જસ્ટિસ ભૂષણે કહ્યું- જો તમને ખબર હતી કે ડિસઇન્ફેક્શન ટનલ હાનિકારક છે તો પ્રતિબંધ કેમ નથી લાદયો?
દેશભરમાં વિવિધ સ્થળે
કોરોના સંક્રમણથી બચાવ માટે લગાવાતી ડિસઇન્ફેક્શન ટનલ લોકોના સ્વાસ્થ્ય માટે ખૂબ
હાનિકારક છે. તેથી તેનો ઉપયોગ ટૂંક સમયમાં જ બંધ કરી દેવાશે. કેન્દ્ર સરકારે
સોમવારે સુપ્રીમકોર્ટમાં આ માહિતી આપી.
સુપ્રીમકોર્ટના
જસ્ટિસ અશોક ભૂષણ,
જસ્ટિસ
આર. સુભાષ રેડ્ડી તથા એમ. આર. શાહની બેન્ચ સમક્ષ કેન્દ્ર સરકારે કહ્યું કે આ
સંદર્ભે ટૂંક સમયમાં દેશભરમાં જાહેરનામું બહાર પડાશે. સુપ્રીમ સમક્ષ ગુરસિમરન સિંહ
નરુલાએ પીઆઇએલ દાખલ કરીને ડિસઇન્ફેક્શન ટનલ પ્રતિબંધિત કરવા માગ કરી હતી.
સોમવારે
સુપ્રીમકોર્ટ સમક્ષ કેન્દ્ર સરકાર વતી સોલિસિટર જનરલ તુષાર મેહતાએ કહ્યું કે વિવિધ
હેલ્થ એજન્સીઓના રિસર્ચથી માલૂમ પડ્યું છે કે એરપોર્ટ, રેલવે સ્ટેશન, મૉલ તથા અન્ય સ્થળોએ
લોકોને કોરોના સંક્રમણથી બચાવવા સેનિટાઇઝરનો છંટકાવ કરતી ટનલ શારીરિક અને માનસિક
સ્વાસ્થ્યને નુકસાન પહોંચાડી શકે છે. કેન્દ્ર સરકાર ટૂંક સમયમાં જાહેરનામું બહાર
પાડીને સંબંધિત એજન્સીઓને તેનો ઉપયોગ બંધ કરવા જણાવશે. ત્યાર બાદ કોર્ટે સુનાવણી
બે અઠવાડિયા માટે ટાળી દીધી અને કેન્દ્ર સરકારને આ સંદર્ભે અહેવાલ રજૂ કરવા
કહ્યું.