• Home
  • News
  • બાપુ એશિયા કપમાંથી આઉટ:અક્ષર પટેલની એન્ટ્રી, રવીન્દ્રને ઘૂંટણમાં ઈજા થતાં નહીં રમી શકે; ચાહકો નિરાશ
post

ટીમ ઈન્ડિયાના સ્ટાર ઓલરાઉન્ડર રવીન્દ્ર જાડેજાની ગણના સૌથી ફિટ ક્રિકેટરોમાં થાય છે

Written By newsonline | Ahmedabad | Published: 2022-09-03 14:07:32

ભારતીય ટીમના સ્ટાર ઓલરાઉન્ડર રવીન્દ્ર જાડેજાને જમણા પગના ઘૂંટણમાં ઈજા પહોંચી છે. જેના કારણે તે એશિયા કપમાંથી બહાર થઈ ગયો છે. તેની જગ્યાએ અક્ષર પટેલને ટીમમાં સ્થાન મળ્યુ છે. અક્ષર પટેલને સ્ટેંડબાય તરીકે રાખવામાં આવ્યો હતો.

ભારતીય ટીમના લેફ્ટ આર્મ સ્પિનર અને લેફ્ટ આર્મ બેટ્સમેન રવીન્દ્ર જાડેજા ઈજાગ્રસ્ત થયો હતો. તેને મેચ દરમિયાન ઘૂંટણના ભાગમાં ઈજા પહોંચી હતી. તેની જગ્યાએ હવે ઓલરાઉન્ડર અક્ષર પટેલને ટીમમાં લેવામાં આવ્યો છે. આ અંગેની જાણકારી BCCIએ પોતાના ટ્વિટર હેન્ડલ ઉપરથી કરી હતી.

એશિયા કપમાં જાડેજાનું પ્રદર્શન
પાકિસ્તાન સામેના મેચમાં જાડેજાએ 29 બોલમાં 35 રનની મહત્વની ઇનિંગ રમી હતી. તો બોલિંગમાં તેણે 2 ઓવરમાં માત્ર 11 રન જ દીધા હતા. હોંગકોંગ સામેના મેચમાં તેણે 4 ઓવરમાં માત્ર 15 રન આપીને 1 વિકેટ લીધી હતી. તો શાનદાર થ્રો કરીને રનઆઉટ પણ કર્યો હતો.

2022માં 50+ની એવરેજથી વધુ રન બનાવ્યા છે

T20 ક્રિકેટમાં જાડેજા શાનદાર ફોર્મમાં રહેલો છે. આ વર્ષે તેણે 9 મેચમાં 50.25ની ઓવરેજથી 201 રન બનાવ્યા છે. આ દરમિયાન તેની સ્ટ્રાઈક રેટ 141.54ની રહી છે. તો બોલિંગમાં 9 મેચમાં 5 વિકેટ લીધી છે.

જાડેજાને થોડા મહિનાઓથી ઘણી વખત ઈજા પહોંચી છે

ટીમ ઈન્ડિયાના સ્ટાર ઓલરાઉન્ડર રવીન્દ્ર જાડેજાની ગણના સૌથી ફિટ ક્રિકેટરોમાં થાય છે. જોકે તે છેલ્લા થોડા વખતથી ઈજાનો સામનો કરી રહ્યો છે.

·         તે વર્ષના શરૂઆતમાં સાઉથ આફ્રિકાની ટૂરમાંથી પણ ઈજાના કારણે બહાર થઈ ગયો હતો. રવીન્દ્ર જાડેજાને જમણા હાથના ખભામાં ઈજા પહોંચવાના કારણે ટીમમાંથી બહાર થઈ ગયો હતો.

·         આ પછી તે IPLમાં પણ અધ્ધવચ્ચેથી ઈજાની લીધે નીકળી ગયો હતો. જાડેજાને મેચ વખતે ફિલ્ડિંગ કરતી વખતે પાંસળીમાં ઈજા પહોંચી હતી. જેના લીધે તે IPLમાંથી બહાર થઈ ગયો હતો. ત્યારે તેને CSKના કેપ્ટન તરીકે પણ કાઢી દેવામાં આવ્યો હતો.

·         આ પછી તે હમણાં વેસ્ટઈન્ડિઝ સામેની સિરીઝમાંથી પણ એક મેચ પછી રમ્યો નહતો. ત્યારે પણ તેને ઘૂંટણમાં ઈજા પહોંચવાને લીધે તે બાકીની બે મેચમાંથી આઉટ થઈ ગયો હતો. તેને ઝિમ્બાબ્વે ટૂરમાંથી પણ આરામ આપવામાં આવ્યો હતો. ત્યારે હવે એશિયા કપની બે મેચ રમીને ઈજા પહોંચતા ફરી એકવાર તે ટીમમાંથી બહાર થઈ ગયો છે.

અક્ષર પટેલ રિપ્લેસ કરશે

ભારતીય ટીમના અન્ય એક ડાબોડી ઓલરાઉન્ડર અક્ષર પટેલે જાડેજાને રિપ્લેસ કર્યો છે. અક્ષર પટેલ એશિયા કપની 15 જણની ટીમમાં નહતો. જોકે તેને સ્ટેંડબાય તરીકે રાખવામાં આવ્યો હતો. ત્યારે જાડેજાને ઈજા પહોંચતા તે હવે તેને રિપ્લેસ કરશે.

અક્ષર પટેલનો T20 ઈન્ટરનેશનલ રેકોર્ડ
અક્ષર પટેલનો T20 ઈન્ટરનેશનલ રેકોર્ડ સારો છે. તેણે 25 મેચમાં 7.34ની ઇકોનોમી સાથે 21 વિકેટ ઝડપી છે. તો બેટિંગમાં તેણે 137ની સ્ટ્રાઈક રેટથી 25 મેચમાં કુલ 147 રન કર્યા છે. ત્યારે આ રેકોર્ડને જોતા તેની પાસેથી રવીન્દ્ર જાડેજા જેવું પરફોર્મંસની આશા રાખવામાં આવી રહી છે.