ગૃહ સચિવના વડપણ હેઠળ મળેલી બેઠકમાં સમીક્ષા પછી લેવાયેલો નિર્ણય
અમદાવાદ: સગીરા પરની
બળાત્કારની ઘટનાઓમાં હવેથી પંચ-સાક્ષી તરીકે ખાનગી માણસને નહીં રાખી શકાય. ફક્ત
સરકારી બાબુઓને જ પંચ કે સાક્ષી બનાવી શકાશે. સગીરા પરની બળાત્કારની ઘટનાઓમાં
પંચ-સાક્ષી ફરી જતા હોવાથી આરોપીઓને યોગ્ય સજા થતી ન હતી. જેથી ભવિષ્યમાં કોઇ
ઘટનામાં પંચ-સાક્ષી ફરી ન જાય તે માટે રાજ્ય સરકારે સરકારી બાબુઓને જ પંચ- સાક્ષી
બનાવવાનું નક્કી કર્યુ છે. ઉલ્લેખનીય છે કે છેલ્લા 5 વર્ષમાં
ગુજરાતમાં બળાત્કારની 6116 ઘટના બની હતી. તેમાંથી 3486 ઘટનાઓમાં
ભોગ બનનાર સગીરાઓ હતી.
મહિલાઓ અને બાળકો પરના અત્યાચારના ગુનાઓની સમીક્ષા કરવા
માટે સરકારે મોનિટરિંગ કમિટીની રચના કરી છે. આ કમિટી દ્વારા મહિનામાં 2 વખત સગીરા પરની બળાત્કારની ઘટનાઓની સમીક્ષા કરવામાં આવી રહી
છે. જેમાં તાત્કાલિક ફરિયાદ નોંધવી,તપાસ તાત્કાલિક પૂરી કરવી,ચાર્જશીટ સમયસર ફાઈલ કરવી તેમજ જરૂર જણાય તો ફાસ્ટ્રેક
કોર્ટની રચના કરવા સહિતના પ્રસ્તાવ મૂકવામાં આવ્યા હતા.
જ્યારે 11 જૂન 2020 ના રોજ ગૃહ રાજ્યના મુખ્ય સચિવની અધ્યક્ષતામાં સગીરા પરના
બળાત્કારની ઘટનાઓ બાબતે મિટિંગ મળી હતી. જેમાં ખાનગી પંચો-સાક્ષીઓ ફરી જતા હોવાથી
આરોપીઓને યોગ્ય સજા થતી નહીં હોવાનું ફલિત થયું હતું. જેથી સગીરા પરની બળાત્કારની
ઘટનાઓમાં પંચ-સાક્ષી તરીકે ખાનગી માણસો નહીં પરંતુ સરકારી બાબુઓને રાખવાનો નિર્ણય
લેવાયો છે. આ અંગે સીઆઈડી ક્રાઈમના વડા અનિલ પ્રથમે તમામ પોલીસ કમિશનર, રેન્જ ડીઆઈજી તેમજ જિલ્લા પોલીસ વડાઓઓને પરિપત્ર કરીને આ
અંગે જાણ કરી દીધી છે.
5 વર્ષમાં બળાત્કારની ઘટનાઓ
વર્ષ |
ગુજરાત |
અમદાવાદ |
2014 - 2015 |
1,097 |
147 |
2015 - 2016 |
1,103 |
128 |
2016 - 2017 |
1,168 |
193 |
2017 - 2018 |
1,272 |
177 |
2018 - 2019 |
1,477 |
215 |
રાજ્યમાં અમદાવાદ મોખરે
ગુજરાતમાં 5 વર્ષમાં બળાત્કારની 6116 ફરિયાદો થઇ
હતી. તેમાંથી 3486 ભોગ બનનારી સગીરાઓ હતી. તેમાં 5 વર્ષમાં સૌથી વધારે 860 બળાત્કાર
અમદાવાદમાં થયા હતા. જેથી અન્ય ગુનાઓની જેમ જ બળાત્કારના ગુનાઓમાં પણ અમદાવાદ
મોખરે રહ્યું છે.