હાલ શહેરમાં 80 જેટલી હોસ્પિટલોને મ્યુનિ.દ્વારા ડેઝિગ્નેટેડ જાહેર કરાઈ છે
અમદાવાદ શહેરમાં
દિવાળીના તહેવારો બાદ કોરોનાના કેસોમાં વધારો થઈ રહ્યો છે. એ છતાંય તંત્ર દ્વારા
સંક્રમણની પરિસ્થિતિ સુધરી હોવાનો દાવો કરાઈ રહ્યો છે. AMC દ્વારા અત્યારસુધીમાં
ડેઝિગ્નેટેડ જાહેર કરવામાં આવેલી હોસ્પિટલોને કોરોનાના દર્દીની AMC ક્વોટોનાં બેડ પર થતી
સારવાર માટે લાખો રૂપિયાની રકમ ચૂકવાઈ રહી છે. ત્યારે હાલમાં મ્યુનિ.દ્વારા જાહેર
કરવામાં આવેલી કોવિડ ડેઝિગ્નેટેડ હોસ્પિટલોમાં કોરોના પેશન્ટને સારવાર માટે દાખલ
કરાવવા માગતાં તેનાં સ્વજનોને મોટી તકલીફોનો સામનો કરવો પડી રહ્યો છે.
80 હોસ્પિટલને
મ્યુનિ.દ્વારા ડેઝિગ્નેટેડ જાહેર કરાઈ છે
બીજી તરફ, મ્યુનિ.તંત્ર અવારનવાર
ડેઝિગ્નેટેડ જાહેર કરાયેલી હોસ્પિટલ પૈકી કેટલીક હોસ્પિટલોની ફરિયાદો ઊઠવા પામી
હોવા છતાં આવી હોસ્પિટલો સામે સમયસર કાર્યવાહી કરવામાં નિષ્ફળ રહ્યું હોવાની
ફરિયાદો વ્યાપક બનતી જાય છે. આ વર્ષે મે મહિનામાં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન
દ્વારા કોરોનાના પોઝિટિવ કેસ વધતાં એપેડેમિક એકટ હેઠળ શહેરના વિવિધ વિસ્તારમાં
કાર્યરત ખાનગી હોસ્પિટલોને કોવિડ ડેઝિગ્નેટેડ જાહેર કરી આ હોસ્પિટલોનાં કુલ બેડ
પૈકી એ.એમ.સી.નાં અને ખાનગી કવોટાનાં એમ બે પ્રકારનાં બેડ કોરોનાના પેશન્ટની
સારવાર માટે નકકી કર્યાં હતાં. મળતી માહિતી પ્રમાણે, હાલ શહેરમાં 80 જેટલી હોસ્પિટલોને
મ્યુનિ.દ્વારા ડેઝિગ્નેટેડ જાહેર કરાઈ છે.
એક દર્દી માટે આટલો
ચાર્જ નક્કી કરવામાં આવ્યો
ડેઝિગ્નેટેડ જાહેર
કરવામાં આવેલી હોસ્પિટલોને પેશન્ટદીઠ રૂપિયા 15 લાખ આપવાનું નકકી કરાયું
હોવાનું સત્તાવાર સૂત્રોમાંથી જાણવા મળ્યું છે. ઉપરાંત વેન્ટિલેટર વગરના એક બેડ
માટે રોજના રૂપિયા 720નો ચાર્જ, આઈસોલેશન વોર્ડમાં એક
બેડના એક દિવસના રૂપિયા 1800નો ચાર્જ, વેન્ટિલેશન વગર રૂપિયા 4500નો ચાર્જ અને વેન્ટિલેશન
સાથે રૂપિયા 11,250નો ચાર્જ ચૂકવવાનો
નિર્ણય કરાયો હતો. મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ડેઝિગ્નેટેડ જાહેર કરવામાં આવેલી
આ હોસ્પિટલોને રૂપિયા 500 કરોડ જેટલી રકમનું ચુકવણું ગત
મે મહિનાથી નવેમ્બર સુધીમાં કરી દેવાયું છે.