શહેરમાં રવિવારે નવા 319 કેસ, 11નાં મૃત્યુ થયાં, નવેમ્બરમાં કુલ 6693 કેસ નોંધાયા
અમદાવાદમાં જૂન મહિના પછી પહેલીવાર નવેમ્બર મહિનામાં કોરોનાના 6693 કેસ નોંધ્યા છે. તેમાં પણ 11 નવેમ્બરથી સતત કેસમાં વધારો નોંધાયો છે અને 20 દિવસમાં જ 5080 કેસ નોંધાયા છે. મે મહિનામાં 9154 અને જુન મહિનામાં 8677 કેસ નોંધાયા હતા. જોકે, મે અને જુનની સરખામણીએ નવેમ્બરમાં મૃત્યુઆંક ઓછો થયો છે. સૌથી વધુ મૃત્યુ મેમાં 693 અને જુનમાં 597 નોંધાયા હતા. જ્યારે નવેમ્બર મહિનામાં 141 નોંધાયા છે.
બીજીતરફ રવિવારે નવા 319 કેસ નોંધાયા હતા. જ્યારે 11 દર્દીના મૃત્યુ થયા હતા. જોકે, છેલ્લા 1 સપ્તાહ પછી માઈક્રો કન્ટેઈનમેન્ટની સંખ્યામાં આશ્ચર્યજનક ઘટાડો થયો છે. રવિવારે માત્ર 7 જ વિસ્તારો માઈક્રો કન્ટેઈનમેન્ટમાં જાહેર કરવામાં આવ્યા હતા. કોંગ્રેસના ધારાસભ્ય ઈમરાન ખેડાવાલાએ ટ્વીટ કર્યું હતું કે, શહેરમાં કોરોોનાનો આંકડા ખોટા જાહેર કરાય છે.
મ્યુનિ.ના 29 વર્ષના અધિકારીનું કોરોનાથી મૃત્યુ
દક્ષિણ-પશ્ચિમ ઝોનમાં 29 વર્ષના એસ્ટેટ સબ-ઈન્સ્પેક્ટર હિતેન્દ્ર રાઠોડનું કોરોનાના કારણે અવસાન થયું હતું. છેલ્લા એક સપ્તાહમાં મ્યુનિ.ના બે અધિકારીઓ કોરોનાથી મૃત્યું પામ્યા હતા. ઉલ્લેખનીય છેકે, શહેરની 101 ખાનગી હોસ્પિટલોમાં વેન્ટિલેટર સાથેના આઈસીયુના 14 બેડ ખાલી છે. જ્યારે વેન્ટિલેટર વિનાના આઈસીયુના 30 બેડ ખાલી છે. તેજ રીતે HDUના 132 બેડ ખાલી છે. ઉપરાતં આઈસોલેશનના માત્ર 418 બેડ ખાલી છે. દર્દીઓ વધતાં બેડની સંખ્યામાં વધારો કરવામાં આવ્યો હોવા છતાં બેડ ફૂલ થઈ ગયા છે.
આ સાત વિસ્તાર કન્ટેઈનમેન્ટમાં
1) શાંતિ બંગ્લોઝ, ઘર નં. 11થી 25 વટવા
2) વંદે માતરમ હિલ્સ, વોડાફોન ટાવર પાસે, ગોતા
3) ગ્રીન વિલા એપાર્ટમેન્ટ, 1થી 3 માળ, A-બ્લોક, 2થી 4 માળ C-બ્લોક
4) શ્યામરત્ન એપાર્ટમેન્ટ, 3થી 5 માળ A, E, F-બ્લોક
5) શ્યામ રેસીડેન્સી, 1થી 5 માળ, C-બ્લોક, સોલા
6) લક્ષ્મીનારાયણ સોસાયટી, ઘર નં. 4A થી 8A, ઉસ્માનપુરા
7) શ્યામ બંગ્લોઝ-1, ચાંદખેડા