શુભમન ગિલ ઇંગ્લેન્ડ સામેની પ્રથમ ટેસ્ટમાં માત્ર 23 રન જ બનાવી શક્યો હતો
ભારતીય ક્રિકેટ ટીમના યુવા બેટ્સમેન શુભમન ગિલે છેલ્લી 11 ટેસ્ટ ઇનિંગ્સમાં એક પણ ફિફ્ટી ફટકારી નથી. તેણે ઓસ્ટ્રેલિયા સામે ગયા વર્ષે માર્ચમાં પ્રથમ ઇનિંગમાં 128 રન બનાવ્યા હતા. ત્યારથી તેનો સર્વોચ્ચ સ્કોર 36 રન છે. ગિલે ઇંગ્લેન્ડ સામે પ્રથમ ટેસ્ટ મેચની પહેલી ઇનિંગમાં 23 રન બનાવ્યા જયારે બીજી ઇનિંગમાં તે શૂન્ય પર આઉટ થયો હતો. ભારતને પ્રથમ ટેસ્ટ મેચમાં 28 રને હારનો સામનો કરવો પડ્યો હતો. ગિલનું નિરાશાજનક પ્રદર્શન જોઇને ભારતીય ટીમના પૂર્વ દિગ્ગજ સ્પિનર અનિલ કુંબલે તેના પર ભડકી ગયા હતા.
આવી સુરક્ષા પુજારાને પણ ન મળી હતી - અનિલ કુંબલે
અનિલ કુંબલેએ કહ્યું, “ગિલને જે ટીમમાંથી બહાર ન થવાની સુરક્ષા મળી છે તે સુરક્ષા ચેતેશ્વર પુજારાને પણ ન મળી હતી જેણે 100થી વધુ ટેસ્ટ મેચ રમી છે. હું પુજારા વિશે વારંવાર વાત કરું છું કારણ કે થોડા સમય પહેલા સુધી તે ત્રીજા નંબર પર બેટિંગ કરતો હતો. પૂજારાએ વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઈનલ રમી હતી અને ત્યારથી શુભમન ગિલ ત્રીજા નંબર પર આવી રહ્યો છે.”
ગિલને ટેક્નિકમાં કરવો પડશે સુધારો
કુંબલેએ વધુમાં કહ્યું, “ગિલે તેની માનસિકતા પર કામ કરવું પડશે અને તેની ટેકનિકમાં પણ સુધારો કરવો પડશે. જો તમારે ભારતમાં ત્રીજા નંબર પર બેટિંગ કરવી હોય તો તમારે તમારી ટેકનિક પર કામ કરવું પડશે. તેની પાસે કુશળતા છે અને તે યુવાન છે, શીખી રહ્યો છે, પરંતુ તેણે બીજી ટેસ્ટમાં સારું રમવું પડશે નહીં તો તેના પર દબાણ રહેશે.”
“ગિલ પાસે કોચના રૂપમાં શીખવવા માટે શ્રેષ્ઠ વ્યક્તિ છે”
કુંબલેને જયારે પૂછવામાં આવ્યું કે શું ગિલ આગામી ટેસ્ટના ચાર દિવસ પહેલા તેની શૈલી બદલી શકે છે, તો કુંબલેએ કહ્યું, “આ માનસિકતાની વાત છે, તેની પાસે કોચના રૂપમાં તેને શીખવવા માટે શ્રેષ્ઠ વ્યક્તિ છે. ભારતીય બેટ્સમેનોએ સ્પિનને વધુ સારી રીતે રમવી પડશે. કેટલાક બેટ્સમેનોનું વલણ સકારાત્મક નહોતું અને ફૂટવર્ક પણ ખરાબ હતું.”