તેઓ શ્રીનગરના સાંસદ હોવા છતાં સંસદના સત્ર દરમિયાન તેમને જમ્મુ-કાશ્મીરની સમસ્યાઓ અંગે બોલવાની તક ન અપાઇ
જમ્મુ-કાશ્મીરના પૂર્વ મુખ્યમંત્રી અને નેશનલ કોન્ફરન્સના
અધ્યક્ષ ફારુક અબ્દુલ્લાએ રવિવારે વિવાદિત ટિપ્પણી કરતા કહ્યું કે
જમ્મુ-કાશ્મીરમાંથી કલમ 370 નાબૂદ
થઇ તેના કારણે હાલ વાસ્તવિક અંકુશરેખા (એલએસી) પર તણાવની સ્થિતિ છે. ચીને ક્યારેય
કલમ 370 નાબૂદ
કરવાના નિર્ણયનું સમર્થન નથી કર્યું અને અમને આશા છે કે ચીનની મદદથી જ કલમ 370 ફરી લાગુ કરી શકાશે. ભારત-ચીન
વચ્ચે પૂર્વ લદાખના વિસ્તારોમાં સર્જાયેલી તણાવની સ્થિતિ સમયે જ તેમણે આ વિવાદિત
ટિપ્પણી કરી છે.
અબ્દુલ્લાના જણાવ્યાનુસાર, કલમ 370 હટાવવાનો ગત વર્ષે 5 ઓગસ્ટે લેવાયેલો નિર્ણય ક્યારેય
સ્વીકારી શકાય નહીં. ચીનની તરફેણ કરવા અંગેના સવાલના જવાબમાં તેમણે કહ્યું કે, ‘મેં ક્યારેય ચીનના રાષ્ટ્રપતિને
ભારત નથી બોલાવ્યા. પીએમ નરેન્દ્ર મોદી જ તેમને ભારત આમંત્રિત કરનારા શખ્સ હતા.
તેમણે ચીનના રાષ્ટ્રપતિને હીંચકે ઝુલાવ્યા અને ચેન્નઇમાં તેમને જમવા પણ લઇ ગયા.’
તેમણે ઉમેર્યું કે તેઓ શ્રીનગરના સાંસદ હોવા છતાં સંસદના
સત્ર દરમિયાન તેમને જમ્મુ-કાશ્મીરની સમસ્યાઓ અંગે બોલવાની તક ન અપાઇ. ફારુક
અબ્દુલ્લા કલમ 370 નાબૂદ
થયા બાદ તત્કાળ નિયંત્રણો હેઠળ રખાયેલા જમ્મુ-કાશ્મીરના ટોચના નેતાઓ પૈકી એક છે.
ફારુક, તેમના
પુત્ર અને પૂર્વ સીએમ ઓમર અબ્દુલ્લા, પૂર્વ સીએમ મહેબૂબા મુફ્તી સહિત
તમામ નેતાઓને કલમ 370ની
નાબૂદી બાદ અટકાયત કે નજરકેદ હેઠળ રખાયા હતા.