• Home
  • News
  • ‘મહા’ વાવાઝોડાંની સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં મહાઅસર થશે
post

અરબી સમુદ્રમાં સર્જાયેલું ‘મહા’ વાવાઝોડાંની વધુ અસર સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં થવાની છે

Written By newsonline | Ahmedabad | Published: 2019-11-04 10:36:26

 દીવ: અરબી સમુદ્રમાં સર્જાયેલું મહાવાવાઝોડાંની વધુ અસર સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં થવાની છે. ત્યારે મહાવાવાઝોડું સંતાકુકડી રમી રહ્યું હોય તેમ શનિવારે આ વાવાઝોડું ગુજરાતના દરિયાકિનારાથી નજીક આવી જતાં રાજ્યના મોટાભાગના વિસ્તારમાં મધ્યમથી ભારે વરસાદ વરસ્યો હતો. જોકે હવે સિસ્ટમથી થોડી દૂર જવા સાથે ફરી એકવાર દિશા બદલી 6 નવેમ્બરની રાત અથવા 7મીની વહેલી સવારે દીવ-દ્વારકાના દરિયાકાંઠા વચ્ચે ત્રાટકે તેવી શક્યતા છે. સંભવત મંગળવારે ફરી પાછી આ સિસ્ટમ રિકર્વ થઇ ગુજરાત નજીક પહોંચશે ત્યારે વાતાવરણમાં ફરી એકવાર પલટો આવશે. હજુ આજે વાદળછાયો માહોલ રહ્યા બાદ મંગળવારથી વરસાદી ગતિવિધિ શરૂ થશે.

ભુજ હવામાન કચેરીના પ્રભારી રાકેશ કુમારે કહ્યું કે વાવાઝોડાંની વધુ અસર સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં થવાની છે પણ કચ્છમાં તેની અસર હેઠળ 50થી 60 કિલોમિટરની ઝડપે પવન ફુંકાશે. જિલ્લાના મોટાભાગના વિસ્તારમાં 6 અને 7 નવેના હળવોથી મધ્યમ વરસાદ વરસશે. કાંઠાળ પટ્ટામાં વરસાદનું જોર થોડું વધુ રહેશે. આ સિસ્ટમ ગુજરાત નજીક પહોંચશે ત્યારે દરિયામાં પણ ઉંચા મોજા ઉછળશે. ભુજનું રડાર સ્ટેશન પણ મહાની હિલચાલ પર સતત બારીકાઇથી નજર રાખી રહ્યું છે. કચ્છના તંત્રને એલર્ટ મોડમાં રહેવાની સુચના આપવામાં આવી છે. રાજય સ્તરેથી જે સૃચના મળશે તે મુજબ જિલ્લાનુ વહિવટીતંત્ર કામગીરી કરતું જશે તેવું સતાવાર સુત્રોએ જણાવ્યું છે.

મહા વાવાઝોડું ગુજરાતના દરીયાકાંઠે ટકરાય તેવી પ્રબળ સંભાવના વચ્ચે દરિયામાં પણ તેનો કરંટ જોવા મળી રહ્યો છે. દરિયાની સ્થિતિ રફ બનતાં દરિયાઇ સફર ખેડવા ગયેલી બોટોને પરત આવી જવા સુચના આપવામાં આવી હતી. ત્યારે કચ્છથી ઓપરેટ થયેલી 220 બોટ હજુ સુધી દરિયામાં જ અટવાયેલી હોવાથી તેનો સંપર્ક કરવા માટે કોસ્ટગાર્ડ અને મરીન પોલીસની મદદ લેવાઇ છે તેવું જિલ્લા મત્સ્યોદ્યોગ અધિકારી જીજ્ઞેશ ગોહિલે માહિતી આપતાં જણાવ્યું હતું. કચ્છના જખૌ, માંડવી અને મુન્દ્રા પોર્ટ પરથી કુલ 1090 બોટ દરિયામાં ગઇ હતી. વાવાઝોડાંની ચેતવણી મળ્યા બાદ અત્યાર સુધી 870 જેટલી બોટ પરત આવી ગઇ છે. જ્યારે કચ્છથી ઓપરેટ થયેલી કચ્છની 195 અને વલસાડ, ગીર સોમનાથ, પોરબંદર, જામનગર, દેવભુમિ દ્વારકા જિલ્લાની 225 બોટ દરિયામાંથી પરત ફરી નથી.

દરમિયાન દરીયાઇ સફર ખેડવા ગયેલી બોટોને પરત ફરવા માટે સુચના આપી દેવાઇ છે. કોસ્ટગાર્ડ અને મરીન પોલીસની સુચના બાદ પણ જે બોટો પરત ફરશે નહી તેમની સામે મત્સ્યોદ્યોગ કાયદામાં કરાયેલ જોગવાઇ મુજબ ફિશીંગ લાયસન્સ રદ કરવા અને રોકડ દંડ વસુલવા સહિતના પગલાં ભરવાની ચીમકી પણ અપાઇ છે.

મહા વાવાઝોડાની અસરથી આગામી પાંચ દિવસ વરસાદી માહોલ વચ્ચે વરસાદની શક્યતા છે. આગામી ત્રણ દિવસ વરસાદી માહોલ વચ્ચે હળવો વરસાદ પડવાની શક્યતા છે. જો કે, 6થી 8 નવેમ્બર દરમિયાન ભારે પવન સાથે રાજ્યનાં સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતનાં વિવિધ વિસ્તારો આણંદ, ખેડા, પંચમહાલ, દાહોદ, ડાંગ, તાપી, સુરત ભરૂચ, વડોદરા, નર્મદા, સુરેન્દ્રનગર,જામનગર, રાજકોટ, બોટાદ, પોરબંદર, જૂનાગઢ, ભાવનગર અને ગીર-સોમનાથમાં વરસાદ પડી શકે છે. જો કે હવામાન ખાતાએ ભારે વરસાદ કે વિનાશક અસરની આગાહી કરી નથી તેમ છતાં માછીમારોને સાવધ રહેવા તંત્રએ તાકીદ કરી છે. દરિયો ખેડવા ગયેલી બોટોને સમયસર પરત આવવા તાકીદ કરી દેવાઇ છે, અને માછીમારોને દરિયો ન ખેડવા સુચના અપાઇ છે.