કર્ણાવતી, રાજપથ, વાયએમસીએ, રોટરી સહિતની તમામ ક્લબના મેમ્બર્સને ફાયદો
અમદાવાદ: મહારાષ્ટ્ર એડવાન્સ રૂલિંગ ઓથોરિટીના ચુકાદાથી હવે ક્લબના સભ્યોએ ભરવી પડતી વાર્ષિક ફી તેમજ સભ્યપદ માટેની ફી પરના 18 ટકા જીએસટીમાંથી મુક્તિ મળશે. શહેરની કર્ણાવતી, રાજપથ, વાયએમસીએ, રોટરી સહિતની તમામ ક્લબને પણ આ નિયમ લાગુ પડતો હોવાથી શહેરની 100થી વધુ ક્લબના અંદાજે 10 લાખ સભ્યોને આ લાભ મળશે.
મહારાષ્ટ્ર એડવાન્સ રૂલિંગ ઓથોરિટીનો ચુકાદો દેશભરમાં લાગુ પડે છે
તાજેતરમાં મહારાષ્ટ્ર અપીલ એન્ડ એડવાન્સ રૂલિંગ ઓથોરિટીએ રોટરી ક્લબ ઓફ મહારાષ્ટ્રના ચુકાદો આપતા જણાવ્યું કે, ક્લબ દ્વારા લેવામાં આવતી દાખલ ફી અને ક્લબ ફી ઉપર જીએસટી એપ્લિકેબલ થતો નથી. આ કેસમાં મહારાષ્ટ્ર એડવાન્સ રૂલિંગ ઓથોરિટીના કેસમાં પહેલા ચુકાદો આપતા જણાવ્યું હતું કે, ક્લબ દ્વારા લેવામાં આવતી કોઇ પણ પ્રકારની ફી ઉપર જીએસટી લાગશે. પરંતુ આની સામે કરદાતાએ અપીલ એન્ડ એડવાન્સ રૂલિંગમાં અપીલ કરતા આગળ આપેલા ચુકાદાને રદ કરીને જણાવ્યું કે, રોટરી ક્લબ ઓફ મુંબઇ ધંધાની વ્યાખ્યામાં જીએસટી એકટ મુજબ આવતી નથી. જેથી ક્લબે દ્વારા મેમ્બરને આપવામાં આવતી સર્વિસ ઉપર જીએસટી લાગી શકે નહીં. સામાન્ય રીતે કલબ દ્વારા વાર્ષિક ફી, દાખલ ફી, લગ્ન પ્રસંગ માટે હોલનો ખર્ચ, કેટરિંગ ખર્ચ, પ્રિન્ટિંગ અને સ્ટેશનરીના ખર્ચ કલબના વહીવટ માટે કરાય છે. જેથી કલબ દ્વારા ઉઘરાવાતી ફી ઉપર જીએસટી લાગી શકે નહીં. આ ચુકાદાથી સભ્ય ફી ઉપર લેવાતા જીએસટીમાંથી મુક્તિ મળશે. જેનાથી સભ્યોને જીએસટીમાં 18 ટકા જેટલી રકમનો ફાયદો થશે.
શહેરમાં નાની મોટી 100થી વધુ ક્લબ છે
કર્ણાવતી અને રાજપથ ક્લબમાં
15-15 હજાર મેમ્બર, વાયએમસીએ 9 હજાર, સ્પોર્ટસ ક્લબ 11 હજાર સહિત ક્લબ ઓ સેવન, રાયફલ ક્લબ, લાયન્સ ક્લબ, રોટરી ક્લબ જેવી ક્લબના અંદાજે 10 લાખથી વધુ સભ્ય છે. આ તમામને મેમ્બરશીપ-એન્ટ્રી ફી પરના જીએસટીમાંથી મુક્તિ મળશે.