• Home
  • News
  • IPLના નિયમમાં ફેરફાર:હવે મેચમાં દરેક ટીમને મળશે 4 DRS, કોરોનાને કારણે મેચ ફરીથી રીશેડ્યૂલ પણ થઈ શકશે
post

ફાઇનલ મેચ 29 મેના રોજ રમાવાની છે, આ વખતે 10 ટીમો ભાગ લેશે

Written By newsonline | Ahmedabad | Published: 2022-03-15 11:28:58

નવી દિલ્લી: IPLની 15મી સિઝન 26 માર્ચથી શરૂ થઈ રહી છે. આ પહેલા BCCIએ ટૂર્નામેન્ટના કેટલાક નિયમોમાં ફેરફાર કર્યો છે. આ ફેરફારમાં ટીમોની પ્લેઈંગ ઈલેવનથી લઈને DRS સંબંધિત નિયમો સામેલ છે. ક્રિકબઝના રિપોર્ટ અનુસાર, જો કોઈ ટીમમાં કોરોના સંબંધિત મામલા સામે આવે છે, તો તેની પ્લેઈંગ XIમાં ફેરફાર કરવામાં આવી શકે છે.

જો ટીમ પ્લેઈંગ-XI તૈયાર કરવામાં સક્ષમ ન હોય, તો તે મેચ પછીથી ફરીથી શેડ્યૂલ કરવામાં આવશે. જો બાદમાં પણ મેચ નહીં થાય તો મામલો ટેકનિકલ કમિટી પાસે મોકલવામાં આવશે.

BCCIના અધિકારીએ કહ્યું- જો કોઈ ટીમ કોરોનાને કારણે 12 ખેલાડીઓ (જેમાં 7 ભારતીય) અને એક વિકલ્પ સાથે મેચ માટે મેદાનમાં ઉતરી શકતી નથી, તો BCCI સીઝનની વચ્ચે ફરીથી મેચનું આયોજન કરવાનો પ્રયાસ કરશે. જો આ પણ શક્ય નથી, તો આ મામલો IPLની ટેકનિકલ સમિતિને મોકલવામાં આવશે, જેનો નિર્ણય છેલ્લો હશે.

પહેલા શું નિયમ હતો
અત્યાર સુધી IPLમાં નિયમ હતો કે જો મેચ ફરીથી શેડ્યુલ કર્યા પછી પણ પૂરી ન થાય તો જે ટીમ પાછળ રહે છે તેને હારેલી માનીને બે પોઈન્ટ આપવામાં આવશે.

હવે એક ઇનિંગ્સમાં 2 એટલે કે મેચમાં 4 DRS મળશે
આ સિવાય હવે ટીમોને દરેક ઇનિંગમાં એકને બદલે બે DRS મળશે એટલે કે ટીમ મેચમાં 4 DRS લઈ શકશે. આ સાથે, બોર્ડે હાલમાં મેરીલબોન ક્રિકેટ ક્લબ (MCC) વતી બદલાયેલા કેચના નિયમને પણ ટૂર્નામેન્ટમાં લાગુ કરવાનો પણ નિર્ણય લેવામાં આવ્યો છે. MCCના નવા નિયમ મુજબ, જો કોઈ બેટ્સમેન કેચ આઉટ થાય છે, તો સ્ટ્રાઈકમાં ફેરફાર માનવામાં આવતો નથી. અને માત્ર નવો બેટ્સમેન જ સ્ટ્રાઈક પર આવશે. જો ઓવરના છેલ્લા બોલ પર કેચ હોય તો, સ્ટ્રાઈક બદલવામાં આવશે.

ટાઈ-બ્રેકર અંગે પણ નિયમમાં ફેરફાર
પ્લેઓફ અને ફાઈનલમાં ટાઈ બ્રેકરના નિયમમાં પણ ફેરફાર કરવામાં આવ્યો છે. જો કોઈ પ્લેઓફ અથવા ફાઈનલ મેચમાં, ટાઈ થયા પછી અથવા સુપર ઓવર નથી થતી કે સુપર ઓવર પછી જરુર પડતા જો આગામી સુપર ઓવર શક્ય ન બને તો લીગ સ્ટેજમાં બંને ટીમોના પરિણામોના આધારે મેચનો વિજેતા નક્કી કરવામાં આવશે. એટલે કે લીગ સ્ટેજમાં જે ટીમ તેના હરીફથી આગળ રહી હશે, તે વિજેતા ગણવામાં આવશે.

પ્રથમ મેચ 26 માર્ચે રમાશે
ટૂર્નામેન્ટની પ્રથમ મેચ 26 માર્ચે ચેન્નાઈ સુપર કિંગ્સ અને કોલકાતા નાઈટ રાઈડર્સ વચ્ચે વાનખેડે સ્ટેડિયમમાં રમાશે. અત્યારે માત્ર લીગ મેચોના સ્થળ અને તારીખો જાહેર કરવામાં આવી છે. પ્લેઓફ અને ફાઈનલની સ્થિતિ સ્પષ્ટ કરવામાં આવી નથી. ફાઇનલ મેચ 29 મેના રોજ રમાવાની છે.

લીગ સ્ટેજની તમામ મેચો મહારાષ્ટ્રમાં યોજાશે
લીગ સ્ટેજની તમામ 70 મેચો મહારાષ્ટ્રમાં રમાશે. 55 મેચ મુંબઈમાં અને 15 પુણેમાં રમાશે. મુંબઈના વાનખેડે સ્ટેડિયમ અને ડૉ. ડીવાય પાટીલ સ્ટેડિયમમાં 20, જ્યારે બ્રેબોર્ન સ્ટેડિયમમાં 15 મેચો રમાશે. બાકીની 15 મેચ પુણેના MCA ઇન્ટરનેશનલ સ્ટેડિયમમાં રમાશે. IPLની બે નવી ટીમો લખનઉ સુપર જાયન્ટ્સ અને ગુજરાત ટાઇટન્સ 28 માર્ચથી તેમનું અભિયાન શરૂ કરશે. આ મેચ પણ વાનખેડે સ્ટેડિયમમાં રમાશે.