ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે બીજી ટેસ્ટ મેચ વિશાખાપટ્ટનમમાં 2 ફેબ્રુઆરીથી રમાનાર છે
ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે 5 મેચની ટેસ્ટ સીરિઝની બીજી મેચ પહેલા ભારતીય ટીમને બે મોટા ઝટકા લાગ્યા છે. ભારતીય ટીમના સ્ટાર ઓલરાઉન્ડર રવિન્દ્ર જાડેજા અને બેટ્સમેન કે.એલ રાહુલ બહાર થઇ ગયા છે. આ બંને ખેલાડીઓ બીજી ટેસ્ટ મેચથી બહાર થઇ ગયા છે. આ માહિતી BCCI દ્વારા આપવામાં આવી હતી.
રવિન્દ્ર જાડેજા અને કે.એલ રાહુલ થયા ઈજાગ્રસ્ત
BCCIએ તેના નિવેદનમાં જણાવ્યું હતું કે, “જાડેજા અને રાહુલ બંને ઈજાગ્રસ્ત છે. જેના કારણે તેઓને માત્ર બીજી ટેસ્ટમાંથી આરામ આપવામાં આવ્યું છે. તેમની જગ્યાએ BCCIએ રિઝર્વ ખેલાડી તરીકે સરફરાઝ ખાન, સૌરભ કુમાર અને વોશિંગ્ટન સુંદરને ટીમમાં સામેલ કર્યા છે. જયારે ટીમમાં પહેલાથી સામેલ આવેશ ખાન ટચમાં રહેશે.
જાડેજા અને રાહુલને બીજી ટેસ્ટમાંથી બહાર થવું પડ્યું
નિવેદનમાં કહેવામાં આવ્યું, “રવિન્દ્ર જાડેજા અને કે.એલ રાહુલને વિશાખાપટ્ટનમમાં રમાનાર ઈંગ્લેન્ડ સામેની બીજી ટેસ્ટમાંથી બહાર થવું પડ્યું છે. હૈદરાબાદમાં પ્રથમ ટેસ્ટના ચોથા દિવસે જાડેજાને હેમસ્ટ્રિંગમાં ઈજા થઈ હતી, જ્યારે રાહુલે તેના જમણા ક્વાડ્રિસેપ્સમાં દુખાવાની ફરિયાદ કરી હતી. BCCIની મેડિકલ ટીમ બંને પર નજર રાખી રહી છે.”
પસંદગી સમિતિએ આ ખેલાડીઓને ભારતીય ટીમમાં સામેલ કર્યા
BCCIએ કહ્યું, “પસંદગી સમિતિએ સરફરાઝ ખાન, સૌરભ કુમાર અને વોશિંગ્ટન સુંદરને ભારતીય ટીમમાં સામેલ કર્યા છે. આવેશ ખાન તેની રણજી ટ્રોફીની ટીમ મધ્ય પ્રદેશ સાથે જોડાયેલ રહેશે અને જરૂર પડ્યે ટેસ્ટ ટીમ સાથે જોડાશે.”
બીજી ટેસ્ટ મેચ માટે ભારતીય ટીમ
રોહિત શર્મા (C), શુભમન ગિલ, યશસ્વી જયસ્વાલ, શ્રેયસ અય્યર, કે.એસ ભરત (wkt), ધ્રુવ જુરેલ (wkt), રવિચંદ્રન અશ્વિન, અક્ષર પટેલ, કુલદીપ યાદવ, મોહમ્મદ સિરાજ, મુકેશ કુમાર, જસપ્રીત બુમરાહ (VC), આવેશ ખાન, રજત પાટીદાર, સરફરાઝ ખાન, વોશિંગ્ટન સુંદર, સૌરભ કુમાર