રણશાળા માટે વર્ગખંડો બનાવ્યા હતાં તે બસો છ મહિનામાં જ ફરી ભંગાર
સામખિયાળી: કોઇ પણ બાળક
શિક્ષણથી વંચિત રહી ન જાય તે માટે સરકાર દ્વારા દર વર્ષે કરોડો રૂપિયાનો ખર્ચ કરાય
છે. પરંતુ સરકારી બાબુઓની નિષ્ક્રિયતા અને લોકોમાં જાગૃતિના અભાવના કારણે આ
અભિયાનને અવરોધ આવે છે. હજુ છ મહિના પહેલા જ માછીમારો અને મીઠાંના અગરોમાં કામ
કરતા અગરિયાઓના બાળકોના શિક્ષણ માટે સરકારે એસટીની ભંગાર બસોને ખાસ પ્રકારે
મોડિફાય કરી રણશાળા માટે વર્ગખંડો બનાવ્યા હતાં. જે છ મહિનામાં જ ફરી ભંગાર બનીને
ભચાઉના જંગી ખાતે પરત આવી ગયાં છે. રણ શાળાના વાહનોની આવી હાલાત થતાં અંતરિયાળ
વિસ્તારમાં શિક્ષણની યોજનાને ધક્કો લાગયો છે. વાહનો ફરી જાણે ભંગારમાં ફેરવાઇ ગયાં
હોય તે હદે નુકસાન થયું છે. બસના આગળના કાચ તૂટી ગયા છે. એક બસમાં ચડવા માટેની
સીડી તૂટી ગઇ છે. જ્યારે અન્ય બસની સીડી ગાયબ છે ! બસમાંથી અનેક સામગ્રી અદ્રશ્ય
છે.
ફરી આ બસો કામમાં લેવાશે કે બાળમરણ?
આ બસોને અગરોમાંથી ફરી જંગીમાં લઇ આવવામાં આવી છે. હાલ કોરોનાના
લીધે વેકેશન ખુલે તેવી શક્યતા ઓછી છે. આ બસોમાં મોટોપાયે નુકસાન કરાયું છે. ત્યારે
આ બસને ફરી રીપેરીંગ કરવાની જરૂરીયાત ઊભી થઇ છે. માત્ર છ મહિનામાં જ બસની આવી હાલત
થઇ જતાં લાખો રૂપિયાનો ખર્ચ એળે ગયો છે. તેવામાં આ બસો ફરી શિક્ષણ કાર્ય માટે જશે
કે કેમ તે પણ મોટો પ્રશ્ન છે.