• Home
  • News
  • ખરીફ ઋતુમાં 30થી 60 % પાક નુકસાની હશે તો રાજ્યના ખેડૂતોને પ્રિમીયમ ભર્યા વિના હેક્ટરદીઠ રૂા.20 હજારની સહાય મળશે
post

60 % થીવધુ નુકસાની હોય તો હેક્ટરદીઠ રૂા.25 હજારની મદદ મળશે

Written By newsonline | Ahmedabad | Published: 2020-09-23 10:28:45

વિધાનસભા સત્ર દરમિયાન મુખ્યમંત્રી કિસાન યોજનાના ટૂંકી મુદતના પ્રશ્નમાં સહભાગી થતા મુખ્યમંત્રીએ કહ્યું,આ યોજના ખેડૂતોને ઊંચુ પ્રિમીયમ ભરવું ન પડે, એ જ ભાવનાથી જાહેર કરી છે. ખેડૂતોને ઇનપુટ ખર્ચ માટે સબસિડી તરીકે સહાય આપવાનો નિર્ણય કરાયો છે. આપણે ખેડૂતોના હિત માટે દુષ્કાળની વ્યાખ્યા નક્કી કરી છે. SPRFમાં પાંચ ઇંચથી ઓછો વરસાદ પડે એને અછતગ્રસ્ત વિસ્તાર ગણતા હતા. હવે આ યોજનામાં 10 ઇંચથી ઓછો વરસાદ પડ્યો હોય એને અસરગ્રસ્ત વિસ્તાર ગણવામાં આવશે. ખેડૂતોને સહાયરૂપ થવા માટે આ વર્ષથી અમલી બનાવેલ આ યોજનામાં આગામી સમયમાં જરૂર હશે તો પરિસ્થિતિને અનુલક્ષીને ધોરણો સુધારવા માટે પણ અમારી સરકારનું મન ખુલ્લું છે. કૃષિ મંત્રીએ કહ્યું કે, કિસાન સહાય યોજના હેઠળ ખરીફ ઋતુમાં થયેલી પાકની નુકસાનની ટકાવારી 30 થી 60 ટકા હોય તો હેક્ટરદીઠ રૂા.20 હજારની સહાય વધુમાં વધુ 4 હેક્ટર સુધી જ્યારે 60 ટકાથી વધુ પાક નુકસાની હોય તો હેક્ટરદીઠ રૂા.25 હજારની સહાય 4 હેક્ટરની મર્યાદામાં અપાશે.

મુખ્યમંત્રી કિસાન સહાય યોજના હેઠળ 56 લાખથી વધુ નાના-સીમાંત ખેડૂતોને આવરી લેવાયા
કૃષિમંત્રી આર.સી.ફળદુએ ટૂંકી મુદતના પ્રશ્નના પ્રત્યુત્તરમાં કહ્યું કે, આપત્તિ સમયે પ્રામાણિકતાથી ખેડૂતોની પડખે ઊભું રહેવું એ અમારો ધર્મ છે અને એ ધર્મ અમે સુપેરે નિભાવી રહ્યા છીએ. છેલ્લાં 25 થી 30 વર્ષમાં રાજ્યના કિસાનોના હિતમાં ખરીફ સિઝન દરમિયાન આપદા આવી હોય એવે વખતે અગાઉની કોઇ સરકારે મદદ ન કરી હોય એવી મદદ અમારી સરકારે કરી છે. ભૂતકાળમાં સરકારોએ ખેડૂતોને ઇશ્વરના ભરોસે છોડી દીધા હતા અમે એમની પડખે ઊભા છીએ. આ મુખ્યમંત્રી કિસાન સહાય યોજનામાં રાજ્યના 56 લાખથી વધુ નાના-સીમાંત ખેડૂતોને આવરી લેવાયા છે. MDRFના લાભો યથાવત રાખીને લાભ આપવામાં આવશે.

સહાય માટે ખેડૂતે ઓનલાઇન પોર્ટલ પર અરજી કરવાની રહેશે
ફળદુએ ઉમેર્યુ કે, આ યોજના હેઠળ અનાવૃષ્ટિ, અતિવૃષ્ટિ અને કમોસમી વરસાદના જોખમોથી થયેલ પાક નુકસાનને સહાય માટે પાત્ર ગણવામાં આવશે. અમુક ઋતુમાં થયેલ પાક નુકસાન 33 ટકાથી 60 ટકા માટે પ્રતિ હેક્ટર રૂા.20 હજાર લેખે વધુમાં વધુ 4 હેક્ટર સુધી સહાય ચૂકવાશે. એ જ રીતે 60 ટકાથી વધુ નુકસાન માટે પ્રતિ હેકટરદીઠ રૂા.25 હજારની સહાય વધુમાં વધુ 4 હેક્ટરની મર્યાદામાં મળવાપાત્ર થશે. આ માટે ખેડૂતે ઓનલાઇન પોર્ટલ પર અરજી કરવાની રહેશે. મંજૂર થયેલ સહાય લાભાર્થીઓના બેન્ક એકાઉન્ટમાં સીધી DBT દ્વારા ચૂકવાશે.

યોજનાના આ ત્રણેય જોખમો સામે સહાયના ધોરણોની વિગતો

(1) અનાવૃષ્ટિ (દુષ્કાળ)ના કિસ્સામાં:- જે તાલુકામાં ચાલુ સિઝનનો 10 ઈંચથી ઓછો વરસાદ પડ્યો હોય અથવા રાજ્યમાં ચોમાસુ શરૂ થાય ત્યાંથી 31 ઓગસ્ટ સુધીના સમયગાળામાં બે વરસાદ વચ્ચે સતત ચાર અઠવાડિયા (28 દિવસ) વરસાદ પડ્યો ન હોય એટલે કે સતત શૂન્ય વરસાદ હોય અને વાવેતર થયેલા પાકને નુકસાન થયું હોય તેને અનાવૃષ્ટિ (દુષ્કાળ)નું જોખમ ગણવામાં આવશે.

(2) અતિવૃષ્ટિ હોય તેવી સ્થિતિમાં:-તાલુકાને યુનિટ ગણી અતિવૃષ્ટિના પ્રસંગો જેવા કે વાદળ ફાટવું, સતત ભારે વરસાદ કે જેમાં દક્ષિણ ગુજરાત રિજિયનના જિલ્લાઓ (ભરુચ, નર્મદા, તાપી, સુરત, નવસારી, વલસાડ અને ડાંગ) માટે 48 કલાકમાં 35 ઇંચ કે તેથી વધુ અને તે સિવાયના રાજ્યના તમામ જિલ્લાઓમાં 25 કલાકમાં 25 ઇંચ કે તેથી વધુ વરસાદ મહેસૂલી તાલુકાના રેઇન ગેજ મુજબ નોંધાયો હોય અને ઊભા પાકમાં થયેલા નુકસાનને અતિવૃષ્ટિનું જોખમ ગણવામાં આવશે.

(3)કમોસમી વરસાદ(માવઠું)ની સ્થિતિમાં:- 15 ઓક્ટોબર થી 15 નવેમ્બર સુધીમાં મહેસૂલી તાલુકાના રેઇન ગેજમાં સળંગ 48 કલાકમાં 50 મી.મી.થી વધુ વરસાદ પડે અને પાકને ખેતરમાં નુકસાન થાય તો તે કમોસમી વરસાદ (માવઠું)નું જોખમ ગણવામાં આવશે.

 

adv

Related News

post
post
post
post
post
post
post