એપિડેમિઓલોજી અને સ્ટેટિસ્ટિક્સની અત્યાધુનિક ટેકનિકના આધારે એસ.પી. યુનિ.ના પૂર્વ વી.સી. ડૉ. હરિશ પાઢે રજૂ કરેલું તારણ
ગુજરાત
સહિત વિશ્વભરમાં અત્યારે સહુના મોઢે એક જ સવાલ છે કે આ કોરોના જશે ક્યારે. આ સૌથી
જટિલ પ્રશ્નનો જવાબ સરદાર પટેલ યુનિવર્સિટીના પૂર્વ ઉપ-કુલપતિ ડૉ. હરિશ પાઢે આપ્યો
છે.એપિડેમિઓલોજી(રોગશાસ્ત્ર) અને સ્ટેટિસ્ટિક્સ(આંકડાશાસ્ત્ર)ની અત્યાધુનિક
ટેકનિકનો ઉપયોગ કરી ડૉ. પાઢે કરેલા રિસર્ચ મુજબ દિવાળી પછી ગુજરાતમાં કોરોનાનો
પ્રભાવ ઘટવા માંડશે અને ક્રિસમસ સુધીમાં તો નવા કેસની સંખ્યા નગણ્ય થઈ જશે. ડૉ.
પાઢ તથા તેમના સહયોગી ડૉ. શ્વેતા એ પટેલે 01 જૂનથી 03 ઓક્ટોબર સુધીના કોરોના
મહામારીના ડેટાના આધારે ચલિત 7-દિવસની સરેરાશના આધારે વિશ્લેષણ કરીને આ તારણ પર
પહોંચ્યા છે. ડૉ. પાઢેએ વિસ્તારપૂર્વકની વાતચીતમાં આ તારણોની વિગતોને સમજાવી હતી.
15 નવેમ્બરે ગુજરાતમાં
કોરોના કેસ 1.75 લાખની પીક પર પહોંચશે
કોરોના
મહામારીને કારણે છેલ્લા આઠ મહિનાથી આખા વિશ્વની સિકલ બદલાઈ ચૂકી છે અને મૃત્યુઆંક 10 લાખને પાર કરી ચૂક્યો
છે. ભારતની વાત કરીએ તો દેશમાં 1 લાખથી વધુના મૃત્યુ થઈ ચૂક્યા છે અને ગુજરાતમાં 3500ના મોત થયા છે. કોરોના
મહામારીના સરકારી ડેટાના આધારે ચાર્ટ બનાવીને ડૉ. પાઢ તથા ડૉ. શ્વેતાના
વિશ્લેષણમાં જણાવાયું છે કે, 03 ઓક્ટોબર સુધીમાં ગુજરાતમાં કોરોના કેસની સંખ્યા 1.45 લાખે પહોંચી છે જે આંક 15 નવેમ્બરે 1.75 લાખની પીક પર પહોંચશે
અને ત્યાંથી ઘટવા માંડશે. યોગાનુયોગે 15 નવેમ્બરે વિક્રમ સંવત મુજબ
બેસતું વર્ષ છે. આમ દિવાળી પછીથી કોરોનાના કેસ ગુજરાતમાં ઘટવા લાગશે એવું આ
વિશ્લેષણ મુજબ કહી શકાય.
ક્રિસમસ સુધીમાં તો
કોરોનાના નવા કેસની સંખ્યા શૂન્યની નજીક થઈ જશે
અહીં પ્રસ્તુત કરેલો
ચાર્ટ દર્શાવે છે કે,
ગુજરાતમાં
જે પેટર્નથી કેસની સંખ્યા વધી છે તેમાં 60 દિવસના અંતરે અપર સાઈડ કર્વ
જોવા મળે છે. ગુલાબી લાઈનો વડે ગુજરાતમાં જે ગતિ અને દિવસોમાં ગુજરાતમાં કોરોના
કેસ વધ્યા તે દર્શાવાયું છે. આ ગતિ મુજબ જોઈએ તો ગુજરાતમાં 22 ઓક્ટોબરની આસપાસના
દિવસોમાં કોરોના કેસનો આંક 1.60 લાખને પાર કરી જશે, જે સંખ્યાને વાદળી
ટપકાંવાળી રેખા દ્વારા દર્શાવાયું છે. આ ગતિ મુજબ 15 નવેમ્બરથી ગુજરાતમાં
કેસની સંખ્યામાં નોંધપાત્ર ઘટાડો જોવા મળશે અને ક્રિસમસ સુધીમાં તો નવા કેસનો આંક
અસામાન્ય રીતે તળિયે પહોંચી જશે અને શૂન્ય પણ થઈ શકે. ગત 4 મહિનાના વાસ્તવિક ડેટાના
આધારે આ વૈજ્ઞાનિક ઢબે કરાયેલું આકલન છે. અહીં ચાર્ટમાં R2 મૂલ્ય 0.999 દર્શાવાયું છે જે ખૂબ
સારો અને વાસ્તવિકતા એટલે કે 1.0ની ખૂબ નજીક કહેવાય, એમ ડૉ. પાઢે વાતચીતમાં
કહ્યું હતું.
