• Home
  • News
  • ન્યૂઝીલેન્ડ સિરીઝ પહેલાં ભારતને મોટો ઝટકો:શ્રેયસ અય્યર ઈજાને કારણે ટીમથી બહાર, જાણો કોને મળ્યું ટીમમાં સ્થાન
post

ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે વન-ડે સિરીઝની પ્રથમ મેચ 18 જાન્યુઆરીએ રમાશે

Written By newsonline | Ahmedabad | Published: 2023-01-17 17:34:47

વન-ડે સિરીઝ પહેલાં ભારતને મોટો ઝટકો લાગ્યો છે. શ્રેયસ અય્યર ઈજાને કારણે ન્યૂઝીલેન્ડ સામેની વન-ડે સિરીઝમાંથી બહાર થઈ ગયો છે. તેની જગ્યાએ રજત પાટીદારને ટીમમાં સ્થાન આપવામાં આવ્યું છે. પીઠની ઈજાને કારણે અય્યર શ્રેણીમાંથી બહાર થયો છે. હવે તે નેશનલ ક્રિકેટ એકેડમી (NCA)માં જઈને તેની સારવાર કરાવશે.

તમને જણાવી દઈએ કે ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે વન-ડે સિરીઝની પ્રથમ મેચ 18 જાન્યુઆરીએ રમાશે. ન્યૂઝીલેન્ડની ટીમ ભારત સામે 3 વન-ડે અને 3 T-20 મેચની સિરીઝ રમવા જઈ રહી છે. તાજેતરમાં જ ભારતે શ્રીલંકા સામેની વન-ડે અને T20 શ્રેણીમાં શાનદાર જીત મેળવી હતી.

શ્રીલંકા સામેની વન-ડે શ્રેણીમાં શ્રેયસ અય્યરનું પ્રદર્શન ખાસ રહ્યું ન હતું. હવે તે વન-ડે સિરીઝમાં નહીં હોવાને કારણે સૂર્યકુમાર યાદવને ભારતની પ્લેઈંગ ઈલેવનમાં તક મળશે એવી આશા છે. શ્રીલંકા સામેની વન-ડે સિરીઝની બે મેચમાં સૂર્યાનો પ્લેઈંગ ઈલેવનમાં સમાવેશ કરવામાં આવ્યો નહોતો.

ન્યૂઝીલેન્ડ સામેની ભારતની વન-ડે ટીમ
રોહિત શર્મા (C), શુબમન ગિલ, ઈશાન કિશન (વિકેટકીપર), વિરાટ કોહલી, સૂર્યકુમાર યાદવ, કેએસ ભરત (વિકેટકીપર), હાર્દિક પંડ્યા (વાઈસ-કેપ્ટન), રજત પાટીદાર, વોશિંગ્ટન સુંદર, શાહબાઝ અહેમદ, શાર્દુલ ઠાકુર, યુઝવેન્દ્ર ચહલ, કુલદીપ યાદવ, મોહમ્મદ શમી, મોહમ્મદ સિરાજ, ઉમરાન મલિક.

ભારત VS ન્યૂઝીલેન્ડ વન-ડે સિરીઝ શેડ્યૂલ

·         પહેલી વન-ડે: 18 જાન્યુઆરી, હૈદરાબાદ

·         બીજી વન-ડે: 21 જાન્યુઆરી, રાયપુર

·         ત્રીજી વન-ડે: 24 જાન્યુઆરી, ઈન્દોર

 

બંને દેશ વચ્ચે 113 વન-ડે મેચ રમાઈ છે
ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે અત્યારસુધીમાં 113 વન-ડે રમાઈ છે, જેમાં ભારતે 55 અને ન્યૂઝીલેન્ડે 50 મેચ જીતી છે. સાત મેચનું પરિણામ આવ્યું ન હતું અને એક મેચ ટાઈ પર રહી હતી. બંને ટીમની છેલ્લી વન-ડે શ્રેણી થોડા મહિના પહેલાં રમાઈ હતી. ન્યૂઝીલેન્ડે ભારતને તેના ઘરઆંગણે 1-0થી હરાવ્યું હતું. એ વન-ડે સિરીઝનું T20 વર્લ્ડ કપ 2022 બાદ આયોજન કરવામાં આવ્યું હતું અને શિખર ધવને ભારતીય ટીમની કેપ્ટનશિપ સંભાળી હતી.