપણ કોરોનાને કારણે મોત થયું નથી અને પોશીના તાલુકાનાં 59 ગામ આવેલાં છે, જેમાંથી આરોગ્ય વિભાગ દ્વારા અત્યારસુધીમાં કોરોનાની 62 ટકા જેટલી કામગીરી કરાઈ છે.

કોરોના વિશે ગ્રામજનોને માહિતગાર કરાયા છે : ગણેરના સરપંચ
ગણેર ગામના સરપંચ જયંતીભાઈ મૂળીના જણાવ્યા અનુસાર, અમારા લોકો છૂટાછવાયા ઘર બાંધી રહે છે છતાં અમે આ કોરોના મહામારી વિશે લોકોને માહિતગાર કર્યા હતા. સ્વચ્છતા રાખવી તથા વધુ લોકો એકઠા થાય તેવા કાર્યક્રમો ન યોજવા તથા બજારમાં ખરીદી માટે જાઓ ત્યારે ફરજિયાત માસ્ક પહેરવું અને અન્ય ચીજવસ્તુઓને ન અડવી જેવી બાબતોથી ગામલોકોને માહિતગાર કર્યા છે.

કુદરતના ખોળે રહેતી પ્રજાનું કુદરતી સોશિયલ ડિસ્ટન્સિંગ
પોશીના તાલુકાનો વિસ્તાર ડુંગરાળ છે. વનવાસી પ્રજા પુરાતનકાળથી જ ડુંગરો પર છૂટાછવાયાં ઘર બનાવી રહે છે અને સોશિયલ ડિસ્ટન્સિંગ તેમના જીવનમાં જ વણાઈ ગયું છે. તદુપરાંત આ પ્રજા શહેરી વિસ્તારથી મોટા ભાગે દૂર રહે છે, જીવનશૈલી પણ સાત્ત્વિક અને તંદુરસ્ત છે.

તકેદારી: પંથકમાં યોજાતા મેળા, મેળાવડા કે ધાર્મિક પ્રસંગો યોજાયા ન હોવાથી વિસ્તાર કોરોના સંક્રમણથી બચી રહ્યો છે
પોશીના તાલુકો પછાત વિસ્તાર ગણાતો હોવાથી શહેરના લોકોનો અહીં ધસારો થતો નથી. સંક્રમિત વિસ્તારના લોકો આવતા ન હોવાને કારણે કોરોના વાઇરસ અહીં સુધી પહોંચ્યો નથી, એવું માનવામાં આવી રહ્યું છે. તદુપરાંત પંથકમાં યોજાતા મેળા, મેળાવડા કે ધાર્મિક પ્રસંગો યોજાયા નથી, જેને કારણે આ વિસ્તાર અત્યારસુધી કોરોનામુક્ત રહી શક્યો છે.

 

adv

Related News

post
post
post
post
post
post
post