• Home
  • News
  • શું આ રીતે ભણશે ગુજરાત?:શિક્ષણક્ષેત્રે મોટા-મોટા દાવા કરતી સરકારની જાહેરાતો નિષ્ફળ, ગુજરાતમાં 1 લાખથી પણ વધુ ડ્રોપઆઉટ વિધાર્થી હોવાનો વિપક્ષનો દાવો
post

ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિનાં પ્રવક્તા હેમાંગ રાવલે જણાવ્યું હતું કે, અમદાવાદ જિલ્લાનાં 10 હજારથી વધુ વિદ્યાર્થીઓએ ડ્રોપઆઉટ લીધો હતો

Written By newsonline | Ahmedabad | Published: 2023-08-21 18:44:36

ગુજરાતનાં શિક્ષણ વિભાગમાં શાળાઓની જાણ બહાર શિક્ષણ વિભાગે જાતે જ વિદ્યાર્થીઓને ખાનગી શાળામાં ઓનલાઈન એડમિશન કરી દીધા હોવાનો કોંગ્રેસે આક્ષેપ કર્યો છે. સમગ્ર ગુજરાતનાં ડ્રોપઆઉટ વિધાર્થીઓનો સાચો આંકડો 1 લાખથી પણ વધુ હોવાનો વિપક્ષ દ્વારા દાવો કરવામાં આવી રહ્યો છે. આ દાવા સાથે જ વિપક્ષે વાલીઓને જૂની સ્કૂલમાંથી LC લેવા પણ અપીલ કરી છે. સામાન્ય સંજોગોમાં વાલીઓ પોતાના દીકરા કે દીકરીનું શાળામાં એડમિશન લેવા આવે છે ત્યારે ફોર્મ ભરે છે, ખાનગી શાળા હોય તો ફી ભરે છે અને ત્યારબાદ એડમિશન લે છે અને અંતમાં CRCને ઓનલાઈન એન્ટ્રી માટે માહિતી મોકલવામાં આવે છે.

CRCએ વિદ્યાર્થીઓની ઓનલાઈન એન્ટ્રી કરી દીધી
ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિનાં પ્રવક્તા હેમાંગ રાવલે જણાવ્યું હતું કે, અમદાવાદ જિલ્લાનાં 10 હજારથી વધુ વિદ્યાર્થીઓએ ડ્રોપઆઉટ લીધો હતો. શિક્ષણ વિભાગનાં આદેશથી DEO એ શાળાઓને વોઇસ મેસેજ મોકલ્યો હતો કે, તે વિધાર્થીઓને શોધીને, ઘરે જઈને, રજીસ્ટર કરીને ડ્રોપઆઉટ રેશિયો ઘટાડો. હાલમાં પ્રથમ ક્વાટર પણ પૂર્ણ થયેલ છે ત્યારે ડ્રોપઆઉટ રેશિયો ઘટાડીને સરકારને નાલોશીથી બચાવવા શિક્ષણ વિભાગ અવનવા ગતકડા કરી રહ્યું છે પરંતુ, કથળતાં શિક્ષણના લીધે વિધાર્થીઓ અને વાલીઓએ પ્રતિભાવ ન આપતાં DEOના શિક્ષણ વિભાગના સ્ટાફ અને CRCએ વાલીઓ,વિદ્યાર્થીઓ અને શાળાઓને જણાવ્યા વગર તે જ વિદ્યાર્થીઓની ઓનલાઈન એન્ટ્રી કરી દીધી. સવારથી જ ખાનગી શાળાઓમાં શાળા દીઠ 20-25 LC લઈ શિક્ષણ વિભાગના કર્મચારી આવે છે અને કહી રહ્યાં છે કે, આ વિદ્યાર્થીઓને તમારે ભણાવવાના છે, અમે ઓનલાઇન એન્ટ્રી કરી દીધી છે. આચાર્ય જ્યારે પૂછે છે કે, આ કોણ છે? અમે તે વિદ્યાર્થી, વાલીને ઓળખતા નથી, અમારે ત્યાં એકપણ વખત આવ્યા નથી ત્યારે તેમને જવાબ મળે છે કે. એ બધી ચિંતા તમે ના કરો, બાળક તમારે ત્યાં આવે કે ન આવે આટલા વિદ્યાર્થીઓને તમારી શાળામાં દાખલ કરવાના છે. અમોએ તમારી શાળાની ઓનલાઈન એન્ટ્રી કરી દીધેલ છે. તેમ કહીને LCનો થપ્પો પકડાવી દીધો છે.

