ગુજરાતમાં અત્યારસુધીમાં 5થી 7 વાર કેસનો આંકડો 400ને પાર થયો છે
અમદાવાદ: રાજ્યમાં કોરોનાનો સૌથી વધુ ખતરો અમદાવાદમાં જોવા મળી રહ્યો છે. અહીં દરરોજ 250થી300ની આસપાસ કેસો નોંધાતા હોય છે. પરંતુ છેલ્લા 24 કલાકની સ્થિતિ પર નજર કરીએ તો અમદાવાદમાં કેસની સંખ્યામાં ઘટાડો જોવા મળી રહ્યો છે. ગઈકાલે નોંધાયેલા કુલ 485 કેસમાંથી 60 ટકા કેસ અમદાવાદના છે. જ્યારે અન્ય 40 ટકા કેસ બીજા જિલ્લાઓમાંથી નોંધાયા છે. ગુજરાતમાં અત્યારસુધીમાં 5થી 7 વાર કેસનો આંકડો 400ને પાર થયો છે. મે મહિનામાં રાજ્યમાં જેટલા પણ કેસ નોંધાયા તેમાથી 80 ટકા કેસ અમદાવાદના હતા. પરંતુ પહેલીવાર છે જ્યારે અમદાવાદમાં કેસની સંખ્યામાં 20 ટકા જેટલો ઘટાડો જોવા મળ્યો છે.
અમદાવાદ જિલ્લાની સ્થિતિ ગંભીર, કુલ કેસનો આંકડો 295એ પહોંચ્યો
જોકે છેલ્લા ત્રણેક દિવસથી અમદાવાદ જિલ્લાની સ્થિતિ ગંભીર બની રહી છે. દરરોજ કેસની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે. જિલ્લામાં કુલ કેસનો આંકડો 295એ પહોંચ્યો છે. ત્યારે 1234 લોકો 14 દિવસથી હોમ ક્વોરન્ટિંન છે. ગઈકાલે છેલ્લા 24 કલાકમાં જિલ્લામાં નવા 44 કેસ સામે આવ્યા હતા જ્યારે બે લોકોના મોત નિપજ્યાં છે. હાલમાં જિલ્લામાં સૌથી વધુ ખરાબ હાલત દસક્રોઈ તેમજ ધોળકાની છે. અહીં કેસની સંખ્યા વધી રહી છે. અત્યાર સુધીમાં દસક્રોઈમાં 91 તેમજ ધોળકામાં 90 કેસ નોંધાયા છે.
છેલ્લા ત્રણ દિવસમાં 19 જિલ્લામાં કોરોના સંક્રમણ વધ્યું
અનલોક-1 બાદ રાજ્યના મોટાભાગના
જિલ્લાઓમાં કોરોનાનું સંક્રમણ વધી રહ્યું છે. ભયની વાત એ પણ છે કે જે જિલ્લા
કોરોનામુક્ત થવા જઈ રહ્યા હતા ત્યાં પણ હવે પોઝિટિવ કેસ સામે આવી રહ્યા છે. છેલ્લા
ત્રણ દિવસમાં અંદાજે 19 જિલ્લાના નવા વિસ્તારો
કોરોનાના સંક્રમણમાં આવી ગયા છે. બીજી તરફ ગાંધીનગરમાં પણ પહેલીવાર પોઝિટિવ કેસનો
આંકડો 39એ પહોંચ્યો હતો.