નોબેલ વિજેતા ડૉ. લેવિટ્ટના સિદ્ધાંત મુજબ દિવાળી પછી
કોવિડથી મૃત્યુ નહિવત
બીજો
ચાર્ટ અલગ અભિગમ સાથે તૈયાર કરાયો છે જેમાં મૃત્યુદરને ધ્યાને લેવાયો છે. આ સમીકરણ
નોબેલ પારિતોષિક વિજેતા અને સ્પેન તથા ઈટાલીમાં મૃત્યુદર અંગેનું સચોટ આકલન કરનારા
સ્ટેનફોર્ડ યુનિવર્સિટીના ડૉ. માઈકલ લેવિટના સિદ્ધાંતના આધારે તૈયાર કરાયું છે.
લેવિટ્ટ્સ ઈક્વેશન તરીકે જાણીતા આ સમીકરણનો આધાર આજના/ગઈકાલ સુધીના મૃત્યુદર
આધારિત છે. આ મુજબ જો આજે કોઈ નવું મૃત્યુ નથી થતું તો ગુણોત્તર 1 રહે છે, જે આપણું લક્ષ્ય છે. આ
સમીકરણ મુજબ ગણતરી કરતાં માલૂમ પડે છે કે ગુજરાત માટે આ 1નો જાદુઈ અંક નવેમ્બરના
પ્રથમ સપ્તાહની શરૂઆતથી પ્રાપ્ત થવા લાગશે અને દિવાળી પછીના દિવસોથી કોવિડ-19ને કારણે ગુજરાતમાં નવા
મૃત્યુ નગણ્ય રહેશે. આ ચાર્ટમાં લાલ ટપકાંવાળી સીધી રેખા મૃત્યુની અપેક્ષિત સપાટી
અને વાદળી વાંકી-ચૂકી રેખા વાસ્તવિક મૃત્યુદર દર્શાવે છે. વાદળી રેખાનો આંક
ઘટતો-ઘટતો નીચે આવીને લાલ ટપકાંવાળી રેખાને મળશે ત્યારે કોવિડનો મૃત્યુઆંક શૂન્ય
થઈ જશે. આ ચાર્ટમાં R2
મૂલ્ય
0.867 દર્શાવાયું છે જે સારું
કહી શકાય.
નવરાત્રિ-દિવાળી સાચવી
લઈશું તો નૂતન વર્ષ ગુજરાત માટે સારા સમાચાર લાવશે
ડૉ.
પાઢે ઉમેર્યું હતું કે,
એકંદરે
જોઈએ તો આગામી દોઢ મહિનો ગુજરાત માટે કોરોના સંબંધે મહત્ત્વપૂર્ણ છે. નવરાત્રિ અને
દિવાળીના તહેવારો દરમિયાન કોઈ નવો સંક્રમણ વિસ્ફોટ ન થાય તો દિવાળી પછીનું નૂતન
વર્ષ ગુજરાતીઓ માટે ખૂબ સારા સમાચાર લઈને આવનારું રહેશે. કોરોના મહામારી સાવ ગાયબ
તો નહીં થાય પરંતુ કોવિડ-19નો પ્રકોપ એટલો તો મંદ
થઈ જશે કે આપણે અર્થતંત્રને બેઠું કરવાની દિશામાં નોંધપાત્ર પગલાં ભરી શકીશું. જો
કે, આ બધાનો આધાર ગુજરાતના
લોકો કોરોના સંક્રમણને નિવારવા બાબતે કેટલી વધુ જાગૃતિ દર્શાવે છે અને માસ ગેધરિંગ
એટલે કે એક સ્થળે વિશાળ સંખ્યામાં એકત્ર થવાનું ટાળે છે તેની પર રહેલો છે.