• Home
  • News
  • પરીક્ષાની ‘કસોટી’:કોરોનાના કહેર વચ્ચે 24મીથી પોણા ત્રણ લાખથી વધુ વિદ્યાર્થીઓની ગુજકેટ અને ધો.10-12ની પૂરક પરીક્ષા શરૂ
post

દરરોજ 1 હજારથી વધુ કોરોના કેસની વચ્ચે યોજાનારી આ પરીક્ષા માત્ર વિદ્યાર્થીઓ જ નહીં સરકાર માટે પણ કસોટી સમાન

Written By newsonline | Ahmedabad | Published: 2020-08-21 10:35:51

ગુજરાતમાં કોરોનાના રોજના 1 હજારથી વધુ કેસ નોંધાઈ રહ્યાં છે ત્યારે આગામી 24થી 27 ઓગસ્ટ સુધીમાં ગુજરાત માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા 2,82,961 વિદ્યાર્થીઓની ગુજકેટ સાથે ધો. 12 સાયન્સ અને ધો. 10ની પૂરક પરીક્ષા લેવામાં આવશે. કોરોનાના કહેર વચ્ચે લેવાનારી માધ્યમિક શિક્ષણ બોર્ડની આ સૌથી મોટી પરીક્ષા છે, કારણ કે આ પરીક્ષા માત્ર વિદ્યાર્થીઓ માટે જ નહીં પરંતુ શિક્ષણ બોર્ડ અને સરકાર માટે પણ એક કસોટી સમાન છે.

34 કેન્દ્ર પર 1 લાખથી વધુ વિદ્યાર્થી આપશે ગુજકેટની પરીક્ષા ગુજકેટની પરીક્ષા 24મી ઓગસ્ટે લેવાનારી છે, જેમાં 1,27,230 વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે. આ પરીક્ષા 34 કેન્દ્રો અને 6431 પરીક્ષા ખંડમાં લેવાશે. ધો. 12 સાયન્સની પૂરક પરીક્ષા 25થી 27 ઓગસ્ટ દરમિયાન લેવાશે, જેમાં 23,830 વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે. આ પરીક્ષા 34 કેન્દ્રો અને 1147 પરીક્ષા ખંડમાં લેવાશે, જ્યારે ધો. 10ની પૂરક પરીક્ષા 38 કેન્દ્રો અને 6192 પરીક્ષા ખંડમાં લેવાશે, જેમાં 1,31,901 વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે.

કોવીડ-19ની ગાઈડલાઈનને અનુસરી પરીક્ષા લેવાશે ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા આગામી તા. 24 ઓગસ્ટે સોમવારે ગુજકેટ અને 25થી 27 ઓગસ્ટ દરમિયાન ધો. 10 અને 12 સાયન્સ પ્રવાહની પૂરક પરીક્ષા લેવામાં આવનારી છે. રાજ્યના તમામ જિલ્લા મથકો પર આ પરીક્ષા કોવીડ-19ની ગાઈડલાઈન મુજબ શાંતિપૂર્ણ વાતાવરણમાં લેવાય એ માટેની તમામ તૈયારીઓ કરી દેવામાં આવી છે. કેન્દ્ર અને રાજ્ય સરકારની કોવીડ-19ની ગાઈડલાઈનને અનુસરી આ પરીક્ષા રાજ્યના તમામ જિલ્લા મથકો પરથી લેવાશે.

સોમવારે યોજનારી ગુજકેટની પરીક્ષાનો કાર્યક્રમ 24 ઓગસ્ટને સોમવારે લેવાનારી ગુજકેટની પરીક્ષામાં સવારે 10થી 12 કલાક દરમિયાન કેમેસ્ટ્રી-ફીઝિક્સ, 1થી 2 કલાક દરમિયાન બાયોલોજી, 3થી 4 કલાક દરમિયાન ગણિતનું પેપર લેવામાં આવશે. જ્યારે 25થી 27 ઓગસ્ટ દરમિયાન ધો. 10 અને 12ની વિજ્ઞાન પ્રવાહની પરીક્ષા લેવાશે, જેમાં ધો.10ની પરીક્ષામાં સવારના 10થી 1.15 કલાક અને બપોરના 3થી 6.15 કલાક દરમિયાન પેપર લેવાશે.

દરેક બિલ્ડિંગમાં સેનિટાઇઝર મૂકાશે આ ઉપરાંત દરેક સેન્ટરના બિલ્ડિંગને સેટિનાઇઝ કરવામા આવશે અને પ્રત્યેક બિલ્ડિંગમાં સેનિટાઇઝર મૂકાશે. અત્રે ઉલ્લેખનીય છેકે, ધો. 12 સામાન્ય પ્રવાહની પૂરક પરીક્ષા પણ આ વખતે બે વિષયમાં નાપાસ હોય તેવા વિદ્યાર્થીઓની લેવામાં આવનારી છે અને આ પૂરક પરીક્ષાની તારીખ બોર્ડ દ્વારા હવે પછી જાહેર કરવામાં આવશે.

 

adv

Related News

post
post
post
post
post
post
post