નવરંગપુરામાં રહેતી માનસી શાહ નામની યુવતીએ અડાલજમાં ફરિયાદ નોંધાવી
ગાંધીનગર: ગાંધીનગરના સુઘડમાં એક જ જમીનના બે વેચાણ દસ્તાવેજ મુદ્દે બકેરી ગ્રૂપના અનિલ બકેરી સહિત કુલ 25 લોકો સામે વિશ્વાસઘાત-છેતરપિંડીની ફરિયાદ નોંધાઈ છે. ફરિયાદીએ લીધેલી જમીન ખેડૂતોએ બીજી વખત અનિલ બકેરીને વેંચી હતી. જે મુદ્દે અડાલજ પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાતા પોલીસે તપાસ શરૂ કરી છે.
દસ્તાવેજ ડેપ્યુટી કલેક્ટરમાં સ્ટેમ્પ ડ્યૂટીના ડિફરન્સમાં પેન્ડિંગ હતો
નવરંગપુરામાં રહેતી માનસી શાહે અડાલજ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે તે મુજબ નવેમ્બર-2019માં તેના પિતાનું અવસાન થયેલું છે. તેના પિતાએ
2004માં સુઘડ ખાતે 12950 ચોરસમીટર જમીન મૂળ માલિકો ડુંગરજી ફતાજી સહિત 20 લોકો પાસે
6.47 લાખ ચૂકવી લીધી હતી. જેનો દસ્તાવેજ રજિસ્ટ્રારના રૂબરૂમાં થયો હતો પરંતુ દસ્તાવેજ ડેપ્યુટી કલેક્ટરમાં સ્ટેમ્પ ડ્યૂટીના ડિફરન્સમાં પેન્ડિંગ હતો.
2005માં તેમના ત્યાં ઈન્કમટેક્સની રેડ અનેક ઓરિજનલ પેપરો સીઝ કરાયા હતા. જે બાદ કાયદાકીય પ્રક્રિયાના અંતે
2018માં તેમના જમીનના દસ્તાવેજો રિલિઝ થયા હતા.
2009માં મૂળ માલિકોના પાવર ઓફ એટર્નીથી જમીનનો બીજો દસ્તાવેજ થયો છે. પિતાના અવસાન થતા પુત્રીએ અનિલ બકેરી, હસાબેન અનિલ બકેરી મળી કુલ 25 લોકો સામે ફરિયાદ નોંધાવી છે. જોકે આ અંગે અનિલ બકેરીનો વારંવાર સંપર્ક કરવા છતાં સંપર્ક થઈ શક્યો ન હતો.