• Home
  • News
  • ગુજરાતમાં કોવેક્સિનના 2 કરોડ ડોઝ બનશે, રાજ્યને 1 કરોડ મળશે; 3થી 4 મહિનામાં પ્રોડક્શન શરૂ થશે, 10 દિવસમાં MOU થશે
post

રાજ્ય સરકારની ગુજરાત બાયોટેક રિસર્ચ સેન્ટર આવતા સપ્તાહે ભારત બાયોટેક સાથે ટેક્નોલોજી શૅર કરશે

Written By newsonline | Ahmedabad | Published: 2021-05-20 11:04:54

ગુજરાતનાં લગભગ તમામ શહેરો અને ગામોમાં હાલ કોરોનાની રસી લેવા માટે લાંબી કતારો લાગે છે. ઘણીવાર રસી ઓછી હોવાની ફરિયાદો પણ આવે છે, પરંતુ ટૂંક સમયમાં ગુજરાતમાં જ કોરોનાની રસી કોવેક્સિનનું ઉત્પાદન શરૂ થઇ જશે. ગુજરાત સરકારની સંસ્થા ગુજરાત બાયોટેક રિસર્ચ સેન્ટર(જીબીઆરસી) આવતા સપ્તાહે કોવેક્સિનની ઉત્પાદક કંપની ભારત બાયોટેક સાથે એમઓયુ પર હસ્તાક્ષર કરવા જઇ રહી છે અને એ હેઠળ આ ઉત્પાદન શરૂ થશે.

રાજ્ય સરકારનાં સૂત્રોના જણાવ્યા મુજબ, અમદાવાદની બાયોટેક્નોલોજી રિસર્ચ પર કામ કરતી કંપનીઓ હેસ્ટર બાયોસાયન્સ અને ઓમનીબીઆરએક્સ બાયોટેક્નોલોજી કંપનીઓની સાથે મળીને જીબીઆરસી આ રસીનું ઉત્પાદન કરશે. આમાં જીબીઆરસીની ભૂમિકા કોરોનાની રસી માટેની ટેક્નોલોજી ભારત બાયોટેક પાસેથી મેળવીને તેના અનુસંધાને આ બંને કંપનીને રસીનાં ઉત્પાદન તથા એની ગુણવત્તા અને નિયમનની જાળવણી કરવાનું રહેશે.

દર મહિને ઓછામાં ઓછા બે કરોડ ડોઝ બનશે, ગુજરાતને 1 કરોડ ડોઝ મળશે
આ બંને કંપનીઓ મળીને ગુજરાતમાં ઓછામાં ઓછા બે કરોડ ડોઝનું ઉત્પાદન કરશે, જેમાંથી સરકાર સાથેના કરાર મુજબ એ પૈકીના પચાસ ટકા લેખે એક કરોડ ડોઝ ગુજરાતને મળવાપાત્ર રહેશે અને એ સરકાર કંપની પાસેથી ખરીદશે. આગામી સમયમાં આ રસીનું ઉત્પાદન વધારીને ચાર કરોડ જેટલું ઊંચું લઇ જઇ શકાય એ મુજબની ક્ષમતા વિકસાવવામાં આવશે અને ઉત્પાદન વધશે તો તેટલા વધુ ડોઝ ગુજરાતને મળશે.

ચારથી છ મહિના લાગી શકે છે
આ રસી અંગેની ટેક્નોલોજીના શેરિંગ બાદ જ રસીનું ઉત્પાદન શરૂ થશે. આવતા સપ્તાહે એના એમઓયુ થયા બાદ ચારથી છ મહિનાની અંદર આ રસીનું ઉત્પાદન ગુજરાતમાં શરૂ થઇ જાય એવી શક્યતા છે. આ બંને કંપનીઓ હાલ રસી બનાવવાના ક્ષેત્રમાં કાર્યરત હોવાથી માળખાકીય સુવિધા ઊભી કરવા માટે કોઇ સમય વ્યતિત થશે નહીં, પરંતુ એની પ્રાથમિક બેચ બનીને આવે એ પછી ઔપચારિક ટેસ્ટિંગ કરી એને જાહેર હેતુ માટે ઉપયોગમાં લઇ શકાશે.

ઓછી કિંમતે રસી મળી શકે
અલબત્ત, ગુજરાત સરકારે પણ આ કંપનીઓ પાસેથી રસી ખરીદીને જ લેવી પડશે. આ પ્રક્રિયામાં ગુજરાત સરકાર સામેલ હોવાથી સરકારને આ રસીના ડોઝ પ્રમાણમાં ઓછી કિંમતે મળી શકે છે, એવું સૂત્રો જણાવે છે. બાકીના પચાસ ટકા ડોઝ કંપની કેન્દ્ર સરકારની સૂચના અનુસાર વિતરણ કરી શકે છે.

 

adv

Related News

post
post
post
post
post
post
post