• Home
  • News
  • કોરોના ટેસ્ટ કરાવ્યો તો બ્રેસ્ટ કેન્સર નીકળ્યું, ડૉક્ટરે કહ્યું યોગ્ય સમયે ખબર પડી: અમદાવાદનાં ડૉક્ટર રૂપલ મઘાણી
post

ડૉક્ટર રૂપલ મઘાણીએ કહ્યું- મારાં ફેફસાં 75% ડેમેજ થઈ ગયાં હતાં. ડરતા ડરતા સિટી સ્કેન કરાવ્યો તો આ છૂપાયેલી બીમારી સામે આવી ગઈ

Written By newsonline | Ahmedabad | Published: 2020-09-23 09:30:07

અમદાવાદનાં ડૉક્ટર રૂપલ મઘાણી કોરોના સામે જીવન-મરણનો જંગ ખેલી રહ્યાં હતાં ત્યારે જ તેમને ખબર પડે છે કે તેમને બ્રેસ્ટ કેન્સર છે. સતત 40 દિવસ પોઝિટિવ રહ્યાં. રૂપલબેને 7 વખત ટેસ્ટ કરાવ્યો. આ દરમિયાન સિટી સ્કેનમાં તેમને કેન્સરની જાણ થઈ. ડૉક્ટરે કહ્યું- ખરા સમયે કેન્સરની ખબર પડી ગઈ.આ સાંભળીને મ્યુનિસિપલ અધિકારી ડૉ. રૂપલ મઘાણી ઇશ્વરનો આભાર માનતા કહે છે કે સારું થયું મને કોરોના થયો.

કદાચ હું દેશમાં એક માત્ર વ્યક્તિ હોઇશ કે જે કોરોના આપવા બદલ ઇશ્વરનો આભાર માનતી હશે. પણ મારી સાથે થયું જ એવું કંઇક કે હું ઇશ્વર અને કોરોના બંનેનો આભાર માન્યા વગર નહીં રહી શકું. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં ડોક્ટર તરીકેની મારી ફરજ દરમિયાન હું કોરોનાગ્રસ્ત થઇ હતી. આશરે 40 દિવસ સુધી સાત જેટલા ટેસ્ટ કરાવ્યા છતાં મારો ટેસ્ટ પોઝિટિવ જ રહેતો તેટલી હદે હું વાઇરસથી ગ્રસ્ત હતી. પોઝિટિવ આવ્યા બાદ 21 એપ્રિલનાં રોજ એસવીપી હોસ્પિટલમાં દાખલ થઇ. ત્યાંથી પછી હું વધુ સારવાર માટે સ્ટર્લિંગ હોસ્પિટલમાં શિફ્ટ થઇ. આ દરમિયાન મારા કલાસાગર ફ્લેટનાં સભ્યો સતત અમારી સાથે રહ્યાં. કરમસદ મેડિકલ કોલેજની 1988 બેચનાં મારા તમામ સાથી ડોક્ટરોએ મારી હિંમત ન તૂટવા દીધી. મારા બેચમેટ ડો. મોના ભટ્ટ અને ડો. ડીમ્પલ મપારાએ તો મારા ખાતામાં પૈસા પણ ટ્રાન્સ્ફર કરી દીધા જેથી સારવારમાં કચાશ ન રહે. કોરોના સામેનો જીવન-મરણનો જંગ ચાલતો હતો તે દરમિયાન જ અમદાવાદનાં ઉસ્માનપુરા ઇમેજિંગ સેન્ટરમાં મારો સિટી સ્કેન (HRCT) કરાવવાનો થયો. મારા ફેફસાં 75 ટકા જેટલાં ડેમેજ થઇ ગયા હતાં. મને ખબર ન હતી કે મારું શું થશે ? મારી સ્થિતિ જોતાં જ સેન્ટરનાં ડો. અમિત ગુપ્તાએ મને અપોઇન્ટમેન્ટ આપીને સિટી સ્કેન માટે બોલાવી લીધી. સ્કેન કરાવીને હું ઘરે આવ્યા બાદ મને સેન્ટરમાંથી ડો. કોમલ વડગામાનો ફોન આવ્યો કે તમારે ફરીથી સેન્ટર પર આવવું પડશે. મને શ્વાસની ખૂબ તકલીફ હતી અને હું સતત 40 દિવસથી કોરોનાગ્રસ્ત હોઇ માનસિક રીતે પણ થાકી ગઇ હતી. બ્લડ પ્રેશર પણ હાઇ રહેતું હતું. મેં ડોક્ટરને પૂછ્યું કે શું થયું ત્યારે તેમણે જે કહ્યું તે સાંભળીને મારા પગ નીચેથી જમીન સરકી ગઇ.

