જમાલપુરમાં એક સપ્તાહના કેસ બે આંકડાને પણ પાર નથી કરી શક્યા
અમદાવાદ: દેશમાં કોરોનાનાં
સૌથી ભયાનક ચિત્ર એક સમયે અમદાવાદના કોટ વિસ્તારમાં હતું. કોરોનાનાં કારણે ટપોટપ
લોકોના મોત થઈ રહ્યા હતા, ત્યારે જમાલપુર વિસ્તારમાં કોરોનાનો કહેર
સૌથી વધુ થઈ ગયો અને લોકો ભયમાં જીવવા લાગ્યા હતા. પણ હવે જમાલપુર વિસ્તારમાં એક
સપ્તાહથી કોરોનાનાં કેસ નહિવત થઈ ગયા છે. એમ કહી શકાય કે, કોરોનામુક્ત
જમાલપુર બની રહ્યું છે. આ સમગ્ર બાબત માટે બે કારણ જવાબદાર હોવાનું સ્થાનિક
અગ્રણીઓ જણાવે છે. જેમાં જમાલપુરમાં સૌથી વધુ ટેસ્ટિંગ છે જ્યારે બીજું કારણ
વિસ્તારમાં હવે મહોલ્લા ક્લિનિક એટલે ખાનગી દવાખાના શરૂ થઈ ગયા છે જેથી લોકોમાં
કોરોનાનો હાઉ ઓછો થઈ ગયો છે.
જમાલપુરની સ્થિતિ અન્ય વિસ્તારો કરતા પણ સારી થઈ રહી છે
જમાલપુર વિસ્તારમાં
ખૂબ ગિચ વસ્તી રહે છે અને અહીંયા કોરોનાનાં ખૂબ જ કેસ આવ્યા તેની સાથે કોરોનાના
કારણે અહીં મોત પણ ખૂબ વધારે થયા હતા.પણ હવે જમાલપુરની સ્થિતિ શહેરમાં અન્ય
વિસ્તારો કરતા પણ સારી થઈ રહી છે. જમાલપુર વિસ્તારમાં એક સપ્તાહમાં તો કેટલાક દિવસ
નોંધ માત્રનો પણ કેસ સામે નથી આવ્યો. આ અંગે એવું શું બન્યું કે જમાલપુરમાં
હોટસ્પોટથી હટીને હવે કોરોનામુકત થવા તરફ આગળ વધી રહ્યું છે.
લોકોને નાની બીમારીઓ માટે અહીંયા જ દવા મળવા લાગી છે
આ અંગે જમાલપુર
ખાડીયાના ધારાસભ્ય ઇમરાન ખેડવાલાએ જણાવ્યું હતું કે, જમાલપુરમાં
હાલ ખૂબ સારી સ્થિતિ છે. અહીં કેસ ઓછા થવા પાછળ ઘણા પરિબળો કામ કર્યું છે. પણ
તેમાં પણ ખાસ કરીને જમાલપુર વિસ્તારમાં સૌથી વધુ ટેસ્ટિંગ થયા હતાં. નાની નાની
ગલીઓ-પોળમાં પણ લોકો ટેસ્ટના કરાવ્યા જેથી સંક્રમિતને ઓળખી શકાય અને તેમને સારવાર
મળી. બીજી તરફ અહીંના લોકોને આ વિસ્તારમાં ચાલતા ખાનગી દવાખાના શરૂ થતાં તેમનો ડર
ઓછો થવા લાગ્યો અને ધીમે ધીમે તેઓને નાની બીમારીમાં અહીંયા જ દવા મળવા લાગી તેમજ
તેમના ફેમેલી ડોકટર પાસે જઈને તેમનો કોરોના સામેનો હાઉ ઓછો થવા લાગ્યો છે.