આ વિદ્યાર્થીઓની ફી કોણ ભરશે અને કયારે ભરશે?
જ્યારે આ શાળાના સંચાલકો, આચાર્યએ આ વિદ્યાર્થીઓની ફી કોણ ભરશે અને કયારે ભરશે? ત્યારે જવાબ મળ્યો કે, જો ફી ન આવે અને ભવિષ્યમાં LC લેવા આવે ત્યારે શું કરવું? તે તમારા ઉપર છે. અમારે તો ઉપરથી આદેશ છે એટલે વિદ્યાર્થીઓને રજીસ્ટર કરી દીધા છે અને LC જમા કરાવવાના છે. જો તમે તમારી જૂની શાળામાંથી LC ન લીધું હોય તો જલ્દીથી LC લઈ લો નહીંતર તમારી જાણ બહાર તમારા વિદ્યાર્થીને બીજી શાળામાં એડમિશનનો કારસો ઘડાઈ રહ્યો છે. જો શિક્ષણ વિભાગનાં કર્મચારીઓ તમારા ઘરે LC લેવા આવે તો તેમને પૂછજો કે, જો વિદ્યાર્થી નવી શાળામાં દાખલ થાય તો તેની ફી ખાનગી શાળામાં મારે ભરવાની રહેશે કે, ગુજરાતની ભાજપ સરકાર ચૂકવશે? ખાસ કરીને વાલીઓને જણાવવાનું કે, ભવિષ્યમાં ખાનગી શાળાઓ તેમની બાકી ફી લીધા સિવાય LC છૂટું કરશે નહિ તે ધ્યાનમાં રાખીને આવનાર શૈક્ષણિક સ્ટાફને માહિતી આપવી.

1657 શાળા માત્ર એક શિક્ષકથી ચાલી રહી છે
ગુજરાત સરકાર દર વર્ષે શાળા પ્રવેશોત્સવના નામે તાયફા યોજી સરકારી તિજોરીમાંથી કરોડો રૂપિયાનો ખર્ચ કરે છે. શિક્ષણનાં બજેટ ફાળવણીમાં કરોડો રૂપિયાના મોટા-મોટા દાવાઓ કરતી ભાજપ સરકાર ગરીબ-સામાન્ય-મધ્યમ વર્ગના બાળકોને શિક્ષણના અધિકારથી વંચિત રાખી રહી છે. એક તરફ શિક્ષણમાં ક્રાંતિકારી પહેલના નામે મોટી મોટી જાહેરાતો કરતી ભાજપ સરકારનો શિક્ષણ વિભાગ ભ્રષ્ટાચારનું એપી સેન્ટર છે. રાજ્યની 38,000 સરકારી શાળાઓમાંથી 5612 સરકારી શાળાને ઓછી સંખ્યાના નામે મર્જ / બંધ કરવાનું પાપ કરવા આગળ વધતી ભાજપ સરકારમાં 32 હજાર શિક્ષકોની લાંબા સમયથી જગ્યાઓ ખાલી છે. 38 હજાર વર્ગખંડોની મોટા પાયે ઘટ છે. 1657 શાળા માત્ર એક શિક્ષકથી ચાલી રહી છે. 14.652 શાળાઓમાં એક વર્ગખંડમાં એક કરતાં વધારે ધોરણના વિદ્યાર્થીઓને ભણવા માટે મજબુર થવું પડે છે, શું આ રીતે ભણશે ગુજરાત ?

