ઈરાનના વરિષ્ઠ સૈન્ય અધિકારીએ કહ્યું કે અમેરિકાના ઘણા સૈનિકો માર્યા ગયા હતા
ઈરાનના કમાન્ડર જનરલ કાસિમ સુલેમાનીની મૃત્યુ બાદ અમેરિકા અને ઈરાન આકરા પાણીએ છે. એક દિવસ પહેલા અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યુ હતું કે તેઓ ઈરાનને ક્યારેય પરમાણુ શક્તિ નહીં બનવા દે. આ નિવેદન પર ઈરાને હવે જવાબ આપ્યો છે. ઈરાનના એરોસ્પેસ પ્રોગ્રામનું નેતૃત્વ કરનારા બ્રિગેડીયર જનરલ આમિર અલી હાજિજાહેદે કહ્યું કે ઈરાને પણ સેંકડો મિસાઈલ તૈયાર કરી લીધી હતી
ન્યૂઝ એજન્સી પીટીઆઇના સમાચાર પ્રમાણે જનરલ આમિર અલી હાજિજાહેદે કહ્યું કે બુધવારે ઈરાનની સેનાએ ઈરાકમાં અમેરિકાના સૈન્ય ઠેકાણાઓ પર 13 મિસાઈલ છોડી હતી. અમે સેંકડો મિસાઈલ છોડવા માટે તૈયાર હતા. ઈરાનના મિસાઈલ હુમલામાં ઘણા અમેરિકન સૈનિકો મરી ગયા અને ઘણા ઘાયલ થયા હતા. જોકે અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે આ હુમલામાં કોઇ પણ અમેરિકાના સૈનિકનું મૃત્યુ ન થયું હોવાનો દાવો કર્યો હતો.
ડોનાલ્ડ ટ્રમ્પનું નિવેદન શું હતું ?
અમેરિકાના રાષ્ટ્રપતિએ કહ્યું કે ગત રાત્રે થયેલા હુમલામાં કોઇ અમેરિકનને ઈજા પહોંચી નથી. આપણા બધા સૈનિકો સુરક્ષિત છે. માત્ર આપણા મિલિટરી બેઝ પર થોડું નુકશાન થયું છે. જ્યાં સુધી હું રાષ્ટ્રપતિ છું, ત્યાં સુધી ઈરાન ક્યારેય ન્યૂક્લિયર હથિયાર નહીં બનાવી શકે. આપણે અત્યારે ઘણી હાયપરસોનિક મિસાઇલનું નિર્માણ કરી રહ્યા છીએ. આપણી પાસે શક્તિશાળી મિલીટરી સાધનો છે પરંતુ તેનો અર્થ એ નથી કે તેનો ઉપયોગ કરવાનો હોય. અમે તેનો ઉપયોગ કરવા માગતા નથી. ટ્રમ્પે કહ્યું કે કાસિમ સુલેમાનીને મારીને અમે વિશ્વના સૌથી મોટા આતંકવાદીને મારી નાખ્યો છે. ઈરાન જ્યાં સુધી તેનું વલણ નહીં બદલે ત્યાં સુધી તેના પર આકરા આર્થિક પ્રતિબંધ લગાવવામાં આવશે. અમે મિડલ ઇસ્ટમાં શાંતિ ઇચ્છીએ છીએ.