મહંત દિલીપદાસજી, ટ્રસ્ટી મહેન્દ્ર ઝા અને પૂજારીઓની જ હાજરી
અમદાવાદ: અમદાવાદમાં આજે ભગવાન જગન્નાથજીની જળયાત્રા યોજાઈ છે. કોરોનાની મહામારીના કારણે 143મી રથયાત્રા પહેલા યોજાતી જળયાત્રામાં આજે ભક્તો અને સાધુ-સંતો જોડાયા નથી. શોભાયાત્રા વગરની જળયાત્રામાં માત્ર મંદિરના મહંત દિલીપદાસજી મહારાજ, ટ્રસ્ટીઓ અને પૂજારીઓ જોડાયા છે. નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલ આ જળયાત્રાની પૂજામાં જોડાયા હતાં. મંદિર તરફથી રાજકીય નેતાઓન પૂજામાં નહિ જોડાય માત્ર સાદાઈથી પૂજા અને યાત્રા યોજાશે તેવી જાહેરાત કરવામાં આવી હતી પરંતુ દર વર્ષની જેમ પરંપરાગત રીતે નાયબ મુખ્યમંત્રી આ વિધિમાં જોડાયા હતા.
બોટમાં બેસી નદીમાંથી જળ ભરવામાં આવ્યું
સવારે 8.45
વાગ્યે એક જ ગજરાજ સાથે ગાડીમાં જળયાત્રા નીકળી હતી. કળશને
ગાડીમાં સાબરમતી નદીના ભુદરના આરે લઈ જવામાં આવ્યા હતા. જ્યાં મહંત દિલીપદાસજી
મહારાજ અને ટ્રસ્ટી મહેન્દ્ર ઝાએ પૂજા કરી હતી. જળયાત્રામાં નાયબ મુખ્યમંત્રી
મંત્રી નીતિન પટેલ આવી પહોંચ્યા હતાં. કળશની પૂજા બાદ દિલીપદાસજી, મહેન્દ્ર
ઝા અને નાયબ મુખ્યમંત્રી કળશ લઇ સાબરમતી નદીમાંથી જળ ભર્યું હતું. બોટમાં બેસી
નદીમાંથી જળ ભરવામાં આવ્યું હતું.