આઈસીસીએ તેની સત્તાવાર જાહેરાત કરી દીધી છે. યૂએઈ અને ઓમાનના ચાર મેદાનો પર આ ટૂર્નામેન્ટની બધી મેચ રમાશે.
દુબઈઃ આંતરરાષ્ટ્રીય
ક્રિકેટ કાઉન્સિલ (ICC) એ ટી20 વિશ્વકપ 2021 (T20
World Cup 2021) ની તારીખોની જાહેરાત કરી દીધી છે. આ ટૂર્નામેન્ટ 17 ઓક્ટોબરથી 14 નવેમ્બર
વચ્ચે યૂએઈ અને ઓમાનમાં રમાશે. પરંતુ આ ટૂર્નામેન્ટના યજમાનીનો અધિકાર ભારતીય
ક્રિકેટ બોર્ડ પાસે રહેશે. બીસીસીઆઈ અધ્યક્ષ સૌરવ ગાંગુલીએ સોમવારે તેની પુષ્ટિ
કરી હતી કે ટી20 વિશ્વકપનું આયોજન યૂએઈમાં થશે.
આઈસીસીએ આજે તેની સત્તાવાર જાહેરાત કરી દીધી છે. યૂએઈ અને ઓમાનના ચાર મેદાનો
પર આ ટૂર્નામેન્ટની બધી મેચ રમાશે. જેમાં દુબઈ ઈન્ટરનેશનલ સ્ટેડિયમ, અબુધાબીનું
શેખ ઝાયદ સ્ટેડિયમ, શારજાહ સ્ટેડિયમ અને ઓમાન ક્રિકેટ એકેડમી ગ્રાઉન્ડ સામેલ છે.
ટી20 વિશ્વકપનું આયોજન ભારતમાં થવાનું હતું, પરંતુ
કોરોના સંકટને જોતા ટૂર્નામેન્ટ યૂએઈ શિફ્ટ કરવામાં આવી છે. 2016 બાદ આઈસીસી
મેન્સ ટી20 વિશ્વકપનું આયોજન થઈ રહ્યું છે. 2016માં ભારતમાં
રમાયેલ ટૂર્નામેન્ટમાં ઈંગ્લેન્ડને ફાઇનલમાં હરાવી વિન્ડિઝની ટીમ ચેમ્પિયન બની
હતી. 2020માં આ ટૂર્નામેન્ટનું આયોજન ઓસ્ટ્રેલિયામાં થવાનું હતું પરંતુ કોરોના સંકટને
ધ્યાનમાં રાખતા વિશ્વકપ સ્થગિત કરવામાં આવ્યો હતો. આઈસીસીના સીઈઓ જ્યોફ અલાર્ડાઇસે
કહ્યુ- અમારી પ્રાથમિકતા છે કે અમે આઈસીસી મેન્સ ટી20 વિશ્વકપનું
સેફ્ટીથી આયોજન કરાવીએ.
તેમણે આગળ કહ્યું કે, અમે બીસીસીઆઈ, અમીરાત ક્રિકેટ બોર્ડ અને ઓમાન ક્રિકેટ સાથે સતત સંપર્કમાં રહીશું, જેથી ફેન્સ
ક્રિકેટના આ જશ્નનો આનંદ માણી શકે. વિશ્વકપનો ક્વોલિફાઇંગ રાઉન્ડ ઓમાનમાં રમાશે, જ્યારે
મુખ્ય ટૂર્નામેન્ટના મુકાબલાનું આયોજન યૂએઈમાં થશે.