ડ્રોપઆઉટ રેશિયોનો સાચો આંકડો બતાવે તો દેશમાં પહેલા નંબરે આવે
ગુજરાતનું શિક્ષણ બોર્ડ પબ્લિસિટી માટે વારંવાર નવા-નવા તઘલખી નિર્ણયો કરતું હોય છે. ભૂતકાળમાં શિક્ષકો જોડે તીડ ભગાડવાનો પરિપત્ર, લગ્ન પ્રસંગનાં દિવસોમાં જમણવારમાં કેટલી ડીશો થઈ છે તેનો પરિપત્ર, શિક્ષકોએ પોતાનો મોબાઇલ આચાર્યને જમા કરાવવાનો પરિપત્ર, બાળકોના વજનથી માત્ર 10% વજનનું દફતર હોવું જોઈએ તેવા પરિપત્ર ઘણીવાર વગર વિચારે કરવામાં આવે છે પરંતુ, આ બધું માત્ર પબ્લિસિટી માટે કરવામાં આવી રહ્યું છે. કોઈપણ પ્રકારનું ઇમ્પ્લીમેન્ટેશન થતું નથી, હકીકત તો એ છે કે ગુજરાતના વિદ્યાર્થીઓના ડ્રોપાઉટ રેશિયોનો જો સાચો આંકડો બતાવવામાં આવે તો સમગ્ર ભારતમાં સૌપ્રથમ નંબરે આવે. આજે માત્ર અમદાવાદ જિલ્લામાં ધોરણ ૮ માંથી પાસ થયેલા ૧૦,૦૦૦ જેટલા વિધાર્થીઓ ડ્રોપ આઉટ થતા શિક્ષણક્ષેત્રે ભાજપ સરકારની મોટા મોટા દાવા કરતી જાહેરાતોની પોલ ખુલ્લી પડી છે.

અમદાવાદ જિલ્લાના 10 હજાર જેટલા વિદ્યાર્થીઓ છે
ગુજરાત સરકાર અને શિક્ષણ વિભાગ પોતાના છબરડાઓ છુપાવવા માંગે છે. શાળાઓનો ડ્રોપાઉટ રેશિયો ખૂબ જ વધી ગયો છે અને આ વધેલા ડ્રોપાઉટ રેશિયોના કારણે ભારતીય જનતા પાર્ટીના શાસનની શિક્ષણની નિષ્ફળતાઓ બહાર ના આવે તેના માટે આજે રવિવારે ગુજરાતના શિક્ષણ સચિવ વિનોદ રાવના આદેશથી રજાના દિવસે પણ અમદાવાદ જિલ્લાની તમામ શાળાઓના આચાર્યને શિક્ષકોને અને કોમ્પ્યુટર સ્ટાફને બોલાવીને ડ્રોપ આઉટ થયેલા વિદ્યાર્થીઓનો સંપર્ક કરીને તેમને યેનકેન પ્રમાણે ફરીથી ભણતા કરવા માટેના નિષ્ફળ પ્રયત્ન કરવામાં આવી રહ્યા છે. પ્રાપ્ત થતી માહિતી અનુસાર ધોરણ-8માંથી ધોરણ-9માં ન ગયેલા અને એડમિશન ન લીધેલા માત્ર અમદાવાદ જિલ્લાના 10 હજાર જેટલા વિદ્યાર્થીઓ છે. આને જો ડેટા પ્રમાણે ગણવામાં આવે તો આ આંકડો સમગ્ર ગુજરાતનો માત્ર ધોરણ-8માંથી 9માં એડમિશન ન લઈને ડ્રોપઆઉટ થનારા વિદ્યાર્થીઓનો હોઇ શકે છે, જે એક લાખથી વધુ હોઈ શકે છે. જે ગુજરાતના શિક્ષણ માટે ખૂબ જ ગંભીર બાબત છે અને ભારતીય જનતા પાર્ટીની સરકારની નિષ્ફળતા સાબિત કરે છે.

 

adv

Related News

post
post
post
post
post
post
post