નાગરિકતા સંશોધન બિલનો પૂર્વોત્તરના રાજ્યોમાં વિરોધ થઈ રહ્યો છે
ગુવાહાટીઃ નાગરિકતા સંશોધન બિલનો પૂર્વોત્તરના
રાજ્યોમાં વિરોધ થઈ રહ્યો છે. ગુરુવારે સવારે ફરીથી લોકોએ આ બિલનો વિરોધ કરતા
કર્ફ્યૂનું ઉલ્લંઘન કર્યું છે. સેના શહેરમાં ફ્લેગ માર્ચ કરી રહી છે. આ સાથે જ
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ટ્વીટ કરીને કહ્યું કે, હું આસામના મારા ભાઈઓ અને બહેનોને
કહેવા માંગુ છું કે બિલ અંગે ચિંતા કરવા જેવું કંઈ નથી, તમારા હક
છીનવાશે નહીં. ઈન્ડિયન યૂનિયન મુસ્લિમ લીગ આજે સુપ્રીમ કોર્ટમાં નાગરકિતા સંશોધન 2017 વિરુદ્ધ અરજી
કરશે. રાજ્યસભામાં બુધવારે નાગરિકતા સંશોધન બિલ પાસ કરી દેવાયું હતું.
પીએમ મોદીએ ટ્વીટ કરીને કહ્યું કે, હું તેમને
કહેવા માંગીશ કે કોઈ તમારા અધિકારો, ઓળખ અને સંસ્કૃતિને નહીં છીનવી શકે.
કેન્દ્ર સરકાર બંધારણની સુરક્ષા, ભાષા, સંસ્કૃતિ અને આસામની સંસ્કૃતિ અંગે
પ્રતિબદ્ધ છે.
વિરોધ પ્રદર્શનના કેન્દ્ર ગુવાહાટીમાં પ્રશાસને
બુધવારે રાતે કર્ફ્યૂ લગાવી દીધો હતો. ઘણા જિલ્લાઓમાં ઈન્ટરનેટ સેવા બંધ કરી દેવાઈ
છે. આસામ રાઈફલ્સના જવાનોને બુધવારે ત્રિપુરામાં તહેનાત કરવામાં આવ્યા હતા. ઓલ
આસામ સ્ટુડેન્ટ યૂનિયને ગુવાહાટીમાં સવારે 11 વાગ્યે પ્રદર્શન કરવાની હાકલ કરી
હતી. નોર્થ ઈસ્ટ સ્ટુડન્ટ ઓર્ગેનાઈઝેશનના નેતૃત્વ હેઠળ ચાલી રહેલા વિરોધને 30 વિદ્યાર્થી અને
વામ સંગઠન સમર્થન આપી રહ્યા છે. કૃષિક મુક્તિ સંગ્રામ સમિતિએ લોકોને શાંતિપૂર્ણ
વિરોધ કરવા માટે રસ્તા પર આવવાની અપીલ કરી છે.
કોલકાતા એરપોર્ટ અધિકારીઓએ જણાવ્યું કે, કોલકાતા(પશ્વિમ બંગાળ)થી દિબ્રૂગઢ
સેક્ટર (આસામ) માટેની તમામ ફ્લાઈટ્સ કેન્સલ કરી દેવાઈ છે. દિબ્રૂગઢથી આવતી જતી
તમામ ફ્લાઈટ્સને આજે (12 ડિસેમ્બર)રદ કરી દેવાઈ છે. મુસાફરો વૈકલ્પિક ફ્લાઈટ્સ પસંદ
કરી શકે છે અથવા રિફંડ પણ લઈ શકે છે.