• Home
  • News
  • જમાલપુર મંદિરનું રિ-ડેવલોપમેન્ટ થશે:ભગવાનનાં એકસાથે 50,000 લોકો દર્શન કરી શકે એવું વિશાળ મંદિર પરિસર બનશે, ભક્તોના રહેવા-જમવાની વ્યવસ્થા ઊભી કરાશે
post

એસ્ટીમેટ તૈયાર કરી અને પ્લાન પાસ માટે મુકાશે

Written By newsonline | Ahmedabad | Published: 2023-06-21 19:11:17

ભગવાન જગન્નાથની 146મી રથયાત્રા મંગળવારે પૂર્ણ થઈ. રથયાત્રા પૂર્ણ થયા બાદ આજે જમાલપુર જગન્નાથ મંદિરના ટ્રસ્ટી મહેન્દ્ર ઝાએ જણાવ્યું હતું કે, છેલ્લાં અનેક વર્ષોથી ભગવાન જગન્નાથની રથયાત્રા યોજાય છે. જેમાં લાખો ભક્તો જોડાય છે. લોકોની શ્રદ્ધા અને ભક્તિ છેલ્લાં અનેક વર્ષોથી ભગવાન જગન્નાથ પ્રત્યે વધી રહી છે. જેને ધ્યાનમાં રાખી જમાલપુર જગન્નાથ મંદિરને રિ-ડેવલોપમેન્ટ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. ભગવાનનાં એકસાથે 50,000 લોકો દર્શન કરી શકે તેવું વિશાળ મંદિર પરિસર બનશે. તેમજ મ્યુઝિયમ અને ભક્તોની રહેવા-જમવાની વ્યવસ્થા ઊભી કરાશે.

રહેવા-જમવાની વ્યવસ્થા ઊભી કરાશે
મંદિર પરિસરની જગ્યાનો ઉપયોગ કરી મોટું વિશાળ મંદિર અને તેમાં રહેવા-જમવાની વ્યવસ્થા સહિતની સુવિધાઓ સાથેનું નવું મંદિર આગામી દિવસોમાં બનાવવામાં આવશે. મંદિરના રિ-ડેવલોપમેન્ટ માટેનો સરવે એક વખત થઈ ગયો છે. થોડા સમય બાદ ફરીથી સરવે કરી અને તેનો એસ્ટીમેટ કાઢ્યા બાદ આ સમગ્ર રિ-ડેવલોપમેન્ટની કામગીરી હાથ ધરવામાં આવશે.

સરવે કરાવવામાં આવ્યો
મહેન્દ્ર ઝાએ વધુમાં જણાવ્યું હતું કે, રથયાત્રા દરમિયાન 18થી 20 લાખ લોકો ભાગ લેતા હોય છે. દર વર્ષે લાખો શ્રદ્ધાળુઓ જમાલપુર જગન્નાથ મંદિરે દર્શન કરવા આવતા હોય છે. વર્ષોથી ભગવાન પ્રત્યેની અપાર શ્રદ્ધા અને ભક્તિને ધ્યાનમાં રાખી હવેથી જમાલપુર જગન્નાથ મંદિરમાં 50,000 શ્રદ્ધાળુઓ એકસાથે દર્શન કરી શકે તેના માટે મંદિરને રિ-ડેવલોપમેન્ટ કરવામાં આવશે. જેનો સરવે કરાવવામાં આવ્યો છે.

બે માળનું મોટું પાર્કિંગ પણ બનાવાશે
વધુમાં જણાવ્યું હતું કે, નવા મંદિર પરિસરમાં બહારગામથી આવતા શ્રદ્ધાળુઓ અને સાધુ-સંતોની રહેવા જમવાની વ્યવસ્થા સાથેનું નવું બિલ્ડિંગ બનાવવામાં આવશે. મંદિરે દર્શનાર્થે આવતા શ્રદ્ધાળુઓને પાર્કિંગની ખૂબ મોટી સમસ્યા નડતી હોય છે જેથી બે માળનું મોટું પાર્કિંગ પણ બનાવવામાં આવશે.

મંદિરની ઓફિસ પણ નવી જગ્યામાં બનાવાશે
વધુમાં જણાવ્યું હતું કે, જગન્નાથ મંદિરની માલિકીની જગ્યામાં ચારથી પાંચ ચાલીઓ પણ આવેલી છે. જેમાં લોકો રહે છે તેઓ માટે એક અલગ જગ્યામાં મકાનો બનાવી અને તેમને રહેવા માટે આપવામાં આવશે. મંદિરમાં હાથીઓ પણ રહે છે, તેઓ માટે નવું હાથીખાનું પણ બનાવવામાં આવશે. મંદિરની ઓફિસ પણ નવી જગ્યામાં બનાવવામાં આવશે.

એસ્ટીમેટ તૈયાર કરી અને પ્લાન પાસ માટે મુકાશે
અંતમાં જણાવ્યું હતું કે, જમાલપુર જગન્નાથ મંદિરમાં મહંત નરસિંહદાસના સમયથી રથયાત્રા નીકળી અને આજ દિન સુધીની રથયાત્રા સહિત મંદિરના ઇતિહાસ વગેરેની ઝાંખી કરાવતું એક મ્યુઝિયમ પણ તૈયાર કરવામાં આવનાર છે. જગન્નાથ મંદિરના રિ-ડેવોલપમેન્ટ માટેનો સરવે કરવામાં આવ્યો છે, આગામી દિવસોમાં તેનો એસ્ટીમેટ તૈયાર કરી અને પ્લાન પાસ માટે મૂકવામાં આવશે.

adv

Related News

post
post
post
post
post
post
post