• Home
  • News
  • વિશ્વની મંદીથી શિપબ્રેકિંગમાં તેજી:અલંગ યાર્ડમાં 2 માસમાં 12 પેસેન્જર શિપ ભાંગવા માટે આવે એવા સંજોગો
post

પાકિસ્તાન, બાંગ્લાદેશ પેસેન્જર જહાજમાં રસ દાખવતા નથી

Written By newsonline | Ahmedabad | Published: 2020-11-24 12:32:44

સમગ્ર વિશ્વની મંદી એ અલંગ શિપબ્રેકિંગ યાર્ડ માટે તેજી સમાન હોય છે, આ અર્થશાસ્ત્રનો વણલખ્યો નિયમ પ્રસ્થાપિત થઇ ચૂક્યો છે. કોરોનાને કારણે ગત માર્ચ માસથી ક્રૂઝ શિપના વ્યવસાયો બંધ હાલતમાં છે અને તેમના માલિકોને આર્થિક સંકડામણમાં આ જહાજો લાવી રહ્યાં છે, તેથી મોટા ભાગનાં ક્રૂઝ જહાજો ભાંગવા માટે આંતરરાષ્ટ્રીય બજારમાં સતત આવી રહ્યાં છે. આગામી બે માસમાં અલંગમાં 12 પેસેન્જર જહાજ ભાંગવા માટે આવે તેવા સંજોગો આકાર લઇ રહ્યા છે.

ક્રૂઝ લાઇન સાથે સંકળાયેલા માર્ક ગ્લોવાસ્કીએ ટ્વિટર પર સંવાદ દરમિયાન જણાવ્યું હતું કે તુર્કીમાં 15 પેસેન્જર જહાજો ભાંગવા માટે લાંગરી ચૂકેલાં છે. તાજેતરમાં મારેલા ડ્રીમ શિપ તુર્કી માટે વેચાયું છે, પરંતુ ત્યાં આગામી 3 મહિના સુધી નવી કોઇ ક્ષમતા બચી નથી. બીજી તરફ, દક્ષિણ એશિયાના સૌથી મોટા શિપબ્રેકિંગ વ્યવસાય ધરાવતા પાકિસ્તાન, બાંગ્લાદેશ, ભારત સામેલ છે. એ પૈકી પાકિસ્તાન અને બાંગ્લાદેશ પેસેન્જર જહાજો ભાંગવા માટે ઓછી રુચિ ધરાવે છે. તેની સરખામણીએ ભારતના અલંગ શિપબ્રેકિંગ યાર્ડમાં પેસેન્જર જહાજો વેચાવા માટે બજારમાં આવ્યાં છે.

અલંગના શિપબ્રેકરો થોભો અને રાહ જુઓની નીતિ અપનાવી રહ્યા છે. અગ્રણી શિપબ્રેકર હરેશભાઇ પરમારના મતે, પેસેન્જર જહાજ માટેના ભાવ હજુ 20થી 50 ડોલર અમારી ગણતરી પ્રમાણે વધુ છે. જ્યારે પાકિસ્તાન અને બાંગ્લાદેશમાં આવા જહાજ ખપે એવી ઓછી શક્યતા છે, જ્યારે તુર્કીમાં હાલ ક્ષમતા ઓછી છે, તેથી અલંગ સિવાય તેમની પાસે વિકલ્પો ઓછા છે. પેસેન્જર ક્રૂઝ શિપના માલિકોને હવે જહાજ રાખવા પોસાણ રહ્યું નથી. છેલ્લા 9 માસથી ક્રૂઝ લાઇન્સ બંધ છે, મોટા ભાગના દેશોમાં આવન-જાવન પર પ્રતિબંધો છે, મુસાફરોમાં ખોફ ફેલાયેલો છે, તેથી ક્રૂઝ વ્યવસાય ઠપ્પ થઇ ચૂક્યો છે. બંધ પડેલા વ્યવસાય વચ્ચે પણ ક્રૂઝ શિપના કર્મચારીઓ (ક્રૂ-મેમ્બરો)ના પગાર, જહાજનો રખરખાવ ખર્ચ, જે પોર્ટ પર રાખવામાં આવ્યું હોય એના પોર્ટ ચાર્જીસ સહિતના ખર્ચા માલિકોને પોસાય તેમ નથી.

એક્સપર્ટ ઓપિનિયન પેસેન્જર જહાજો માટે અલંગ આદર્શ સ્થળ ગણી શકાય
શિપબ્રેકિંગ વ્યવસાય સાથે સંકળાયેલા જિતુભાઈ કામદારના મતે, પેસેન્જર જહાજોમાંથી મુખ્યત્વે કેબિનો, ક્રોકરી, ઇલેકટ્રોનિક્સ આઇટેમો, ઓછાડ, ચાદર, ફર્નિચર, શો-પીસ, સુશોભનની વસ્તુઓ, જિમનાં સાધનો નીકળે છે. પાકિસ્તાન અને બાંગ્લાદેશમાં આ વસ્તુઓ માટેની રિટેઇલબજાર નથી, જ્યારે અલંગમાં 600થી વધુ ખાડા (શો-રૂમ)માં આવી વસ્તુઓ વેચવામાં આવે છે અને છૂટક બજારને પ્રતિસાદ સારો મળી રહે છે.

ગ્રાન્ડ સેલિબ્રેશન જાન્યુઆરીમાં અલંગ આવશે
પેસેન્જર જહાજોમાં અગ્રીમ હરોળમાં સ્થાન પામેલા લકઝુરિયસ ક્રૂઝ ગ્રાન્ડ સેલિબ્રેશનને ભાંગવા માટે અલંગમાં વેચાયું છે અને એ પોતાની અંતિમ યાત્રાએ નીકળી ચૂક્યું છે. જાન્યુઆરી-2021માં 1496 મુસાફર ક્ષમતા, 670 ક્રૂ ક્ષમતા, 223 મીટર લાંબું, 28 મીટર પહોળું જહાજ કોરોનાને કારણે આર્થિક મુશ્કેલીઓમાં સપડાયું હતું. અન્ય એક પેસેન્જર ક્રૂઝ મારેલા ડ્રીમ તુર્કીમાં ભંગાવા માટે વેચાવા આવ્યું છે.

 

adv

Related News

post
post
post
post
post
post
post