કોરોના મહામારી વચ્ચે લોકોએ ટોળે વળી ગણપતિ વિસર્જન કર્યું
ગણેશોત્સવના પાંચમા
દિવસે ઘરમાં જ વિસર્જન કરવાને બદલે લોકોએ ટોળે વળી પ્રતિબંધનો ભંગ કરી નદીમાં
વિસર્જન કર્યું હતું. ડફનાળા પાસે આવેલા દશામાના મંદિર નજીક નદીમાં વિસર્જન રોકવા
માટે પતરાં લગાવાયાં હોવા છતાં કેટલાક લોકોએ પતરાંની નીચેથી તો કેટલાકે પતરાં
કૂદીને નદી કિનારે પહોંચી જઈ વિસર્જન કર્યું હતું.
બીજી તરફ કેટલાક લોકોને
રિવરફ્રન્ટ પર વિસર્જન માટે ન જવા દેવાતા તેઓ ગાંધી બ્રિજ પર પહોંચી ગયા હતા.
બ્રિજ પર જાળીઓ લગાવી હોવા છતાં લોકોએ મૂર્તિને દોરીથી બાંધી નદીમાં ઊતારી વિસર્જન
કર્યું હતું. નદીમાં વિસર્જન પર પ્રતિબંધના ભંગની સાથે લોકોએ સોશિયલ ડિસ્ટન્સિંગનો
પણ ભંગ કર્યો હતો. મોટા ભાગના લોકો માસ્ક પહેર્યા વિના જ ઊમટી પડ્યા હતા.
ગણેશ એસોસિએશનની અપીલ:
નદી-તળાવની જગ્યાએ ઘરમાં વિસર્જન કરો
ગણેશ મહોત્સવ
એસોસિએશનના પ્રમુખ ગણેશ ક્ષત્રિયે કહ્યું કે, ગણેશજીનું વિસર્જન નદી કે તળાવની જગ્યાએ સ્થળ વિસર્જન
અથવા ઘરમાં જ કરવું જોઈએ. આપણે આ મહોત્સવ વિના વિઘ્નથી પાર પાડવાનો છે. કોરોનાની
મહામારીના વિઘ્નથી સાવચેત રહેવું જરૂરી છે.