• Home
  • News
  • અમરનાથ યાત્રામાં ગુજરાતીઓ ફસાયા, હેલિકોપ્ટરથી રેસ્ક્યૂની માગ:વડોદરાના 20 અને સુરતના 10 યાત્રાળુ 3 દિવસથી ટેન્ટમાં કેદ, કપડાં-ગાદલાં સહિતનો સામાન પલળી જતાં હાલત કફોડી
post

તંત્ર સાથે સંપર્ક કરીને જલદીથી બહાર કઢાશે: મેયર

Written By newsonline | Ahmedabad | Published: 2023-07-08 19:14:26

ગુજરાતથી અમરનાથ યાત્રાએ ગયેલા વડોદરા અને સુરતના યાત્રાળુઓ અધવચ્ચે ખરાબ વાતાવરણને કારણે ફસાયા છે. સુરતના 10 યાત્રાળુ ટેન્ટમાં છેલ્લા ત્રણ દિવસથી ફસાયા છે. ખરાબ હવામાનને કારણે હાલ યાત્રા થંભાવી દેવામાં આવી છે. ત્યારે યાત્રામાં ઉપર પહોંચેલા યાત્રાળુઓને ટેન્ટમાં રોકી દેવામાં આવ્યા છે, જેમાં ગુજરાતમાંથી 10 સુરતના અને 20 વડોદરાના યાત્રાળુ ત્રણ દિવસથી ટેન્ટમાં ફસાયા છે. બરફ અને વરસાદ પડવાને કારણે તેમનાં કપડાં, ગાદલાં અને ગોદડાં પણ પલળી ગયાં છે. ત્યારે યાત્રાળુએ વીડિયો બનાવી તેમને ત્યાંથી બહાર કાઢવા ગુજરાત સરકારને આજીજી કરી છે.

અમરનાથમાં સુરતના યાત્રાળુ ફસાયા
હાલમાં અમરનાથની યાત્રા શરૂ થઇ ગઈ છે અને દર વર્ષે ગુજરાતમાંથી પણ મોટી સંખ્યામાં યાત્રાળુઓ અમરનાથ યાત્રાએ દર્શન કરવા જતા હોય છે. જોકે હાલમાં અમરનાથની ચાલુ યાત્રામાં ખરાબ વાતાવરણ સર્જાયું છે, જેને લઈને યાત્રાએ ગયેલા યાત્રાળુઓ ફસાયા છે. સુરતમાંથી દર વર્ષે હજારોની સંખ્યામાં અમરનાથ યાત્રાએ શ્રદ્ધાળુઓ જાય છે. ત્યારે હાલ અમરનાથમાં ખરાબ વાતાવરણમાં વડોદરાના 20 અને સુરતના 10 યાત્રાળુ યાત્રામાં અધવચ્ચે ફસાયા છે.

યાત્રાળુઓએ વીડિયો બનાવી આપવીતી જણાવી
અમરનાથની ચાલુ યાત્રાએ હાલ છેલ્લા ચારથી પાંચ દિવસથી સતત બરફ પડી રહ્યો છે અને વરસાદ વરસી રહ્યો છે. આ પ્રકારના ખરાબ હવામાનને લઈ તંત્ર દ્વારા યાત્રાને થંભાવી દેવામાં આવી છે અને યાત્રાળુઓને રસ્તામાં આવતા વિશ્રામ ટેન્ટમાં આશ્રય આપી દેવામાં આવ્યો છે. આ દરમિયાન મધ્ય યાત્રાએ ગુજરાતના ફસાયેલા 30 યાત્રાળુએ વીડિયો બનાવી આપવીતી જણાવી રહ્યા છે. 30 યાત્રાળુઓમાંથી 10 સુરતના અને 20 વડોદરાના છે, જેમાંથી સુરતના યાત્રાળુએ વીડિયો બનાવી ત્યાંની પરિસ્થિતિની આપવીતી જણાવતાં કહ્યું હતું કે યાત્રામાં ખરાબ વાતાવરણને કારણે સતત બરફ અને વરસાદ પડી રહ્યો છે. અમને રાખવામાં આવેલા તમામ ટેન્ટ પણ પલળી ગયા છે. અમે જે ટેન્ટમાં રહીએ છીએ, એમાં ગાદલાં, ગોદડાં પણ પલળી ગયાં છે અને ખૂબ જ ભયંકર ઠંડી લાગી રહી છે. પહેરવામાં આવેલા ગરમ વસ્ત્રો પણ હવે તો પલળવા લાગ્યાં છે. અમે સતત છેલ્લા ત્રણ દિવસથી આવી પરિસ્થિતિમાં દિવસ પસાર કરી રહ્યા છીએ.

સુરતના યાત્રાળુએ વીડિયોમાં બહાર કાઢવા આજીજી કરી
અમરનાથથી ફસાયેલા ગુજરાતના યાત્રાળુઓમાંથી સુરતના યાત્રાળુઓ વીડિયોમાં તેમને ત્યાંથી સહી સલામત બહાર કાઢવા ગુજરાત સરકારને આજીજી કરી રહ્યા છે. સુરતના યાત્રાળુઓ જણાવી રહ્યા છે કે ફસાયેલા યાત્રામાં 20 વડોદરાના છે અને 10 સુરતના છે, જેમાંથી એક 14 વર્ષની છોકરી પણ છે. આ ઉપરાંત વધુમાં તેમણે જણાવ્યું હતું કે ખૂબ જ ઠંડી લાગવાને કારણે અને ગરમ વસ્તુઓ પલળવાથી યાત્રામાં આવેલી મહિલાઓ પણ બીમાર પડવા લાગી છે. યાત્રાળુએ બનાવેલા વીડિયોમાં મહિલાને જલદીથી હેલિકોપ્ટર મારફત બહાર કાઢવા સ્થાનિક તંત્ર અને ગુજરાત સરકારને આજીજી કરી રહી છે.

તંત્ર સાથે સંપર્ક કરીને જલદીથી બહાર કઢાશે: મેયર
આ અંગે સુરતનાં મેયર હેમાલીબેન બોઘવાલાએ જણાવ્યું હતું કે અમરનાથ યાત્રાએ તમામ શ્રદ્ધાળુઓ માટે ખૂબ જ આસ્થાનું કેન્દ્ર છે. દર વર્ષે ત્યાં લાખો લોકો દર્શન માટે જતા હોય છે. અમરનાથ યાત્રાનો પ્રથમ તબક્કો શરૂ થયો છે. ત્યારે ત્યાં ખૂબ જ ભારે વરસાદ વરસી રહ્યો છે અને એને કારણે ગુજરાતના થોડા યાત્રીઓ ત્યાં ફસાયા છે. સુરતના પણ યાત્રીઓ ફસાયા છે. ફસાયેલા યાત્રી અંગેની અમને માહિતી મળી છે. અમે સ્થાનિક તંત્ર સાથે સંપર્ક પણ કરી રહ્યા છીએ. ગુજરાત સરકાર દ્વારા પણ સતત અમરનાથના સ્થાનિક તંત્ર સાથે સંપર્ક કરીને માહિતી મેળવી રહ્યું છે. ખૂબ જ ઝડપથી ત્યાંનું સ્થાનિક વહીવટીતંત્ર તમામને બહાર કાઢવા માટે મદદ કરી રહ્યું છે. આ સાથે વધુ જરૂર પડશે તો ગુજરાત સરકાર દ્વારા પણ આ તમામ યાત્રાળુઓને સહીસલામત પરત લાવવા માટે કામે લાગી જશે.

adv

Related News

post
post
post
post
post
post
post