• Home
  • News
  • LRDની અનામત વર્ગની ઉમેદવારોએ 72મા દિવસે આંદોલન સમેટી લીધું
post

રાજ્ય ગૃહમંત્રી સાથે મીટિંગ બાદ મહિલાઓએ આંદોલન પૂરું થયાનું જાહેર કર્યું

Written By newsonline | Ahmedabad | Published: 2020-02-20 10:57:13

ગાંધીનગર: LRD (લોક રક્ષક દળ)ની ભરતીમાં જીએડીના 1-8-18ના ઠરાવને રદ કરવાની માગણી સાથે એસસી, એસટી, ઓબીસીની મહિલા ઉમેદવારો દ્વારા છેલ્લા 72 દિવસથી ચાલતું આંદોલન આખરે પૂર્ણ જાહેર કરાયું હતું. જોકે મહિલાઓના સમર્થનમાં આવેલા કેટલાક પુરુષ આગેવાનોએ આ બાબત સ્વીકારી ન હતી અને તેમણે આંદોલન ચાલુ રાખવાની જાહેરાત કરી હતી. જ્યારે ઉપવાસ પર બેઠેલી યુવતીઓ ઘરે જવા રવાના થઈ હતી.


ગાંધીનગરની સત્યાગ્રહ છાવણીમાં આંદોલન કરી રહેલી અનામત કેટેગરીની મહિલા ઉમેદવારોના સમર્થનમાં ભાજપ- કોંગ્રેસના નેતાઓ પણ જોડાયા હતા અને સરકારે નમતું નહીં જોખતા આખરે ઉપવાસ શરૂ કર્યા હતા. બીજી તરફ બિનઅનામત વર્ગની મહિલા ઉમેદવારો દ્વારા પણ ઠરાવ રદ નહીં કરવા આંદોલન કરતા સરકારે બેઠકો વધારીને બંને વર્ગની મહિલા ઉમેદવારોનો સમાવેશ કરવાની જાહેરાત કરી હતી, જેના પગલે બિનઅનામત કેટેગરીની મહિલા ઉમેદવારોએ આંદોલન સમેટ્યું હતું, પરંતુ ઠરાવ રદ કરવાની જીદ સાથે અનામત કેટેગરીની મહિલા ઉમેદવારોએ આંદોલન ચાલુ રાખ્યું હતું. બુધવારે ગૃહ રાજ્યમંત્રી પ્રદીપસિંહ જાડેજાએ આંદોલન કરી રહેલી મહિલા ઉમેદવારો સાથે બેઠક યોજીને તેમને જે મુદ્દે સમસ્યા હતી તે તમામ અંગે ચર્ચા કરીને યોગ્ય નિકાલની ખાતરી આપ્યા બાદ મહિલા ઉમેદવારોએ આંદોલન પૂર્ણ જાહેર કર્યું હતું.


અનામત કેટેગરીની મહિલા ઉમેદવારોએ જણાવ્યું હતું સરકારનું વલણ જોતાં અમે આંદોલન પૂર્ણ જાહેર કરીએ છીએ. અમારી મૂળ માગણી ઠરાવ રદ કરવાની યથાવત રહેશે અને 25મીએ સરકાર તરફથી શું એફિડેવિટ કરાય છે તે જોયા બાદ જરૂર પડશે તો અમે ફરી આંદોલન કરીશું. બીજીતરફ મહિલાઓ દ્વારા આંદોલન પૂર્ણ કરવાની જાહેરાત બાદ આંદોલન છાવણીમાં બે ભાગ પડી ગયા હતા.


ઉમેદવારોને નોકરીમાં તકલીફ નહિ પડે
મહિલા ઉમેદવારોએ આંદોલન પૂર્ણ કર્યા બાદ વાત કરતા પ્રદીપસિંહ જાડેજાએ જણાવ્યું કે, મુખ્યમંત્રીએ કહ્યું છે કે આંદોલન પર બેસેલી કોઈ પણ મહિલા ઉમેદવાર પ્રત્યે નોકરી દરમિયાન કોઈ તકલીફ પડશે નહીં અને ત્રણ અઠવાડિયામાં જ એલઆરડી ભરતીની નિમણૂક પ્રક્રિયા પૂર્ણ કરવામાં આવશે.

 

adv

Related News

post
post
post
post
post
post
post