PCCમાં ભરતસિંહ, અમિત ચાવડાને કહી રાજ્યસભા ઉમેદવાર શકિતસિંહના માતા માટે શોક પ્રસ્તાવ લાવ્યા; મિટિંગ પૂરી કરીને સીધું રાજીનામું આપવા ગયા
ગાંધીનગર: કોંગ્રેસમાંથી રાજીનામું
આપીને પાર્ટી છોડી ગયેલા ત્રણ ધારાસભ્યોમાંથી એક એવા મોરબીના ધારાસભ્ય બ્રિજેશ
મેરજા પર કાર્યકરો સૌથી વધુ ફિટકાર વરસાવી રહ્યા છે. જેનું કારણ એ છે કે બ્રિજેશ
મેરજા ગુરુવારે પ્રદેશ કોંગ્રેસ ખાતે મળેલી ધારાસભ્યોની મિટિંગમાં રાજ્યસભાના
ઉમેદવાર એવા શકિતસિંહ ગોહિલની માતા માટે ખાસ શ્રદ્ધાંજલિ પ્રસ્તાવ લાવ્યા હતા. આ
માટે તેમણે મિટિંગમાં હાજર એવા અન્ય રાજ્યસભા ઉમેદવાર અને પ્રદેશ પ્રમુખ અમિત
ચાવડા પાસે જઈને પ્રસ્તાવ કર્યો હતો. જેને તાત્કાલિક મંજૂર કરીને શકિતસિંહના
માતાને શ્રદ્ધાંજલિ અપાઈ હતી. આમ, મેરજાની પાર્ટીના બંને નેતાઓ પ્રત્યેની લાગણી જોતા
કોઈએ સ્વપ્ને પણ વિચાર્યું ન હતું કે તે રાજીનામું આપશે. જેને લીધે કોંગ્રેસના કાર્યકરો
મેરજા પર સૌથી વધુ ફિટકાર વરસાવી રહ્યા છે. પ્રદેશની આ મિટિંગમાં અહેમદ પટેલ અને
રાજીવ સાતવ ઓનલાઇન હાજર રહ્યા હતા.
મિટીંગ પછી તરત જ રાજીનામુ
આપવા ગયાઃ જયરાજસિંહ
આ
વિશે કોંગ્રેસ પ્રવકતા જયરાજસિંહે જણાવ્યું હતું કે, ૨૪ કલાકની નોટીસમાં આ
મિટિંગ બોલાવી હતી. જેમાં રાજ્યસભા ચુંટણી, કોરોના મહામારી, ખેડૂતોના પ્રશ્નો અને સરકારની વિવિધ મોરચે નિષ્ફળતાની
ચર્ચા કરવાની હતી. બાદમાં કોંગ્રેસ કાર્યકર્તા બદરૂદ્દીન શેખ, મણીલાલ લેઉઆ, રફીક ઘાંચી વગેરેને
શ્રદ્ધાંજલિ અપાઈ હતી. ત્યાર બાદ કોરોના મુદ્દે સરકારની નાકમીની ચર્ચા થાય તે
પહેલાં જ બ્રિજેશ મેરજાએ ઉભા થઈને ભરતસિંહ સોલંકી અને અમિત ચાવડાને સૂચન કર્યું
હતું કે આપણે શકિતસિંહ ગોહિલના માતાને અને ચિરાગ કાલરીયાના કાકાને પણ શ્રદ્ધાંજલિ
આપવી જોઈએ,
જેને
સ્વીકારી લેવાઈ હતી. સાંજે મિટિંગ પત્યા પછી મેરજા સીધા રાજીનામું આપવા જતા રહ્યા
હતાં.