ગૃહમંત્રીની ટકોર- સામાન્ય જનતા એ રીઢા ગુનેગાર નથી એક નાગરિક છે, પોલીસ સ્વભાવ બદલે
શી ટીમ એપના લોન્ચિંગ અને ટ્રાફિક ચેમ્પ
અભિયાનમાં વડોદરા આવેલા ગૃહમંત્રી હર્ષ સંઘવીએ ટ્રાફિક પોલીસને જનતા સાથે સારો
વ્યવહાર કરવા સૂચન કર્યું હતું. તેઓએ જનતા રીઢા ગુનેગાર નથી, તેમને
એક નાગરિક તરીકે જોઇ પોલીસે સ્વભાવમાં બદલાવ લાવવા ટકોર કરી હતી. ગાંધી નગરગૃહમાં
યોજાયેલા કાર્યક્રમમાં ગૃહ મંત્રી હર્ષ સંઘવીએ કોરોનામાં પોલીસ અને શી ટીમે કરેલા
કામ તેમજ પોલીસે ધર્માંતરણ, ગુજસીટોકમાં વડોદરાની ગુંડા ગેંગનો સફાયો અને
ડુપ્લીકેટ રેમડીસીવિરની કાર્યવાહીની પ્રશંસા કરી હતી.
સાથે તેઓએ પોલીસ અને પબ્લિક વચ્ચે થતા ઘર્ષણ
અંગે પોલીસને ટકોર કરી હતી કે, ગ્રાઉન્ડ પર કામ કરતા પોલીસ કર્મચારીઓમાં માનસિક
તણાવ વધુ હોય છે અને તેની અસર તેમના વ્યવહાર પડતી હોય છે. કદાચ સામાન્ય પબ્લિક
માસ્ક અને સીટ બેલ્ટ લગાવવાનું ભૂલી જાય તો તેઓ રીઢા ગુનેગાર નથી પરંતુ એક નાગરિક
છે તે રીતે જોવું જોઈએ. કેટલીકવાર મારાથી,
પોલીસના સિનિયર
અધિકારીઓથી તેમજ મંચ પર બેઠેલા મહાનુભાવોથી ટ્રાફિક નિયમનમાં ભૂલ થઈ હશે જ. પરંતુ
માત્ર ફાઈન જ લેવો છે કે રસીદ બનાવવી છે એવો અભિગમ ન રાખવો જોઈએ. પોલીસે સ્વભાવમાં
બદલાવ લાવવાનો પ્રયાસ કરવો જોઈએ. તદુપરાંત શહેરમાં પ્રોહીબીશનને નાથવા જેમાં ખાસ
કરીને ડ્રગ્સ માટે શહેર પોલીસે કડક યોજના બનાવી મોડલ ઊભું કરવું જોઈએ.
ગૃહમંત્રીએ પોતાના માટેનો સોફા હટાવી અન્ય જેવી
જ ખુરશી મૂકાવી
ગાંધી નગરગૃહમાં સ્ટેજ પર ગૃહમંત્રી માટે અલગ પ્રકારની ખુરશી મૂકાઈ હતી.
કાર્યકમમાં આવી પહોંચેલા ગૃહમંત્રી હર્ષ સંઘવીએ સ્ટેજ પહોંચતાં જ સૌથી પહેલાં
ખુરશીને હટાવી બધાની ખુરશીની જેમ કોમન ખુરશી મૂકવા જણાવ્યું હતું. ખુરશી મૂકાતા
તેઓએ મહાનુભાવો સાથે પદગ્રહણ કર્યું હતું.