આ વર્ષે અત્યારે સરદાર સરોવર બંધમાં સૌથી વધુ એટલે કે, 123.61 મીટરની ઉંચાઇએ 1.51 મિલિયન એકરફીટ પાણી ઉપલબ્ધ છે
અમદાવાદ: રાજ્ય
સરકારે ખેડૂતોને લઈ એક મહત્વપૂર્ણ નિર્ણય કર્યો છે. આ અંગે વિગતો આપતા નાયબ
મુખ્યમંત્રી નીતિન પટેલે જણાવ્યુ કે, રાજ્યના
ખેડૂતોને સિંચાઇની સુવિધા પુરી પાડવા માટે હવે આગામી ખરીફ સીઝન-ચોમાસાની સીઝનના
વાવેતર માટે ખેડૂતો તરફથી રાજ્ય સરકારમાં રજૂઆત કરવામાં આવી રહી છે ત્યારે નર્મદા
મંત્રી તરીકે મેં અને મુખ્યમંત્રી વિજય રૂપાણીએ ચર્ચા કર્યા બાદ નવી સીઝનમાં
વાવેતર માટે નર્મદા કમાન્ડ વિસ્તારના ખેડૂતોને ખરીફ-2020ના પાક માટે
7મી જૂન, રવિવારથી નર્મદાના નીર શરૂ કરવાનો નિર્ણય લીધો છે. આ નિર્ણયથી સમગ્ર નર્મદા
કમાન્ડ વિસ્તારના 14 લાખ હેક્ટર વિસ્તારમાં વાવેતર કરતા ખેડૂતો, સુજલામ-સુફલામ
યોજના, સૌની યોજના દ્વારા પાણી મેળવી વાવેતર કરતા ખેડૂતો, ફતેહવાડી
અને ખારીકટ કેનાલ દ્વારા પાણી મેળવતા ખેડૂતોને વાવેતર માટે પાણી મળી રહેશે.
તેમણે ઉમેર્યુ કે, ખરીફ પાકની સિઝન દરમ્યાન રાજ્યના ખેડૂતોને જરૂરીયાત મુજબનું પાણી સિંચાઇ માટે
આપવામાં આવશે. છેલ્લા પાંચ વર્ષની સરખામણીએ જોઇએ તો આ વર્ષે અત્યારે સરદાર સરોવર
બંધમાં સૌથી વધુ એટલે કે, 123.61 મીટરની ઉંચાઇએ 1.51 મિલિયન
એકરફીટ પાણી ઉપલબ્ધ છે. જેનો લાભ આગામી ચોમાસામાં નવું પાણી આવે તે પહેલા ગુજરાતના
લાખો ખેડૂતો અને પશુપાલકોને વધુમાં વધુ લાભ મળે તે માટે સરદાર સરોવર નર્મદા નિગમ
અને રાજ્ય સરકાર સતત કાર્યશીલ છે.