રામનવમીએ બંગાળ સહિત 5 રાજ્યોમાં હિંસા, 5 દિવસ સુધી તણાવ રહ્યો
નવી દિલ્હી: દેશના ઘણાં રાજ્યોમાં
રામનવમી પર થયેલી હિંસા બાદ ગૃહ મંત્રાલયે બુધવારે તમામ રાજ્યો માટે એડવાઈઝરી
જાહેર કરી છે. મંત્રાલયે કહ્યું કે હનુમાન જયંતીએ શાંતિ બની રહે, તેના માટે
કાયદો-વ્યવસ્થા જાળવી રાખો. દરેક એવી બાબતો ઉપર નજર રાખો, જેનાથી સાંપ્રદાયિક
વાતાવરણ ખરાબ થવાની શક્યતા હોય.
બીજી તરફ, કોલકાતા હાઈકોર્ટે પણ
મંગળવારે બંગાળ સરકારને આ અંગે સૂચનાઓ આપી હતી. હાઈકોર્ટે કહ્યું- જો તમારી પાસે
પોલીસબળ ઓછું છે તો તમારે કેન્દ્ર પાસેથી ફોર્સ મગાવવી જોઈએ. કેન્દ્ર સરકારે પણ
તમારી અપીલ પર તાત્કાલિક પગલાં લેવાં જોઈએ. આપણે લોકોની રક્ષા કરવાની છે. હનુમાન
જયંતી 6 એપ્રિલે છે.
કોલકાતા હાઈકોર્ટે
બંગાળ સરકારને કહ્યું- પોલીસ ફ્લેગ માર્ચ કરે
કોર્ટે રામનવમી પર
થયેલી હિંસાને ધ્યાનમાં રાખીને સરકારને સવાલ કર્યો હતો. કોર્ટે કહ્યું- તમે કહી
રહ્યા છો કે કેટલાક લોકોની ધરપકડ કરવામાં આવી છે. અમને કેટલાક ન્યાયાધીશોના પત્રો
મળ્યા છે. તેઓએ કહ્યું કે તેમના ઘરની નજીક તોફાનો થઈ રહ્યાં છે. ત્યારે શું થશે, જ્યારે આવું જ વાતાવરણ
કોર્ટ પરિસરની અંદર પણ થાય. કંઈક કરવું પડશે. તમે શોભાયાત્રાના માર્ગ પર બેરિકેડ
લગાવો છો. પોલીસ ફ્લેગ માર્ચ કરી શકે છે જેથી લોકોને લાગે કે તેઓ સુરક્ષિત છે.
પશ્ચિમ બંગાળ સરકારે
શિબપુર અને રિશરામાં થયેલી હિંસા અંગેનો અહેવાલ કોલકાતા હાઈકોર્ટમાં રજૂ કર્યો હતો.
કોર્ટે રાજ્ય સરકારને પૂછ્યું કે હનુમાન જયંતીને ધ્યાનમાં રાખીને રાજ્યમાં શાંતિ
જાળવવા માટે શું પગલાં લેવાઇ રહ્યાં છે.
રામનવમીએ બંગાળ સહિત 5 રાજ્યોમાં હિંસા, 5 દિવસ સુધી તણાવ રહ્યો
30 માર્ચે રામનવમી પર પશ્ચિમ બંગાળ, મહારાષ્ટ્ર, ગુજરાત, દિલ્હી અને ઉત્તર પ્રદેશમાં
હિંસા થઈ હતી. તે પછી આ રાજ્યોના કેટલાક વિસ્તારોમાં 3 દિવસ સુધી તણાવની
સ્થિતિ રહી હતી. આ રાજ્યોમાં 100થી વધુ લોકોની ધરપકડ કરવામાં આવી હતી. બિહાર અને બંગાળ સૌથી
વધુ પ્રભાવિત થયા હતા.
બંગાળમાં હિંસાની ઘટનાઓ
ક્રમમાં વાંચો...
30 માર્ચ: હાવડા, ઉત્તર દિનાજપુર અને
ઈસ્લામપુરમાં એક સરઘસ દરમિયાન હિંસક અથડામણ થઈ. અહીં શોભાયાત્રા દરમિયાન બે જૂથો
વચ્ચે ઉગ્ર પથ્થરમારો થયો હતો. જેમાં એક યુવકનું મોત થયું હતું, જ્યારે પાંચ-છ
પોલીસકર્મી ઘાયલ થયા હતા. પોલીસે જણાવ્યું હતું કે હિંસા દરમિયાન યુવકનું હાર્ટ
એટેકથી મોત થયું હતું.
31 માર્ચ: હાવડાના શિબપુરમાં પથ્થરમારો અને આગચંપીનો વધુ એક બનાવ સામે આવ્યો. અહીં એક
વર્ગે મંદિરોમાં તોડફોડ કરી છે. તે પછી પોલીસ દ્વારા સમગ્ર વિસ્તારમાં ફ્લેગ માર્ચ
કરવામાં આવી હતી. જેના પગલે બંને ઘટનાઓમાં 38 લોકોની ધરપકડ કરવામાં
આવી હતી.
એપ્રિલ 2: રિસરા સરઘસ દરમિયાન બે
જૂથો વચ્ચે હિંસક અથડામણ થઈ હતી. બંને જૂથોએ એકબીજા પર પથ્થરમારો કર્યો હતો અને
વાહનોને આગ ચાંપી હતી. પથ્થરમારામાં ભાજપના ધારાસભ્ય બિમન ઘોષ ઘાયલ થયા હતા. હુગલી
અને આસપાસના વિસ્તારોમાં કલમ 144 લાગુ કરવામાં આવી હતી.
3 એપ્રિલ: કેન્દ્રીય ગૃહ મંત્રાલયે પશ્ચિમ બંગાળના હાવડામાં રામનવમીની હિંસા અને બગડતી
કાયદા વ્યવસ્થાની સ્થિતિ અંગે રાજ્ય સરકાર પાસેથી રિપોર્ટ માગ્યો છે.
દિલ્હીના
જહાંગીરપુરીમાં હનુમાન જયંતીએ શોભાયાત્રા પર પ્રતિબંધ
બીજી તરફ, દિલ્હીમાં હનુમાન જયંતીના એક દિવસ પહેલાં પોલીસે જહાંગીરપુરીમાં ફ્લેગ માર્ચ
કરી હતી. પોલીસે વિશ્વ હિન્દુ પરિષદ અને અન્ય ગ્રુપને 6 એપ્રિલે હનુમાન જયંતી
પર જહાંગીરપુરી વિસ્તારમાં શોભાયાત્રા કાઢવાની મંજૂરી આપી નથી.