• Home
  • News
  • વધુ એક જોડી તૂટી:શિખર ધવન-આયશા મુખર્જી 9 વર્ષ બાદ થયાં અલગ, ભાવુક પોસ્ટ કરી આયશાએ કહ્યું- 'મને લાગે છે કે તલાક એક ખરાબ શબ્દ છે છતાં બે વખત થઈ ગયા'
post

2012માં ધવન અને આયશા લગ્નના બંધનમાં બંધાયાં હતાં

Written By newsonline | Ahmedabad | Published: 2021-09-08 10:20:18

ભારતીય બેટ્સમેન શિખર ધવન અને પત્ની આયશા મુખર્જી વચ્ચે તલાક થઈ ગયા છે. આયશાએ આ અંગેની જાણકારી પોતાના ઈન્સ્ટાગ્રામ પોસ્ટની મદદથી આપી છે. 2012માં ધવન અને આયશા લગ્ન બંધનમાં બંધાયાં હતાં અને 2014માં આ જોડીએ એક પુત્રને જન્મ આપ્યો હતો. લગ્નનાં 9 વર્ષ બાદ છૂટાછેડાનો આ નિર્ણય ઘણો જ ચોંકાવનારો છે. જોકે આ મુદ્દે ધવનનું હજુ સુધી કોઈ જ સત્તાવાર નિવેદન સામે આવ્યું નથી. આ પહેલાં રિપોર્ટ આવ્યા હતા કે શિખર અને આયશાએ એકબીજાને સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઈન્સ્ટાગ્રામ પર અનફોલો કરી દીધાં હતાં. એટલું જ નહીં, આયશાએ શિખરની તમામ તસવીરો પણ પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટમાંથી ડિલિટ કરી દીધી હતી.

આયશાએ છૂટાછેડાનો અનુભવ લખ્યો
પશ્ચિમ બંગાળની આયશાએ તલાક અંગે ઈન્સ્ટાગ્રામ પર લખ્યું, "એક વખત તલાક થઈ ચૂક્યા છે અને લાગી રહ્યું હતું કે બીજી વખત ઘણું બધું દાવ પર લાગેલું હતું. મારે ઘણું બધું પુરવાર કરવાનું હતું, તેથી જ્યારે મારા બીજા લગ્ન તૂટ્યા તો એ વાત ઘણી જ ડરાવનારી હતી. મેં વિચાર્યું હતું કે તલાક એક ખરાબ શબ્દ છે, તેમ છતાં મારા બે વખત તલાક થઈ ગયા. સૌથી સારી વાત એ છે કે શબ્દોના કેટલા શક્તિશાળી અર્થ અને સંબંધ હોય છે. મેં છૂટાછેડા લઈને આ અનુભવ કર્યો. પહેલી વખત જ્યારે મારા તલાક થયા ત્યારે હું ઘણી જ ડરી ગઈ હતી. મને લાગતું હતું કે હું નિષ્ફળ થઈ ગઈ છું અને એ સમયે મેં ઘણી ભૂલો કરી હતી. મને લાગ્યું કે જાણે મેં બધાને નીચા જોવાપણું કર્યું છે અને સ્વાર્થી છું એવું પણ લાગ્યું. મને લાગતું હતું કે હું મારાં માતા-પિતાને નિરાશ કરી રહી છું. મને લાગ્યું કે હું મારાં બાળકોને નીચા દેખાડી રહી છું અને કેટલીક હદે તો મને લાગ્યું કે મેં ભગવાનનું પણ અપમાન કર્યું છે. તલાક ઘણો જ ખરાબ શબ્દ હતો."

2020માં બંનેના સંબંધ વણસ્યા હતા
વર્ષ 2020થી બંનેના સંબંધો સારા નથી ચાલી રહ્યા, એવા સમાચારો સામે આવ્યા હતા. બંનેએ એકબીજાને સોશિયલ મીડિયા પર અનફોલો પણ કરી દીધા હતા, સાથે જ આયશાએ પોતાના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પરથી શિખરની તસવીરો હટાવી દીધી હતી. જોકે ધવનના એકાઉન્ટ પર આયશાની તસવીર હતી.

શિખર ધવનથી 10 વર્ષ મોટી આયશાને પહેલા પતિથી બે દીકરી છે
શિખર ધવન સાથે લગ્ન થયા એ પહેલાં આયશા ડિવોર્સી હતી. તેને પહેલા પતિથી બે પુત્રી છે. પહેલા પતિથી તલાક લીધા બાદ શિખર ધવન સાથે તેના લગ્ન થયા હતા. ધવન અને આયશા એક કોમન ફ્રેન્ડની મદદથી મળ્યા હતા. એ બાદ સોશિયલ મીડિયાના માધ્યમથી લાંબા સમય સુધી બંને એકબીજા સાથે જોડાયેલાં રહ્યાં. આયશા ઉંમરમાં શિખર ધવનથી 10 વર્ષ મોટી છે. બંનેને એક પુત્ર પણ છે, જેનું નામ જોરાવર છે.


આયશા સાથે લગ્ન બાદ એક વ્યક્તિ અને ક્રિકેટર તરીકે બદલાવ આવ્યો હતોઃ શિખર ધવન
ઈન્ડિયન ક્રિકેટ ટીમમાં ગબ્બર તરીકે ઓળખાતા શિખર ધવને જ્યારે પોતાનાથી 10 વર્ષ મોટી આયશા સાથે લગ્ન કર્યા હતા ત્યારે ઘણા લોકોએ આ સંબંધ અંગે ચર્ચા કરી હતી. જોકે ધવનના પરિવારે તેને સાથ આપ્યો હતો. ધવને અનેક વખત આ અંગે વાત કરી છે કે આયશા સાથે લગ્ન પછી તેમના જીવનમાં બદલાવ આવ્યો છે. તે અનેક વખત કહી ચૂક્યો છે કે આયશાને મળ્યા બાદ તે એક વ્યક્તિ અને એક ક્રિકેટર તરીકે કેવી રીતે ઘણો બદલાયો છે.