અરજદાર પ્રાણીઓ પ્રત્યે ક્રૂર નહીં બને અને એનું યોગ્ય સંચાલન કરશેઃ કોર્ટ
ત્રણ ભેંસને પોલીસ કસ્ટડીમાંથી મુક્ત કરાવવા માટે ગુજરાત
હાઇકોર્ટમાં અરજી કરવામાં આવી હતી. આણંદની મહેલાવ પોલીસ દ્વારા ચાર ભેંસને બોલેરો
કારમાં ઝડપી ફરિયાદ નોંધવામાં આવી હતી. પેટલાદ રણછોડજી મંદિર ટ્રસ્ટમાં ભેંસોને
મૂકવામાં આવી હતી, જ્યાં
એક ભેંસનું મોત થયાનું અરજદારના વકીલનું કહેવું છે. હાલ મંદિર ટ્રસ્ટ પાસે રહેલી
ત્રણ ભેંસોને મુક્ત કરવા આદેશ આપ્યો છે. કોર્ટે પશુઓને મુક્ત કરતી વખતે અવલોકન
કર્યું કે અરજદાર પ્રાણીઓનો માલિક છે અને તે ભેંસના દૂધના વેચાણથી પોતાનું ગુજરાન
ચલાવે છે.
ટ્રાયલ કોર્ટમાં 60 હજાર જમા કરાવવા આદેશ
ગુજરાત
હાઈકોર્ટની સિંગલ જજની ખંડપીઠે ત્રણેય ભેંસને મુક્ત કરવાની મંજૂરી આપતાં અરજદાર
(માલિક)ને સિક્યોરિટી બોન્ડ તરીકે ટ્રાયલ કોર્ટ સમક્ષ રૂ. 60,000 જમા કરાવવાનો આદેશ આપ્યો હતો.
ભેંસોની સંભાળ રાખવા બદલ કોર્ટે તેને રણછોડજી મંદિર ટ્રસ્ટને પણ રૂ .20,000 ચૂકવવાનો કર્યો હતો. કોર્ટે એમ પણ
કહ્યું હતું કે જો તપાસ અધિકારીને એ ભેંસોનો ફોટોગ્રાફ અને વિડિયો મેળવવો જરૂરી
લાગશે તો તે કરી શકે છે અને ખર્ચ અરજદાર દ્વારા ઉઠાવવામાં આવશે. કેટલ હાઉસનું
એફિડેવિટ અને ભેંસોની સંભાળ માટે અરજદારની રૂ .20,000 ચૂકવવાની તૈયારીને ધ્યાનમાં રાખીને, એ અરજદારને સોંપવામાં આવશે અને
કોર્ટે એમ પણ કહ્યું હતું કે અરજદાર પ્રાણીઓ પ્રત્યે ક્રૂર નહીં બને અને એનું
યોગ્ય સંચાલન કરશે.
અરજદાર પશુ દ્વારા પોતાનું ગુજરાન
ચલાવે છે
અરજદારના
વકીલે કોર્ટ સમક્ષ રજૂઆત કરી હતી કે અરજદાર પ્રાણીઓનો માલિક છે અને તે કાજીપુરા
દૂધ ઉત્પાદક સહકારી મંડળી લિમિટેડનો સભ્ય છે અને એને દૂધ પૂરું પાડે છે. અરજદાર
પશુ દ્વારા પોતાનું ગુજરાન ચલાવે છે અને જો તે પાંજરાપોળમાં રહેશે તો કોઈ ઉદ્દેશ
નથી. તેણે એવી દલીલ પણ કરી હતી કે રણછોડજી મંદિર ટ્રસ્ટની દેખભાળમાં રહેલી એક
ભેંસનું મોત થઈ ચૂક્યું છે અને તેથી ભેંસોને તાત્કાલિક ધોરણે મુક્ત કરવામાં આવે.
પોલીસે મોં અને પગ બાંધેલી ચાર
ભેંસ સાથે બોલેરો ઝડપી હતી
આણંદના
મહેલાવ પોલીસે 4 માર્ચે
પેટ્રોલિંગ ડ્યૂટી દરમિયાન એક બોલેરો કાર અટકાવી હતી, જેમાં મોં અને પગ બાંધેલી ચાર ભેંસ
મળી હતી. ડ્રાઇવર પ્રાણીઓને ક્યાં લઈ જતો હતો એ અંગે સંતોષકારક જવાબ આપી શક્યો ન
હતો અને એવી શંકા છે કે તેઓ કતલખાને જઈ રહ્યા હતા. પોલીસે આ મામલે ગુનો નોંધી ચાર
ભેંસ કબજે કરી હતી.