• Home
  • News
  • કાનકબરડામાં ખેડૂતે ઓર્ગેનિક દવાથી કેસર કેરી પકવી, એક કેરીનું વજન 400 ગ્રામ, આ વર્ષે સાડા ચાર લાખનું નુકસાન
post

સારી કેરીના એક બોક્સના 800થી 1100 રૂપિયા ભાવ

Written By newsonline | Ahmedabad | Published: 2020-05-21 12:07:58

ઉના: ઉનાના કાનકબરડા ગામમાં રહેતા શક્તિસિંહ રાઠોડ નામના ખેડૂત 18 વીઘાનો આંબાનો બગીચો ધરાવે છે. મહત્વની વાત એ છે કે, તેઓ જંતુનાશક દવાનો બિલકુલ ઉપયોગ કરતા નથી. ઓર્ગેનિક દવાનો ઉપયોગ કરી તેઓ કેરીનો પાક લે છે. તેના બગીચામાં એક કેરીનું વજન 400 ગ્રામ જેટલું થાય છે. કેસર કેરીની મીઠાશ એટલી છે કે તેઓને માર્કેટમાં વેચાણ માટે પણ જવું પડતું નથી. તેમની બધી કેરીના બોક્સ ઘરબેઠા વેચાય જાય છે. પરંતુ આ વર્ષે લોકડાઉન અને કુદરતી આફતોને કારણે શક્તિસિંહને સાડા ચાર લાખનું નુકસાન વેઠવાનો વારો આવ્યો છે. 

શક્તિસિંહે વાતચીતમાં જણાવ્યું હતું કે, મારે 18 વીઘાનો બગીચો છે. મારા બગીચાની જમીન ફળદ્રુપ છે. આંબામાં આવરણ થાય ત્યારે જરૂરી માત્રામાં ખાતર અને તેને જરૂરિયાત મુજબ ઓર્ગેનિક દવાનો છંટકાવ કરવામાં આવે છે. મારા બગીચામાં 230 આંબા છે. જેમાં 90 આંબા મોટા છે અને 140 આંબા નાના છે. એક આંબામાં 5થી 15 મણનું ઉત્પાદન આવે છે. કોરોનાને કારણે હાલ ઘરબેઠા વેચાણ ચાલુ કર્યું છે. લોકોના ફોન આવે છે અને એકસાથે 100થી 200 બોક્સનો ઓર્ડર આપે છે.

શક્તિસિંહે વધુમાં જણાવ્યું હતું કે, દર વર્ષે હું બગીચો ઇજારા પર આપી દેતો હતો. ઇજારદાર સાડા બાર લાખ સુધીમાં બગીચો ઇજારા પર લેતા હતા. પરંતુ આ વર્ષે લોકડાઉનને કારણે ઇજારદારે માત્ર સાત લાખમાં બગીચાની માગણી કરી હતી. આથી આ વર્ષે મારે સાડા ચાર લાખ જેવી નુકસાની ગઇ છે. પરંતુ ઇજારદારને આપવાને બદલે ઘરબેઠા જ કેસર કેરી વેચવાનું ચાલુ કર્યું છે. સારી કેરી હોય તેવા એક બોક્સનો ભાવ 800થી 1100 રૂપિયા અને મીડિયમ સાઇઝની હોય તેનો ભાવ 400થી 900 રૂપિયા સુધી રાખવામાં આવ્યો છે. અમદાવાદ, સુરત, ગોંડલ, જામનગર સુધી કેરીનું વેચાણ કરીએ છીએ. દર વર્ષે 2500થી 3000 બોક્સનું ઉત્પાદન થાય છે. અમારા બગીચાની કેરીમાં કાર્બન મુકવાની જરૂર રહેતી નથી. ગ્રાહકોને વગર દવાએ કેરી પાકી જાય તેવી ગેરંટી આપીએ છીએ. અમે પૈસા બનાવવા કાચી કેરી ઉતારી લેતા નથી. લોકોના સ્વાસ્થ્યને નુકસાન થાય તેવું ક્યારેય કરતો નથી.

adv

Related News

post
post
post
post
post
post
post