ગુજરાતમાં ધોરણ-10નું પરિણામ જાહેર થયા પછી શિક્ષણ વિભાગના અધિકારીએ પોતાના અનુભવો વ્યક્ત કર્યાં
અમદાવાદ: પરીક્ષા પરિણામો જીવનની પરીક્ષાના પરિણામ નથી. શિક્ષણ વિભાગના બે ઉચ્ચ અધિકારી અંજૂ શર્મા અને વિનોદ રાવ વિદયાર્થીઓને જણાવી રહ્યા છે સક્સેસની કહાની...
અગ્ર સચિવ
અંજુ શર્મા
બોર્ડની પરિક્ષાના બરાબર એક વર્ષ પહેલાં નવમાં ધોરણમાં કેમિસ્ટ્રીના વિષયમાં
નાપાસ થઈ હતી. પરંતુ નિરાશ થવાને બદલે મેં તે વિષયમાં જ જોર લગાવ્યું, અને એ પછી
દરેક પરીક્ષામાં સફળતા મેળવી. એ પછી સ્નાતક, મેનેજમેન્ટમાં
અનુસ્નાતક અને યુપીએસસી પાસ કરી સિવિલ સર્વિસીસની એક્ઝામ પાસ કરી ત્યાં સુધી ટૉપ
સ્કોરર રહી. મારો પુત્ર પણ અગિયારમાં ધોરણમાં ખૂબ ઓછા માર્ક લાવ્યો ત્યારે મેં
તેને હિંમત આપી અને મહેનત કરવા જણાવ્યું. બીજા વર્ષે તેણે પણ સારા ગુણ મેળવ્યાં
હતાં. જો મને તે નિષ્ફળતા ન મળી હોત, તો આજે હું
જે છું તે ન હોત. એ નિષ્ફળતા એ જ મને નવી રાહ ચીંધી. નિષ્ફળતા એ જીવનમાં કાંઇક
શીખવાનો પ્રસંગ છે. કોઇપણ વ્યક્તિ હોય, જીવનમાં
નિષ્ફળતા ન મળી હોય તે શક્ય નથી. તમને જેઓ પ્રેમ કરે છે તે તમે પરીક્ષામાં પાસ થાવ
તો જ પ્રેમ કરે તેવું નથી, તમે નિષ્ફળ થાવ તો પણ તેટલો જ પ્રેમ કરે છે. તમારા જીવનના બાકીના વર્ષો તમારી
રાહ જુએ છે, તેમાં તમે ઘણું કરી શકશો. આ એક વર્ષની નિષ્ફળતાને કારણે બાકીના વર્ષો વેડફશો
નહીં.
\
શિક્ષણ સચિવ
વિનોદ રાવ
હું ફિઝિક્સમાં ફેઇલ થયો હતો. મને ફિઝિક્સમાં રસ જ ન હતો તેથી પરિણામ ખરાબ
આવ્યું, પરંતુ આ ઘટનાને મેં પડકાર સ્વરૂપે સ્વીકારી અને તે પછીની પરીક્ષામાં
ફિઝિક્સમાં સૌથી વધુ માર્ક્સ મેળવ્યાં. પછી બોર્ડની પરીક્ષામાં હું શાળામાં પ્રથમ
અને યુપીએસસીની પરીક્ષામાં પણ ટોપ સ્કોરર રહ્યો. નિષ્ફળતા જેવું કાંઇ હોતું નથી, એ તમારા માટે
જીવનમાં વધુ મહેનત કરવા માટેનો સંકેત છે. અભ્યાસ જીવનમાં જોઇએ તો માત્ર પરિક્ષામાં
માર્ક મેળવવા માટે જ અભ્યાસ નથી કરવાનો, પણ જીવનમાં
શીખવા માટે અભ્યાસ જરૂરી છે. હું ફિઝિક્સમાં નાપાસ થયો તે પછી મેં મહેનતથી લગન
લગાવી તે જ વિષય ભણવાનું શરૂ કર્યું તો મને તેમાં પછી રસ પડ્યો. હું બાળકોને કહીશ
કે જો તમને અઘરો લાગતા વિષયમાં દિલથી પ્રયત્ન કરશો તો તે જ તમારા માટે આસાન બની
જશે.