મારા પતિને સેન્ટર પર લઇ જવા કહ્યું. તેઓ ચિંતા ન કરે માટે તેમને સત્ય ન જણાવ્યું. ત્યાં ગયા પછી ડોક્ટરે ચેક કરીને બ્રેસ્ટ કેન્સર હોવાનું કહ્યું. ઘરે આવતાં સમગ્ર રસ્તે હું પતિને કંઇ કહી ન શકી. પરંતુ ઘરે આવીને હું તૂટી પડી અને સત્ય જાણીને મારા પતિ પણ ખૂબ રડ્યા. 40 દિવસથી હું કોરોના સામે લડી રહી હતી. મારા સતત સાત રીપોર્ટ પોઝિટિવ આવ્યા હતાં અને હજુ હું કોરોના પોઝિટિવ જ હતી. અને તે જ દરમિયાન મને ખબર પડી કે મને કેન્સર છે. મારી એક લડાઇ ચાલુ હતી અને ભગવાને મને કેન્સર આપીને ફરીથી લડવા મજબૂર કરી. ચાલુ કોરોનાયાત્રા દરમિયાન જ અહીંથી મારી કેન્સરયાત્રા પણ શરુ થઇ.

મેં ઝડપથી જાતને ભેગી કરીને હવે આગળની લડાઇ લડવાનું નક્કી કર્યું. મારા પતિ અને પુત્ર બંને મારી સાથે છેલ્લા બે મહિનાથી તો લડી જ રહ્યા હતાં. તેમને મને ખૂબ હિંમત આપી. સાથે મારા મિત્રો ડો. પિનાકિન સોની અને ડો. અકિલ પટણી તેમજ મ્યુનિ. અધિકારીઓ ડો. ભાવિન સોલંકી અને ડો. મેહુલ આચાર્ય પણ ખૂબ સપોર્ટ આપતાં રહ્યાં. કેન્સરની યાત્રામાં તમામ ડો. મિત્રોની સલાહ અનુસાર બ્રેસ્ટ કેન્સર સારવારનાં નિષ્ણાત ડો. ડી.જી. વિજયને બતાવ્યું. મે મહિનાનાં અંતની આ વાત છે. જ્યારે કોરોનાનો હાહાકાર હોઇ સર્જરીઓ પણ ન હતી થઇ. ડો. વિજયે કહ્યું તમારી સર્જરી માટે પહેલા તો તમારે નેગેટીવ આવવું પડે. મારામાં વાઇરલ લોડ એટલો હતો કે સતત સાત રીપોર્ટ કોરોના પોઝિટિવ હતાં. ભગવાનનું નામ લઇને મેં 31 મેનાં રોજ આઠમો રીપોર્ટ કરાવ્યો અને તે નેગેટીવ આવ્યો. બાદમાં મારી મેમોગ્રાફી થઇ, બ્લડ રીપોર્ટ અને બાયોપ્સી બાદ કેન્સર કન્ફર્મ થયું. 10 જૂનનાં રોજ મારી સર્જરીનો દિવસ હતો. જોકે ડોક્ટરોએ કોરોના પેશન્ટ પર આ પ્રકારની પ્રથમ સર્જરી કરતાં હોઇ કોરોના કોમ્પ્લીકેશનની તેમને જાણ ન હતી અને તેમને એક ચેલેન્જ આવી.

કોરોનાને પગલે મારી શ્વાસનળીમાં સોજો હતો. મારી અઢી કલાક સર્જરી ચાલી જે માટે મને સતત ઓક્સીજન આપવો જરૂરી હતી. જો કે સોજાની વાતનો ડોક્ટરોને અંદાજ ન હોઇ તેમને નળી નાંખવામાં ખૂબ પરેશાની થઇ. ખૂબ પ્રયત્નો પછી તેઓ સફળ થયા અને મારી સર્જરી સફળ રહી. કોરોનાને લીધે મારી ઇમ્યુનિટી પહેલેથી જ ડાઉન હતી. જેથી સર્જરી પછી બે મહિને મને માંડ રીકવરી આવી. એક બાજુ મારા ફેફસા 75 ટકા ડેમેજ હતાં. કોરોના અને કેન્સર સાથે આપીને મારી જિંદગી બદલી દેવા બદલ મેં શરુમાં ઇશ્વરને દોષ આપ્યો. પણ પછી શાંતિથી વિચારતાં મને લાગ્યું કે જો ઇશ્વર મને કોરોના ન આપત તો મને કેન્સની ખબર ન પડત. માટે ઇશ્વરનો આભાર કે મને કોરોના આપ્યો. મારું કેન્સર પ્રથમ સ્ટેજમાં જ પકડાયું. હજુ ચણાનાં દાણા જેટલો જ લમ્પ હતો. મને લાગે છે 20 વર્ષ મ્યુનિ.માં ડોક્ટર તરીકે મેં લોકોની જે સેવા કરી અને જમાલપુરમાં કોરોનાગ્રસ્તોની સારવાર કરી તેમના મને આશીર્વાદ લાગ્યાં. પાડોશી, મિત્રો, મારા જૈન સમાજનાં લોકો અને મારા સાથી મ્યુનિ. અધિકારીઓએ મારા માટે ખૂબ મહેનત કરી. મારા પતિ અને પુત્રએ મને સહેજ પણ તૂટવા નથી દીધી અને યુટ્યુબ પરથી નવીનવી વાનગીઓ બનાવીને મને પીરસી છે અને સેવા કરી છે. હવે હું 80 ટકા જેટલી રીકવર થઇ છું. રોજનું 30 મિનિટ ચાલવાનું શરુ કર્યું છે. કોરોના અને કેન્સર સામે છેડેલી જંગ ચાલુ છે... સમાજ સાથે હશે તો આ જંગ પણ હું જીતી લઇશ... !!!

 

adv

Related News

post
post
post
post
post
post
post