નરોડામાં રહેતા હરેશભાઈએ મેટ્રો કોર્ટમાં ફરિયાદ દાખલ કરી હતી
અમદાવાદ: ‘દો ગુજરાતી ઠગ હૈ’ કહીને સમગ્ર
ગુજરાતીઓનું અપમાન કરનારા બિહારના ઉપમુખ્યમંત્રી તેજસ્વી યાદવ સામે સામાજિક
કાર્યકરે બદનક્ષીની ફરિયાદ મેટ્રો કોર્ટમાં કરી છે, જેમાં કોર્ટ આજે
કાર્યવાહી હાથ ધરશે. અગાઉ 1 મેએ કોર્ટ દ્વારા મેટ્રો કોર્ટમાં ફરિયાદીનું નિવેદન લેવામાં આવ્યું હતું. આ
ઉપરાંત ફરિયાદીએ કોર્ટમાં સીડી અને પેન ડ્રાઇવના પુરાવાનાં જરૂરી સર્ટિફિકેટ સાથે
આપ્યા હતા. આ મામલે આજે સુનાવણી હાથ ધરવામાં આવી હતી. કોર્ટે આ મામલે કલમ 202 અંતર્ગત પાવર વાપરીને
કોર્ટ ઇન્કવાયરીના આદેશ આપ્યા છે. ઇન્કવાયરી બાદ કોર્ટ નક્કી કરશે કે તેજસ્વી
યાદવને સમન્સ મોકલવું કે નહીં, વધુ સુનાવણી 20 મેના રોજ હાથ ધરાશે, આ દિવસે ફરિયાદીને તમામ
દસ્તાવેજ, પૂરાવા અને સાક્ષીઓને ઉપસ્થિત રહેવા કહેવામાં આવ્યું છે.
તેજસ્વી યાદવ શું
બોલ્યા, જેને લઈ બદનક્ષીનો કેસ નોંધાયો
ફરિયાદની સાથે ન્યૂઝ ચેનલના ફૂટેજ પણ મૂક્યા છે. ફરિયાદમાં એવી રજૂઆત કરાઈ છે
કે બિહારના નાયબ મુખ્યમંત્રી તેજસ્વી યાદવ એક જવાબદાર વ્યક્તિ છે. તેમણે થોડા સમય
પહેલાં મીડિયા સમક્ષ નિવેદન કર્યું હતું કે ‘જો ભી દો ઠગ હૈના, જો ઠગ હૈ ઠગુ કો અનુમતી
જો હૈ, આજ દેશ કી હાલાત મેં દેખા જાયે તો સિર્ફ ગુજરાતી હી ઠગ હો સકતે હૈ, હો શકે ઠગ કો માફ કિયા
જાયેગા, એલ.આઇ.સી. કા રૂપિયા, બેંક કા રૂપિયા દે દો ફીર વો લોગ લે કે ભાગ જાયેંગે, તો કૌન જિમ્મેવાર હોગા’
નરોડામાં રહેતા હરેશભાઈએ મેટ્રો કોર્ટમાં ફરિયાદ દાખલ કરી હતી
અમદાવાદના નરોડામાં રહેતા હરેશભાઈ મહેતાએ બિહારના
ઉપમુખ્યમંત્રી તેજસ્વી યાદવ વિરુદ્ધ ગુજરાતીઓને 'ઠગ' કહેવા બદલ અમદાવાદ મેટ્રો
કોર્ટમાં ફરિયાદ દાખલ કરી છે. IPC સેક્શન 499 અને 500
અંતર્ગત બદનક્ષીની ફરિયાદ મેટ્રો કોર્ટમાં દાખલ થઈ
છે. ફરિયાદી ઓલ ઇન્ડિયા એન્ટીકરપ્શન એન્ડ ક્રાઈમ પ્રિવેન્શન કાઉન્સિલ સંસ્થાના
ઉપપ્રમુખ છે.
ફરિયાદી કોર્ટમાં પુરાવાઓ જમા કરી ચૂક્યા છે
1 મેએ
મેટ્રો કોર્ટમાં આ મુદ્દે ફરિયાદીનું નિવેદન લેવામાં આવ્યું હતું. ફરિયાદીએ
કોર્ટમાં જણાવ્યું હતું કે તેજસ્વી યાદવના નિવેદનથી એક ગુજરાતી તરીકે તેમને દુઃખ
થયું છે. આ ગુજરાતીઓની બદનક્ષી છે. ફરિયાદીએ કોર્ટમાં તેજસ્વી યાદવના વીડિયોની
સીડી અને પેન ડ્રાઈવના પુરાવા, જરૂરી સર્ટિફિકેટ સાથે જમા કરાવ્યા હતા.