એપ્રિલ-2018માં બેંગલુરુના બિદડી આશ્રમમાં યોગ શિબિરમાં મુલાકાત થઈ હતી-શ્રોફ
અમદાવાદ: નિત્યાનંદને રૂબરૂમાં એક જ વાર, એપ્રિલ-2018માં મળ્યા પછી આશ્રમને 5 વર્ષ માટે જમીન અને 10 લાખનું ડોનેશન આપ્યું હોવાનું મંજુલા પૂજા શ્રોફે પોલીસને જણાવ્યું હતું. એસઆઈટીએ સોમવારે સવારે 11થી 3 વાગ્યા સુધી મંજુલાને નિત્યાનંદ આશ્રમ દ્વારા બે બાળકીઓને ગોંધી રાખવા અને નિત્યાનંદિતાને વિદેશ ભગાડવાના મામલે અનેક સવાલો કર્યા હતા. આ જ કેસમાં અમિતાભ શાહને 12મીએ પોલીસમાં હાજર થવા સમન્સ અપાયું છે.
પોલીસ સમક્ષ કહ્યું, પ્રાણપ્રિયાએ કહ્યું એટલે જગ્યા આપી દીધી હતી, આશ્રમમાં શું ચાલતું હતું તે વિશે જાણતી નથી.
પોલીસ : નિત્યાનંદને તમે ક્યારે અને ક્યાં મળ્યા હતા?
શ્રોફ : એપ્રિલ-2018માં બેંગલુરુના બિદડી આશ્રમમાં યોગ શિબિરમાં મુલાકાત થઈ હતી.
પોલીસ : નિત્યાનંદ સાથે ફોન પર ક્યારે-શું વાત થઈ?
શ્રોફ : પહેલી વખત મળ્યા બાદ ફોન પર કે રૂબરૂમાં ક્યારેય વાતચીત થઈ નથી.
પોલીસ : વાતચીત વગર જગ્યા કેવી રીતે ભાડે આપી દીધી ?
શ્રોફ : મે-જૂન
2018માં પ્રાણપ્રિયા મળવા આવી અને ગુરુકુળના બાળકો ભાડે રહે છે તો જગ્યા આપવા કહ્યું હતું એટલે જગ્યા આપી હતી.
પોલીસ : ફરિયાદીનો આક્ષેપ છે કે તમે બાળકોના અપહરણ અને તેમની દીકરીને વિદેશ મોકલવામાં મદદ કરી છે.
જવાબ : આશ્રમમાં શું ચાલતું હતું એ વિષે હું કંઈ જાણતી નથી. ઘટના બની તે સમયે 24 ઓક્ટોબરથી 4 નવેમ્બર સુધી હું અમેરિકા હતી.